VIDEO: શું ઇથેનોલ ખરેખર માઇલેજ ઘટાડે છે? આ રહી ગાડીનું માઇલેજ ચેક કરવાની સાચી પદ્ધતિ!
આજકાલ સોશિયલ મીડિયા પર E20 પેટ્રોલ (20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ) ને લઈને અનેક પ્રકારના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે આનાથી ગાડીનું માઇલેજ 20 થી 30 ટકા જેટલું ઘટી ગયું છે, તો કોઈ જૂના એન્જિન બગડવાની વાત કરી રહ્યું છે. બીજી તરફ, સરકારનું કહેવું છે કે માઇલેજમાં ઘટાડો ખૂબ જ મર્યાદિત છે અને વાયરલ થઈ રહેલા ઘણા દાવાઓ હકીકતથી વેગળા છે.
આ દરમિયાન કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનું કહેવું છે કે સામાન્ય લોકો ગાડીનું સાચું માઇલેજ માપી શકતા નથી. તો સવાલ એ થાય છે કે ગાડીનું સાચું માઇલેજ કેવી રીતે માપવું? શું ડેશબોર્ડ પર દેખાતું એવરેજ સાચું હોય છે કે પછી આની કોઈ વૈજ્ઞાનિક રીત છે? અહીં જાણો E20 પેટ્રોલ પાછળનું સત્ય, સરકારની દલીલ અને ઓટો એક્સપર્ટનો અભિપ્રાય.
શું ખરેખર E20 થી 20-30% માઇલેજ ઘટી જાય છે?
સોશિયલ મીડિયા પર એવો દાવો કરાય છે કે E20 પેટ્રોલ વાપરવાથી વાહનોનું માઇલેજ 20 થી 30 ટકા ઓછું થઈ જાય છે. જોકે, પેટ્રોલિયમ મંત્રાલય આ દાવાને નકારે છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, E20ના ઉપયોગથી અમુક વાહનોમાં માઇલેજ આશરે 3 થી 5 ટકા જેટલું ઘટી શકે છે. આનું કારણ એ છે કે ઇથેનોલની ઉર્જા ઘનતા (કેલોરિફિક વેલ્યુ) સામાન્ય પેટ્રોલ કરતા ઓછી હોય છે. તેથી સરખી માત્રામાં બળતણ બાળવા છતાં થોડી ઓછી ઉર્જા મળે છે, જેના લીધે માઇલેજમાં સામાન્ય ઘટાડો થાય છે.
ટેસ્ટમાં શું સામે આવ્યું?
તાજેતરમાં જ 'ઓટોકાર ઇન્ડિયા' દ્વારા એક કંટ્રોલ્ડ રિયલ-વર્લ્ડ ટેસ્ટ (વાસ્તવિક પરિસ્થિતિમાં પરીક્ષણ) કરવામાં આવ્યો. આ ટેસ્ટમાં અલગ-અલગ ગાડીઓના માઇલેજની સરખામણી કરવામાં આવી. તેમાં જોવા મળ્યું કે કેટલાક મોડલ્સમાં માઇલેજનું નુકસાન 3.8 ટકાથી લઈને 12.6 ટકા સુધી નોંધાયું હતું. એટલે કે, કેટલાક કિસ્સાઓમાં ઘટાડો સરકારી અંદાજ કરતાં વધુ હતો, પરંતુ તે સોશિયલ મીડિયાના 20 થી 30 ટકાના દાવા જેટલો મોટો નહોતો. આનાથી સ્પષ્ટ થાય છે કે માઇલેજમાં ઘટાડો ગાડીની સ્થિતિ, એન્જિન અને ડ્રાઇવિંગની રીત પર આધાર રાખે છે.
શું સામાન્ય લોકો સાચું માઇલેજ માપી શકે છે?
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું કે સામાન્ય લોકો ગાડીનું માઇલેજ સાચી રીતે માપી શકતા નથી. મોટાભાગના લોકો ડેશબોર્ડ પર દેખાતા MID (મલ્ટી ઇન્ફોર્મેશન ડિસ્પ્લે) ના એવરેજને જ સાચું માઇલેજ માની લે છે, પરંતુ એક્સપર્ટ્સ આ ડિજિટલ એવરેજને પૂરેપૂરું સચોટ નથી માનતા. ઓટો એક્સપર્ટ્સના મતે, વાહનનું વાસ્તવિક માઇલેજ માપવાની સૌથી ભરોસાપાત્ર અને વૈજ્ઞાનિક પદ્ધતિ 'ટેન્ક-ટુ-ટેન્ક' (Tank-to-Tank Method) છે.
