VIDEO: MORNING BULLETIN / યુદ્ધ પર 'બ્રેક' બાદ પણ ઈરાન આક્રમક, 4 ઓગસ્ટે યોજાશે સંસદ ભવન તરફ માર્ચ
યુદ્ધ પર 'બ્રેક' બાદ પણ ઈરાન આક્રમક
અમેરિકાએ ઈરાન પર 13 રાતનો બોમ્બમારો સ્થગિત કર્યો છે. યુએસ સૈન્યના મતે લક્ષ્યો પૂર્ણ થતાં આ નિર્ણય લેવાયો. જોકે, ઈરાને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પર નિયંત્રણ જાળવી રાખવાની અને અમેરિકા સાથે નવી વાટાઘાટો ન કરવાની સ્પષ્ટતા કરી. ઈરાની પ્રવક્તાએ વાટાઘાટોની વિનંતીના અહેવાલોને ખોટા ગણાવ્યા છે.
4 ઓગસ્ટે યોજાશે સંસદ ભવન તરફ માર્ચ
દિલ્હીના વિવિધ ટ્રાન્સપોર્ટ સંગઠનોએ E20 ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના ફરજિયાત ઉપયોગ સામે મોરચો માંડ્યો છે. 4 ઓગસ્ટે સંસદ ભવન તરફ માર્ચ યોજાશે. તેમની માંગ છે કે, E20 પેટ્રોલ પાછું ખેંચવામાં આવે અને ગ્રાહકોને સામાન્ય પેટ્રોલનો વિકલ્પ મળે. એન્જિનને નુકસાન અને માઇલેજ ઘટવાની ફરિયાદો વચ્ચે, આ વિરોધ સાંસદોને જગાડવા માટે છે, તેમ સંજય સમ્રાટે જણાવ્યું.
જહાજ પર હુમલામાં ભારતીય નાવિકના મોતથી ભારત લાલચોળ
ભારતે યુક્રેનના રાજદૂત ડૉ. ઓલેક્સાંદ્ર પોલિશચુકને બોલાવી બ્લેક સીમાં MV OMORFI જહાજ પર થયેલા હુમલા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયું હતું. વિદેશ મંત્રાલયે આવા હુમલાઓથી દરિયાઈ સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય વેપાર પર થતી અસર સામે કડક વિરોધ નોંધાવ્યો. યુક્રેને રશિયા પર હુમલાનો આરોપ લગાવ્યો છે.
રાજકોટ ખાતે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઈથી મુંબઈ જતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતુ. ફ્લાઇટના પાયલોટે કાર્ગો વિભાગમાં ધૂમાડો દેખાતાં 'Mayday' કોલ આપ્યો હતો, જેના આધારે રાજકોટ એરપોર્ટના ATCએ ઇમરજન્સી લેન્ડિંગની મંજૂરી આપી હતી. સદનસીબે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
પાંચ મહિનામાં કોળી સમાજની ત્રણ યુવતીઓ ગુમ
સુરેન્દ્રનગરના ચોટીલામાં છેલ્લા પાંચ મહિનામાં કોળી સમાજની ત્રણ યુવતીઓ ગુમ થતાં સમાજમાં રોષ ફેલાયો છે. પોલીસ કાર્યવાહીથી અસંતોષ વ્યક્ત કરતાં કોળી ઠાકોર સમાજના આગેવાનોએ અને વાલીઓએ ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરી હતી. મહિનાઓથી ફરિયાદો છતાં યુવતીઓનો પત્તો ન લાગતાં કડક કાર્યવાહી કરીને તેમને શોધી આપવાની માંગ ઉઠી છે.
13 શંકાસ્પદ આતંકીઓ મામલે નવા ખુલાસા
ગુજરાત ATSની તપાસમાં 13 શંકાસ્પદ આતંકીઓ મામલે નવા ખુલાસા થયા છે, જેમાં બે શંકાસ્પદોએ જમ્મુ-કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના કેમ્પની મુલાકાત લીધી હોવાનું સામે આવ્યું છે. તેમને ખાસ તાલીમ આપવામાં આવી હતી અને છેલ્લા ત્રણ વર્ષથી કેનાલ પાસે વિસ્ફોટની પ્રેક્ટિસ કરતા હતા, જેમાં બે વખત સફળતા મળી હતી. ATS ટીમ હવે આ મામલે વધુ તપાસમાં લાગી ગઈ છે.
ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં થઈ કાર્યવાહી
અમદાવાદના રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં 7 દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં મુખ્ય આરોપીઓ મેહુલ ડોડિયા, રમીલા ડોડિયા અને સાદિકને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી બાદ કોર્ટે ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો હતો.
આજનું રાશિફળ
વૃષભ, કર્ક, તુલા અને ધન રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિશીલ અને આર્થિક દૃષ્ટિએ લાભદાયી રહેવાની શક્યતા છે. મેષ, સિંહ, વૃશ્ચિક અને મકર રાશિના જાતકોએ દિવસ દરમિયાન થોડી જાગરૂકતા અને સંયમ રાખવો જરૂરી રહેશે. મિથુન, કન્યા, કુંભ અને મીન રાશિના જાતકો માટે દિવસ સામાન્ય અને મિશ્રિત પરિણામો આપનારો રહેશે.
આજનું પંચાંગ
"પંચાંગ મુજબ આજે ભગવાન વિષ્ણુની ઉપાસના, તુલસી પૂજન, દાન-પુણ્ય, જપ-તપ તેમજ નવા કાર્યોના આયોજન માટે શુભ દિવસ માનવામાં આવે છે.
આજનો ઇતિહાસ
28 જુલાઈ, 1914ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી. આ યુદ્ધમાં તે સમયે બ્રિટિશ શાસન હેઠળ રહેલું ભારત પણ સામેલ થયું હતું. લગભગ 13 લાખથી વધુ ભારતીય ભારતીય સૈનિકોએ બ્રિટિશ ભારતીય સેનાના ભાગરૂપે યુરોપ, મધ્ય પૂર્વ અને આફ્રિકાના વિવિધ મોરચાઓ પર બહાદુરીપૂર્વક લડત આપી હતી.
સુંદર વિચાર સાથે દિવસની સકારાત્મક શરૂઆત કરીએ
"જીવનમાં સૌથી મોટી તાકાત આત્મવિશ્વાસ છે, જે અશક્યને પણ શક્ય બનાવી શકે છે."

