NEWS AFTERNOON: ઈરાનના નવા ફરમાને વધાર્યું ટેન્શન!, મહુઆ મોઇત્રાએ કર્યા રાજનાથ સિંહના વખાણ, ગુજરાત પોલીસ ભરતી પર હાઇકોર્ટમાં સુનાવણી
ઈરાનના નવા ફરમાને વધાર્યું ટેન્શન!
ઈરાન-અમેરિકા કરાર બાદ હોર્મુઝ દરિયાઈ માર્ગ ફરી શરૂ થયો છે, પરંતુ ઈરાને નિયમો કડક કર્યા છે. હવે કોઈપણ જહાજે અહીંથી પસાર થવા માટે ૪૮ કલાક પહેલાં ઓનલાઈન મંજૂરી લેવી પડશે. જોકે, વેપારીઓને રાહત આપતા શરૂઆતના ૬૦ દિવસ કોઈ ટ્રાન્ઝિટ ફી નહીં લેવાય.
"કૂતરા ભસતા રહે છે..." એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરે પર આકરો પ્રહાર!
શિવસેનાના સ્થાપના દિવસે એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા છે. સી.એમ. ફડણવીસ સાથે તિરાડની અફવાઓ ફગાવી તેમણે કહ્યું, 'કૂતરા ભસતા રહે, વાઘ શિકાર કરે છે.' જો બાળાસાહેબ જીવતા હોત તો રામ મંદિર માટે પીએમ મોદીના વખાણ કરત.
TMC નેતા મહુઆ મોઇત્રાએ કર્યા રાજનાથ સિંહના વખાણ!
TMCમાં ચાલી રહેલી તોડફોડ વચ્ચે ફાયરબ્રાન્ડ નેતા મહુઆ મોઇત્રાએ રક્ષા મંત્રી રાજનાથ સિંહના વખાણ કર્યા છે. વિકલાંગતા પેન્શન પર ટેક્સ છૂટ મામલે કેન્દ્રનો આભાર માનતા ટ્વીટ બાદ, મહુઆ મોઈત્રા ૨૦ સાંસદો ગુમાવી ચૂકેલી મમતા બેનર્જીની પાર્ટી છોડશે તેવી અટકળો તેજ થઈ છે.
TMC નેતા જંહાગીર ખાનની પત્ની અરેસ્ટ!
પશ્ચિમ બંગાળમાં પોતાને 'પુષ્પા' ગણાવતા TMC નેતા જહાંજીર ખાનની ધરપકડ બાદ હવે તેમની પત્ની રેજીના બીબીની પણ ધરપકડ કરાઈ છે. પતિની ધરપકડ સામે ફલતા વિસ્તારમાં પથ્થરમારો અને કાયદો-વ્યવસ્થા બગાડવાના પ્રદર્શનનું નેતૃત્વ કરવાનો તેમના પર આરોપ છે.
ગુજરાત પોલીસ ભરતી પર હાઇકોર્ટમાં સુનાવણી!
ગુજરાત પોલીસમાં કામના કલાકો અને ભરતી મામલે હાઇકોર્ટે સુનાવણી હાથ ધરી છે. સરકારે સોગંદનામું રજૂ કરી જણાવ્યું કે, ૧૧,૩૩૩ ઉમેદવારોની પસંદગી પૂર્ણ થઈ છે, જેમાંથી ૧૦,૦૭૫ને નિમણૂક પત્રો અપાયા છે, જ્યારે બીજા તબક્કામાં ૧૩,૫૯૧ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલુ છે.
મોરબીમાં ખેડૂતોના આમરણાંત ઉપવાસ!
મોરબીના જેતપર ગામે ખાનગી વીજપોલ કંપની સામે ખેડૂતોનો આક્રોશ વધ્યો છે. કાયદાકીય જોગવાઈ મુજબ વળતર અને એડવાન્સ પેમેન્ટની માંગ સાથે ૬ ખેડૂતોના આમરણાંત ઉપવાસ આજે ત્રીજા દિવસે પણ યથાવત છે, જેને જુનાગઢ અને કચ્છ સહિતના જિલ્લાઓનું સમર્થન મળ્યું છે.
વૃદ્ધ દંપત્તિએ તંત્રની હેરાનગતિથી કંટાળી ઇચ્છામૃત્યુની કરી માંગ!
અકસ્માતમાં આખો પરિવાર ગુમાવનાર સુરતના ૭૫ વર્ષીય વૃદ્ધ દંપતીએ કલેક્ટર પાસે ઇચ્છામૃત્યુ માંગ્યું છે. હાઇકોર્ટના આદેશ છતાં સુરત મનપા તંત્રની સતત બેદરકારી અને હેરાનગતિને કારણે કમાણીનું એકમાત્ર સાધન એવી દુકાનો સીલ થઈ જતાં કંટાળીને દંપતીએ આ પગલું ભર્યું છે.

