‘અમે ઈડરિયો ગઢ જીત્યા આનંદ ભયો’…. જાનૈયાઓના હર્ષોલ્લાસમાં જતીનના હૃદયના ઉમંગનો પડઘો પડતો હતો. ઘરચોળામાં માનસીના ફાટફાટ થતા યૌવનને પામવા તેનું મન થનગની રહ્યું હતું. પ્રથમ મિલનની મધુર પળ નજીક આવતા જ તેના તન-બદનમાં રોમાંચની એક લહેર દોડી ગઈ. પરંતુ સમજુ જતીન જીવનની અદ્ભૂત પળનો પૂર્ણ આનંદ લૂંટવા માંગતો હતો.
તેને પત્નીના માત્ર શરીરની ચાહ નહોતી. તે પત્નીના મનને પણ પામવા માંગતો હતો, શરીરના સમાગમ પૂર્વે તે પત્નીની ઈચ્છા તેમ જ રૃચિને સમ્માન આપવામાં માનતો હતો અને આ પ્રયત્નમાં થોડો વિલંબ થાય તેમાં તેને કોઈપણ પ્રકારનો વાંધો હતો નહીં. આથી પત્નીની જોબનવંતી કાયાનો ઉપભોગ કરતા પૂર્વે તેણે બે રાતો માનસીને એ માટે તૈયાર કરવામાં વિતાવી. બે રાતો હસી-મજાકમાં એક બીજાને સમજવામાં પસાર કરી. ત્રીજી રાત્રે જતીને માનસી સમક્ષ શરીર સુખની ઈચ્છા જાહેર કરી ત્યારે માનસીનું વર્તન જોઈ તેના પગનીચેથી જમીન ખસી ગઈ હોવાનો તેને અનુભવ થયો.
વાત એમ બની હતી કે જતીને સુહાગરાત મનાવવાની દરખાસ્ત મૂકી ત્યારે માનસી ચૂપચાપ બેસી રહી. તે એક શબ્દ પણ બોલી નહીં આથી જતીને કહ્યું ‘તને સુહાગરાત વિશે ખબર છે ને?’

માનસીને સુહાગરાત વિશે રજેરજની માહિતી હતી. તેની પરિણીત સહેલીઓએ તેમની સુહાગરાતની ઝીણી ઝીણી વિતો માનસીને જણાવી હતી. પરંતુ અત્યારે તો માનસીના મનમાં પતિ મિલનના સ્પંદનોની જગ્યાએ સહેલીઓએ આપેલી શીખામણનું ભૂત સવાર હતું. તેણે અજાણ બનવાનો ડોળ કરતાં કહ્યું ‘સુહાગરાત એટલે શું?’
આવો અનપેક્ષિત ઉત્તર સાંભળી જ તીન ચોંકી ગયો. માનસીના ભોળપણની તેને દયા આવી તેણે પ્રેમપૂર્વક માનસીને સમજાવ્યું ‘સુહાગરાત પતિ-પત્નીના શારીરિક મિલનની રાતને કહે છે.’
ગુસ્સે થવાનો ડોળ કરતા માનસીએ છણકો કરતાં કહ્યું, સાંભળી લો, મને આ શારીરીક સંબંધની વાત બિલકુલ પસંદ નથી. આ તો દુલ્હનનું શોષણ કરી તેના પર અત્યાચાર કરવામાં આવ્યો હોય એવું મને લાગે છે.
જતીન તેની નવી દુલ્હનના આ અજીબ તર્કથી ચોંકી ગયો. પરંતુ તેણે પ્રેમથી તેને સમજાવવા પ્રયત્ન કર્યો. ‘સાંભળ માનસી, પતિ-પત્નીનું શારીરિક મિલન ન થાય ત્યાં સુધી પત્ની ખરા અર્થમાં પત્ની બનતી નથી. તારા મનમાં આવું ભૂસું કોણે ભરાવી દીધું છે?

