આમ તો રાજકોટ બેઠક એ દાયકાઓથી ભાજપનો ગઢ રહ્યો છે. વળી મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું હોમટાઉન હોવાથી તેમના માટે તેમજ સમગ્ર ભાજપ માટે આ બેઠક પ્રતિષ્ઠાના જંગ સમાન બની ગઇ છે. અહીં ભાજપનો દબદબો હોવાથી કોંગ્રેસ માટે જીત મેળવવી એ કપરા ચઢાણ છે. જો કે રાજકોટમાં જાતિવાદી સમીકરણોમાં કોળી અને કાઠી મતદારોની મહત્વની ભૂમિકા રહી છે.
રાજકોટ એવી લોકસભા બેઠક છે કે જ્યાં ભાજપના નામે મત મળે છે. કોળી મતો પર મુસ્તાક બાવળીયા ભલે બળવાન ગણાતા હોય પણ ર૦૧૪માં આ જ બેઠક પર તેમની હાર થઇ હતી. પણ હવે તેઓ ભાજપમાં ભળી જતા પક્ષ વધુ મજબૂત બન્યો છે. રાજકોટ એ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીનું હોમટાઉન છે. ૧૯૮૪થી નવ ચૂંટણીમાં આ બેઠક માત્ર બે વાર કોંગ્રેસ જીત્યુ છે.
વર્ષ 2014ની ચૂંટણીની વાત કરીએ તો મોદી લહેર દરમ્યાન ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારીયાએ કુંવરજી બાવળિયાને સજ્જડ હાર આપી હતી. મોહનભાઇ કુંડારીયાએ કુંવરજી બાવળિયાને 2 લાખ 46 હજાર 428 મતોની જંગી લીડથી હરાવ્યા હતા. ત્યાર બાદ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુંવરજી બાવળિયાએ જસદણ બેઠક પરથી ભાજપના ભરત બોઘરાને હરાવી જીત મેળવી હતી. પરંતુ ચૂંટણી બાદ કોંગ્રેસ સાથે છેડો ફાડી કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાયા.
કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાતા જસદણની ખાલી પડેલી બેઠક પર ડિસેમ્બર-2018માં પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપ તરફથી કુંવરજી બાવળિયા સામે કોંગ્રેસે અવસર નાકિયાને મેદાનમાં ઉતાર્યા. પરંતુ પેટાચૂંટણીમાં જીત મેળવવામાં કોંગ્રેસ અવસર ચૂકી ગઇ અને કુંવરજી ભાઇ અગાઉથી વધુ મતો મેળવી મજબૂત બન્યા. જોકે રાજકોટમાં ઘણા મતદારો કોંગ્રેસના પરંપરાગત મતદારો રહ્યા છે. કુંવરજી પક્ષપલટો કરી ભાજપમાં ગયા બાદ પણ કોંગ્રેસની પરંપરાગત મતબેંકને ભાજપ તરફ વાળવામાં નિષ્ફળ રહ્યા છે.
2014ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેરને કારણે ભાજપે રાજકોટ સહિત તમામે તમામ 26 બેઠકો પર જીત મેળવી હતી. પરંતુ 2014ની સરખામણીએ 201માં રાજકીય, સામાજિક અને આર્થિક એમ તમામ મોરચે ઘણું પરિવર્તન આવ્યું છે 2014ની ચૂંટણી બાદ પાટીદાર અનામત આંદોલન તેમજ વિવિધ પ્રશ્ને રાજકોટ બેઠક પર ભાજપની મતબેંકમાં ઘટાડો થયો છે. આથી ભાજપ માટે આ બેઠક જાળવી રાખવાનો પડકાર છે. તો સામે કોંગ્રેસ માટે પણ કપરા ચઢાણ છે.
વર્ષ 2014માં રાજકોટ લોકસભાની બેઠક પર ભાજપે કુલ 2 લાખ 46 હજાર 428 મતની સરસાઇ મેળવી હતી. પરંતુ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ સરસાઇ ઘટીને 85 હજાર 429 મત સુધી પહોંચી ગઇ છે. મતલબ કે ભાજપના 1 લાખ 60 હજાર 999 મત ઓછા થયા છે. જે સ્વાભાવિક રીતે જ કોંગ્રેસના ફાળે ગયા છે.
હવે જો વિધાનસભા બેઠક મુજબ આ આંકડાઓ જોઇએ તો ટંકારા અને જસદણ એમ બંને બેઠકો પર ભાજપના મતો સૌથી વધુ તૂટ્યા છે. જેનો મતલબ કે કોળી મતદારોનું ભાજપથી કોંગ્રેસ તરફ ધ્રુવીકરણ થયું. આ ધ્રુવીકરણને બીજા શબ્દોમાં કહીએ તો જે કોળી મતદારો આ બંને વિધાનસભામાં 2014માં ભાજપના મોહનભાઇ કુંડારીયાને મત આપી ચૂક્યા હતા. તે પૈકી 70 ટકા મતદારો કોંગ્રેસ તરફ વળ્યા. તો રાજકોટ ગ્રામ્ય બેઠક પર ભાજપના લાખાભાઇ સાગઠીયા અને કોંગ્રેસના વશરામ સાગઠીયા એમ બે સાગઠીયા ઉમેદવાર સામસામે હોવાના કારણે પણ ભાજપની સરસાઇ તૂટી હતી. પરંતુ કુંવરજી બાવળિયાના ભાજપ પ્રવેશ બાદ હવે આ ધ્રુવીકરણ અટકશે તેમ લાગી રહ્યું છે.
જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં કુંવરજી બાવળિયાને જસદણ તાલુકામાં જે પાટીદાર બૂથ છે તેનો ઘણો ફાયદો પણ થયો. એટલે કે કોળી મતદારોની સાથે પાટીદાર મતદારો પણ ભાજપને ફાયદો કરાવી ગયા. આથી જ ભાજપ માટે હવે રાજકોટ બેઠક જાળવવી આસાન છે.
READ ALSO
- ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પાંજરાપોળને વિનામૂલ્યે અપાશે 100 લાખ કિલો ઘાસ
- અમદાવાદમાં ‘શુભ’મેન છવાયો / ગિલે ટી-20માં ફટકારી શાનદાર સદી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ
- Union Budget 2023 / રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય બજેટને આવકાર્યું, પણ સોની બજારમાં નિરાશા
- ‘ફિલ્પકાર્ટ પે લેટર’ સુવિધા શું છે ? જાણો તેનો ઉપયોગ ક્યારે કરી શકાય છે
- બજેટ 2023 / નાણામંત્રીએ મહિલાઓને આપી ભેટ, આ સુવિધા સાથે નવી બચત યોજનામાં મળશે 7.5% વ્યાજ