ટેન્ક-ટુ-ટેન્ક પદ્ધતિ શું છે અને માઇલેજ કેવી રીતે માપવું?
નિષ્ણાતોના મતે માઇલેજ માપવાની સૌથી સચોટ રીત આ મુજબ છે:
સૌ પ્રથમ પેટ્રોલ પંપ પર જઈને ગાડીની ટાંકી (ટેન્ક) પૂરેપૂરી ફુલ કરાવો.
હવે ગાડીના ટ્રિપ મીટર (Trip Meter) ને શૂન્ય (0) પર સેટ કરો અથવા રીડિંગ નોટ કરી લો.
ગાડીને સામાન્ય રીતે ઓછામાં ઓછી 150 થી 200 કિલોમીટર સુધી ચલાવો.
ત્યારબાદ ફરીથી તે જ પેટ્રોલ પંપ પર જઈને ટાંકી ફુલ કરાવો અને બીજી વાર કેટલા લીટર પેટ્રોલ ભરાયું તે નોટ કરો.
હવે કાપેલું કુલ અંતર (કિલોમીટર) ભાગ્યા બીજી વાર ભરાવેલું પેટ્રોલ (લીટર) કરો. જે આંકડો આવશે તે તમારી ગાડીનું સાચું અને વાસ્તવિક માઇલેજ હશે.
E20 પેટ્રોલ સસ્તું હોવા છતાં કિંમત કેમ ઘટતી નથી?
ઘણા લોકોનો સવાલ છે કે ઇથેનોલ શેરડી અને મકાઈમાંથી બને છે અને તે સસ્તું છે, તો પછી E20 પેટ્રોલ કેમ સસ્તું નથી મળતું?
સરકારના જણાવ્યા અનુસાર, હાલમાં ઇથેનોલની ખરીદ કિંમત આશરે 71.86 રૂપિયા પ્રતિ લીટર છે (જેમાં ટેક્સ અને ટ્રાન્સપોર્ટેશન સામેલ નથી). બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારમાં જો કાચા તેલ (ક્રૂડ ઓઇલ) ની કિંમત 70 ડોલર પ્રતિ બેરલની આસપાસ હોય, તો રિફાઇન્ડ પેટ્રોલ તૈયાર કરવાનો ખર્ચ ઘણી વખત ઇથેનોલ ખરીદવા કરતાં પણ ઓછો આવે છે. તેથી વર્તમાન સ્થિતિમાં E20 પેટ્રોલ બનાવવું શુદ્ધ પેટ્રોલ કરતાં સસ્તું નહીં પણ મોંઘું પડી શકે છે. સરકારનું કહેવું છે કે આનો આર્થિક ફાયદો ત્યારે જ દેખાશે જ્યારે કાચા તેલની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 100 ડોલર પ્રતિ બેરલથી ઉપર જશે.
શું જૂની ગાડીઓને નુકસાન પહોંચાડી રહ્યું છે E20?
સોશિયલ મીડિયા પર એવો પણ દાવો કરવામાં આવે છે કે ઇથેનોલ હવામાંથી ભેજ શોષી લે છે, જેના કારણે જૂની ગાડીઓની ફ્યુઅલ પાઇપ, કાર્બ્યુરેટર અને એન્જિનમાં કાટ લાગી શકે છે.
સરકારે મારુતિ સુઝુકી અને હીરો મોટોકોર્પના સર્વિસ ડેટા ટાંકીને જણાવ્યું છે કે આ પ્રકારની કોઈ વ્યાપક ફરિયાદ મળી નથી. ઉદાહરણ તરીકે, મારુતિએ નાણાકીય વર્ષ 2025-26 માં અંદાજે 2.84 કરોડ વાહનોની સર્વિસ કરી, જેમાંથી 1.5 કરોડ ગાડીઓ E20 પેટ્રોલ માટે અનુકૂળ નહોતી. તેમ છતાં ઇથેનોલને લીધે પાઇપ ઓગળી જવી કે એન્જિનમાં કાટ લાગવાની કોઈ ફરિયાદ સામે આવી નથી. જોકે, નિષ્ણાતો માને છે કે જે વાહનો લાંબા સમય સુધી પડ્યા રહે છે (ચલાવવામાં આવતા નથી), તેમાં ભેજને કારણે થોડી કાળજી રાખવી જરૂરી બની શકે છે.