પણ મૃદુસ્વરે પતિએ સમજાવેલી વાત માનસીના મગજમાં ઉતરી નહીં. હજી પણ તેના મગજમાં તેની સખીઓએ આપેલી શીખામણોનું ભૂત ભરાયેલું હતું. પતિ તેના મનામણાં ન કરે ત્યાં સુધી પોતાની જાતને સમર્પિત કરવાનો તેનો કોઈ ઈરાદો ન હતો. તેણે જવાબ આપ્યો, ”આ સર્વ નારીના યૌન-શોષણ માટે સ્વાર્થી પુરુષોએ રચેલી એક જાળ છે. પરંતુ હું આ જાળમાં ફસાવા માગતી નથી.”
માનસીનો આવો વ્યવહાર જોઈ જતીનનું મન ખિન્ન થઈ ગયું. તેને થોડું આશ્ચર્ય થયું. સાથે સાથે ગુસ્સો પણ આવ્યો. આ સમયે તેણે ક્રોધ વ્યક્ત કર્યા વગર ધૈર્યથી કામ લેવાનો નિર્ણય કર્યો.
તેણે પૂછ્યું ‘શું માનસી હું તને પસંદ નથી. આ લગ્ન કરવા માટે તને મજબૂર કરવામાં આવી છે?’
‘એવી તો કોઈ વાત નથી. મને તમે પસંદ છો. તમારું વ્યક્તિત્ત્વ મનમોહક અને આકર્ષક છે એ વાતમાં કોઈ શંકાને સ્થાન જ નથી. અને હું તમને પ્રેમ કરું છું.
‘તો પછી તું વિચિત્ર વર્તન કેમ કરે છે?’
‘આલિંગન, ચુંબન તમારે જે કરવું હોય તે કરવાની છૂટ છે.
પરંતુ તમે જે ઈચ્છો છોે તે કરવાની હું છૂટ નહીં આપું એટલે નહીં જ આપું. માનસીનો આ તર્ક સાંભળી તેને લાગ્યું ક્યાં તો માનસી બહુ ભોળી છે અથવા તો બહુ ચાલાક છે અને તેને મૂર્ખ બનાવી તેની પરીક્ષા લેવા માગે છે અથવા તો તેને તેની સુંદરતાનું અભિમાન પણ હોઈ શકે છે. આમ વિચારીને પણ તેણે એ પૂછવાની હિંમત કેળવી.
‘તો પછી તને શારીરિક સંબંધની સૂગ છે.’
‘એવું તો કંઈ નથી.’ માનસીનો આ ઉત્તર સાંભળી જતીન સ્તબ્ધ થઈ ગયો. હવે વધુ ચર્ચા કરવામાં માલ નથી એમ સમજી તેણે પલંગ પર તકિયો અને ચાદર ઊઠાવી ચાલવા માંડયું.

‘તમે ક્યાં જઈ રહ્યાં છો?’
‘સામે પડેલા સોફા પર સૂવા.’
‘આ પલંગ પર જ મારી બાજુમાં સૂઈ જાવ. મેં તમને મારી બાજુમાં સૂવાની ક્યાં ના પાડી છે? બે દિવસથી તો તમે અહીં જ સૂતા હતા. આજે અચાનક તમને શું થઈ ગયું. સોફા તરફ આગળ વધતા જતીન બોલ્યો, ‘એ જ મારી ભૂલ હતી બે રાત સુધી તારી બાજુમાં સૂઈ તને પ્રેમ કરતો રહ્યો. હકીકતમાં તોે મારે તને હાથ પણ લગાડવો જોઈતો નહોતો. તનના મિલન કરતા મનનું મિલન વધુ મહત્ત્વનું છે.
