વડોદરા શહેરમાં ગત 30 માર્ચે રામનવમીના દિવસે શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા મામલે 123 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તો બીજી બાજુ વડોદરા શહેર પોલીસ કમિશ્નરે સીટી પોલીસ મથકના પી.આઈ. સામે કાર્યવાહી કરતા તેમની બદલી કરી છે.
પોલીસ કમિશ્નરે સીટી પી.આઈ.ની કરી બદલી
વડોદરા શહેર પોલીસ કમિશ્નર IPS શમશેર સિંઘે સીટી પોલીસ મથકના પી.આઈ. એસ. એમ. સગરની ટ્રાફિક વિભાગમાં બદલી કરી છે. તો ગોરવાના પી.આઈ. એચ.એમ. ધાંધલને સીટી પોલીસ મથક મુકાયા છે, આ સાથે જ ટ્રાફિક પી.આઈ. જે.એમ. મકવાણાન ગોરવા પોલીસ મથકનો હવાલો સોંપવામાં આવ્યો છે. રામનવમીના દિવસે પથ્થરમારાની ઘટના સીટી પોલીસ મથકની હદમાં બની હતી.

પથ્થરમારા મામલે 123 આરોપીઓની ધરપકડ
વડોદરામાં ગત 30 માર્ચે રામનવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટનામાં 123 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 123 પૈકી પાંચ લોકો બે દિવસના રિમાન્ડ પર છે, જ્યારે 18 શખ્સો જ્યુડિશિયલ કસ્ટડીમા છે.આ 18 શખ્સોએ જામીન અરજી મુકતા કોર્ટે તમામ 18 લોકોના જામીન નામંજૂર કર્યા છે.