અગાઉ ખેતીને રામ-રામ કહેનારો ખેડૂત વર્ગ ફરીથી ખેતી તરફ આકર્ષિત થતાં ઉત્તમ ખેતી મધ્યમ વેપારની કહેવત સાર્થક થઇ રહી હોય તેવી સ્થિતી પ્રવર્તી રહી છે. જેની અસર ઉનાળુ વાવેતર ઉપર દેખાઈ રહી છે. આ વર્ષે ગુજરાતમાં બાર ટકા વધારા સાથે ઉનાળુ વાવેતરમાં કઠોળ અને તેલીબીયાંની ખેતી ઉપર વિશેષ ભાર મુકાયો છે. તાજેતરના સરકારી અહેવાલો પ્રમાણે ગત વર્ષે ૮.૧૪ લાખ હેકટરમાં થયેલ વાવેતરમાં આ વર્ષે વધારો થઇ વાવેતર ૧૦.૧૦ લાખ હેકટરને પાર કરી ગયું છે સતત બે વર્ષથી સારા વરસાદને કારણે આ વર્ષે ઉત્પાદન સારૂ રહે તેવી અપેક્ષા છે. રવિ સીઝનમાં પણ સરકારની અપેક્ષા કરતાં ઘણુ ઉત્પાદન થતાં કૃષિ નિકાસને ચાર ચાંદ લાગી ગયા છે જેમાં ઘઉં ચોખાની નિકાસે વિશ્વના અડધા બજારોમાં ભારતની બોલબોલા વધી ગઈ છે. ભારતની કૃષિ નિકાસ વર્ષ ૨૦૨૧-૨૨માં પ્રથમવાર પચાસ અબજ ડોલરને વટાવી ઇતિહાસ સર્જ્યો છે. જેમાં ઘઉં, ચોખા તેમજ ખાંડની નિકાસ અગ્રેસર રહી છે ખાસ કરીને ઘઉંની નિકાસ ૨૫૦થી ૨૭૦ ટકાના ઉછાળા સાથે ૫૬ કરોડ ડોલરથી વધીને લગભગ ૨૧૧ કરોડ ડોલરની આસપાસ રહી છે. જો કે મરીમસાલા તથા તેજાનાની નિકાસ પણ આ વર્ષે ચાર અબજ ડોલરને વટાવી ગઇ છે. જહાજોના ઉંચા ભાડા તેમજ કન્ટેનરોની અછત છતાં નિકાસમાં નોંધપાત્ર થયેલ વધારાએ વિશ્વમાં ભારતનો ડંકો વગાડી દીધો છે.

ભારતમાં થતી નિકાસની સામે આયાતનો માર અસહ્ય છે. ખાસ કરીને કાચુ તેલ તેમજ ખાદ્ય તેલની આયાત સરકાર માટે શિરદર્દ બની છે. વેજીટેબલ ઓઇલની આયાતમાં ભારત વિશ્વમાં અગ્રસ્થાને છે. વર્ષે દહાડે ૧૪થી ૧૫ મીલીયન ટન ખાદ્યતેલ દેશમાં આયાત થાય છે. જેમાં સૌથી વધારે પામતેલ ૮થી ૯ મીલીયન ટન આયાત થાય છે. પામતેલની આયાત મોટેભાગે ઇન્ડોનેશિયાથી થાય છે. વર્ષ ૨૦૨૦-૨૧માં ઇન્ડોનેશિયાથી લગભગ ૪૦થી ૪૧ લાખ ટન પામતેલનો જથ્થો આયાત કર્યો હતો. ઇન્ડોનેશિયા વિશ્વમાં પામતેલનો સૌથી મોટો ઉત્પાદક ૪૫થી ૪૬ મિલિયન ટન સાથે પ્રથમ નંબરે છે. હાલમાં ઇન્ડોનેશિયામાં પામતેલનું ભારે સંકટ ચાલી રહેતાં સપ્લાય ભારે ટાઈટ છે. પામતેલનો વપરાશ બાયોફ્યુઅલ તરીકે થતો હોવાથી ઇન્ડોનેશિયા સરકારે કાચાતેલની આયાત ઘટાડવા પામતેલનો સ્થાનિક વપરાશ માટે બફર સ્ટોક વધારતાં નિકાસ ઉપર બ્રેક મારી રહી હોવાથી પામતેલની બજાર સતત ઉચે જઇ રહી છે.

પામતેલના વિકલ્પમાં ભારતમાં સોયા ઓઇલ તથા સનફ્લાવર ઓઇલ વધારે વપરાય છે. સોયા ઓઇલના સૌથી મોટા ઉત્પાદક દક્ષિણ અમેરિકામાં ભારે દુકાળને કારણે સપ્લાયમાં અવરોધો છે. જ્યારે સનફ્લાવરના ઉત્પાદક દેશો યુક્રેન અને રશિયા બંને દેશો યુધ્ધના ચક્કરમાં અટવાયેલા હોવાથી સપ્લાય બંધ રહેતાં હવે મલેશિયા ઉપર મીટ મંડાઈ છે. દેશમાં ખાદ્યતેલોના પુરવઠા ઉપર અસર થતાં ખાદ્ય તેલોની બજારમાં ભારે ગરમી પકડાઈ છે. જેના લીધે આયાતિ તેલોના ભાવો પ્રતિલિટર ૨૦૦ રૂપિયાથી ઉપર જાય તેવી સ્થિતિ છે. જો કે સરકારે દેશમાં તેલીબીયાંના વાવેતર ઉપર ખાસ કરીને રાયડો, સોયાબીન જેવા પાકોના ઉત્પાદન વધારા ઉપર વિશેષ ભાર મુકી વહેલી તકે ખાદ્યતેલોમાં આત્મનિર્ભર બનવા કમર કસી રહી છે.
Read Also
- જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ 2 દિવસના ભારતના પ્રવાસે, કર્ણાટકના ચંદનથી બનેલી બુદ્ધની પ્રતિમા ભેટ આપી
- ચીનના નેતા જિનપિંગ રશિયાના 3 દિવસના પ્રવાસે, પુતિન-જિનપિંગની મુલાકાત પર વિશ્વની નજર
- મોર્નિંગ ટિપ્સઃ સવારે ઉઠ્યા પછી તરત જ ન કરો આ 3 કામ, જો કર્યું તો તમને મળશે નકારાત્મક પરિણામ
- સુરેન્દ્રનગરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત! ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે થયો ભીષણ અકસ્માત, 15થી વધુ મજૂરો થયા ઈજાગ્રસ્ત
- અબજોપતિ મીડિયા સમ્રાટ રુપર્ટ મડોર્ક 92 વર્ષની વયે કરશે પાંચમાં લગ્ન, 8 મહિના પહેલા જ અભિનેત્રી જેરી હેલને આપ્યા હતાં છૂટાછેડા