એ માત્ર ફિલ્મોમાં જ શોભે, વાસ્તવિક જીવનમાં તોે તનનું મિલન જ વધારે મહત્ત્વ ધરાવે છે અને આપણી વચ્ચે એ સંબંધ ન બનવાનો હોય તો સૂવાનો અર્થ જ શો છે? પાણીનો ગ્લાસ હાથમાં રાખી પાણી પીધા વિના મારાથી રહેવાશે નહીં. આથી હું સોફા પર સૂઈ રહીશ. તું અહીં આરામથી સૂઈ જા.’ એમ કહી તે સાફા પર સૂઈ ગયો. માનસી સાથે હનીમૂન મનાવવા નેપાળ જવાનો વિચાર પર તેણે પડતો મૂક્યો.
બીજી બાજુ માનસી પોતાના પતિના આ વ્યવહારથી નિરાશ થઈ ગઈ. તેણે ધાર્યું હતું કે પતિ તેની સુંદરતા આગળ નમતું જોખશે. તેને પ્રેમથી મનાવી પોતાના બનાવી લેશે. પરંતુ તેની આ ધારણા પર ઠંડુ પાણી ફરી વળ્યું. આમાં તેને પોતાનું અપમાન લાગ્યું. અને તે પણ પડખું ફેરવી સૂઈ ગઈ.
માનસીએ લગ્ન પૂર્વે વિવાહિત સહિયરોને પતિ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ એ વિશે પૂછ્યું હતું. ત્યારે તેમણે હસતા હસતા તેને જણાવ્યું હતું કે તુ ખૂબ જ સુંદર છે. એટલે પતિને જલદીથી સમર્પિત થતી નહીં. ખૂબ જ ખુશામત કરાવજે. તેને તડપાવજે પછી જ એને એનું ધાર્યું કરવા દઈશ તો એ જીવનભર તારા ગુલામ બનીને રહેશે.

બસ, સખીઓની આ શિખામણ માનસીના હૃદયમાં ઊતરી ગઈ અને એણે એનું પાલન કરવાનો નિર્ણય કર્યો હતો. એનું પરિણામ તેની સમક્ષ હતું. જતીન એક સુખી અને સાધન સંપન્ન પરિવારનો શિક્ષિત પુત્ર હતો. એક મોટી કંપનીમાં સારા પગારની નોકરી કરતો હતો. વિનોદી સ્વભાવનો જતીન પરિવાર તેમ જ મિત્રવર્તુળમાં પ્રિય હતો.
આથી લગ્ન પછી માનસી સાથે પ્રથમ રાત્રે સમાગમ કર્યા વગર તેની ભાવનાઓ સમજી, બરાબર મનમેળ થયા પછી જ તેની સાથે શરીર સંબંધ બાંધવા માગતો હતો, જેથી માનસીને કોઈ પણ પ્રકારનું મન દુ:ખ ન થાય. એમના લગ્ન માતા-પિતાએ ગોઠવેલા હતા. માનસી અલગ શહેરમાં રહેતી હોવાથી લગ્ન પૂર્વે ઝાઝો પરિચય થયો નહોતો. આથી જતીને લીધેલો નિર્ણય પ્રશંસાને પાત્ર હતો. પરંતુ તેને તેનું ફળ અલગ જ મળ્યું. તે રાત્રે અચાનક જ માનસીની આંખ ખૂલી ગઈ.
તેની નજર સોફા પર સૂતેલા જતીન પર પડી ગંજીમાંથી દેખાતા જતીનના સુદ્રઢ બાવડા જોઈ તેના હૃદયમાં હલચલ થવા માંડી તેના બાહુપાશમાં સમાઈ જવા તેનું મન અધીરું બની ગયું. તેની વિશાળ આંખોમાં પંખી બની સમાઈ જવા તેનું દિલ થનગની ઊઠયું. લાજ-શરમ નેવે મૂકી જતીનમાં સમાઈ જવા તેનું મન વારંવાર ચલિત થવા માંડયું. પરંતુ હાય રે…. સંકોચ અને અભિમાન આડે આવ્યું અને સૂતેલા જતીન સામે લોલુપતાથી જોઈ પોતાની પથારીમાં આવી સૂઈ ગઈ.

સવારે ઉઠતાં જ તેણે સોફા પર નજર ફેરવી પરંતુ સોફો ખાલી હતો. અને ઓરડામાં જતીન ન હતો. આમાં તેની પોતાની ઉપેક્ષા લાગી. રાતનો બનાવ યાદ આવ્યો તો તેનું અભિમાન પુન: ફેણ ઊંચકીને જાગૃત થઈ ગયું. ઓરડાની બહાર નીકળી તે દૈનિક કામમાં લાગી ગઈ. પોતાની સુંદરતાના અભિમાનમાં એટલી ડૂબી ગઈ હતી કે તેને પોતાની ભૂલ દેખાઈ જ નહીં તે પતિને જ દોષી માનતી રહી.
જેમ જેમ દિવસ પસાર થઈ ગયો. રાત પડી તો જતીનનું મન પોતાના ઓરડામાં જવા માનતું જ નહોતું. પરિવારના લોકોને શંકા ન જાય માટે તે મન મારીને પોતાના ઓરડામાં ગયો.
થોડીવાર પછી માનસી રૃમમાં પ્રવેશી પતિ તરફ તેણે એક મધુર હાસ્ય કર્યું. જતીને માનસીના આ સ્મિતની અવગણના કરી. પતિને આકર્ષિત કરવા અને ઉત્તેજિત કરવા તેણે તેની સામે જ કપડાં બદલ્યાં હજી પણ તેને આશા હતી કે પતિ તેને મનાવશે અને પરાજય સ્વીકારી લેશે. પરંતુ વાસ્તવિકતા એ હતી કે પતિના પ્રેમ, સાન્નિધ્ય માટે તે તડપતી હતી. પતિ જબરદસ્તીથી પોતાને વશ કરી લે એવી તેની ઈચ્છા હતી. પલંગ પર બેસી તેણે પતિની નિકટ આવવાનો પ્રયાસ કર્યો.
બીજી બાજુ જતીન પણ પત્નીને અર્ધ અંગ દેખાય તેવી નાઈટીમાં જોવા વિચલીત થઈ ગયો પરંતુ પોતાના પર કાબુ રાખી તેણે જરાય ચીઢવાઈને કહ્યું, ‘તુ તારી આ નાદાની છોડશે કે નહીં?’ આ પ્રશ્ન સાંભળી માનસીએ ભોળપણમાં પૂછ્યું, ‘હું શું નાદાની કરી રહી છું? ‘મારી નિકટતા નકારવાનો પ્રયાસ નાદાની નથી તો બીજું શું છે? શું લગ્ન પૂર્વે તારી મમ્મીએ તેને કશું સમજાવ્યું નથી?

‘મમ્મીએ શું સમજાવવાની જરૃર છે કે પતિ અનૈતિક કાર્ય કરવા માગે તો તેને કરવા દેવું?
‘જતીને કઠોરતાથી કહ્યું, ‘જાણે છે તારું શરીર પામવા માટે મને કાનૂન અને સમાજે અધિકાર આપ્યો છે?” ઓહ, તો હવે તમે કાનૂન પર ઉતરી આવ્યો છો? જતીનને ખૂબ જ ક્રોધ ચઢ્યો હમણાંને હમણાં અહીંથી ભાગી જાય અથવા તો માનસીને ઓરડામાંથી બહાર કાઢી મૂકે. પરંતુ તેના સંસ્કારો એ તેના ગુસ્સા પર કાબૂ જમાવી દીધો. અને તે પલંગ પરથી ઊઠી સોફા પર જઈ પડખું ફેરવી સૂઈ ગયો.
પણ હકીકતમાં તો જતીન આંખનું એક મટકું મારી શક્યો નહોતો તેના મગજમાં વિચારોનું તુમુલ યુદ્ધ ચાલતું હતું. પોતાના ભવિષ્યની ચિંંતા તેને કોરી ખાતી હતી. આજના યુગમાં માનસીને સ્ત્રી-પુરુષના સંબંધ અંગે જ્ઞાાન ન હોય એ માનવા તેનું મન તૈયાર હતું નહીં. તે સમજી ગયો કે માનસીને તેના રૃપ અને યૌૈવનનો ઘમંડ છે. અને અહંકારની પુષ્ટિ માટે તેને ઝુકાવવા માગે છે. પરંતુ તેણે નિશ્ચય કર્યો કે માનસીની જીદને પોતે કોઈ સંજોગોમાં તાબે થશે નહીં. તેણે મનોમન નક્કી કર્યું હતું કે માનસી જ્યાં સુધી પોતાની ઈચ્છાથી પોતાની જાતને સમર્પિત નહીં કરે ત્યાં સુધી તે બળપ્રયોગ અજમાવશે નહીં.
અત્યાર સુધી પતિની લાચારી પર મનોમન હસતી માનસી અત્યારે ક્ષુબ્ધ હતી. આ જીદ બદલ તેને પોતા પર ગુસ્સો પણ આવ્યો. તે ઈચ્છતી હતી કે પતિ જબરદસ્તીથી તેને પોતાને વશ કરી લે.

હંમેશા હસતો રહેતો અને અન્યને હસાવતા જતીનના સ્વભાવમાં અચાનક જ ફેરફાર આવી ગયો. તેનો સ્વભાવ ચીડચીડો બની ગયો. ઘરમાં તે ઉદાસ મને ફરતો ઓફિસમાં કામનું બહાનું કાઢી દિવસભર ઘરની બહાર રહેતો રાત્રે પણ મોડો આવતો. તેના ઘરનાં લોકો તેનામાં આવેલા આ ફેરફારથી ચિંતિત હતા. પરંતુ નવ પરિણીત પુત્ર-પુત્રવધૂના સંસારમાં માથું મારવું યોગ્ય ન જણાતા સર્વ ચૂપચાપ આ તમાશો જોયા કરતાં.
લગ્નના થોડા દિવસ થયા એટલે માનસીના પિતા જ તેને પિયર લઈ જવા આવ્યા. સાંજની ગાડી હતી. જતીન ઘરમાં હતો નહીં. જાણી જોઈને એ આવ્યો નહીં. આથી ઉદાસ મને માનસી જતીનને મળ્યા વગર પિયર જતી રહી.
પિયર આવીને તેણે જતીનને ઘણા પત્ર લખ્યાં પંરતુ જતીને એક પણ પત્રનો જવાબ આપ્યો નહીં. પતિની આ ઉપેક્ષા જોઈ તેનો ક્રોધ વધુ તીવ્ર બન્યો. અને પતિના સાથ માટે તે વધુને વધુ તરસવા લાગી. ભાઈ-ભાભીને તૈયાર થઈ બહાર જતા જોતી તો તેનું મન ખિન્ન થઈ જતું. ભાઈ-ભાભીના પ્રેમને જોઈને તેનું હૃદય જતીનના બાહુપાશમાં સમાઈ જવા ઝૂમતું.
રાતોની રાતો જતીનની યાદમાં પસાર થતી. ધીરે ધીરે તેને પોતાની ભૂલ સમજાવા લાગી. હાથે કરીને પોતે પોતાના જ પગ પર કુહાડી મારવાની મુર્ખતા કરી હતી. પતિ વિયોગમાં તે ઝૂરવા લાગી. છેવટે તેણે આ નાટક બંધ કરવાનું નક્કી કર્યું.
બીજે દિવસે જ તેણે જતીનને પત્ર લખીને પોસ્ટ કરી દીધો.
પ્રિય જતીન,
મને મારી ભૂલ સમજાઈ છે. સહેલીઓની વાતમાં આવી મેં તમને સતાવ્યા તેનો મને પશ્ચાતાપ થયો છે. તમારી સહનશક્તિ અને ઉદારતા પ્રત્યે મને માન છે. તમારું સાન્નિધ્ય પામવા, તમારા બાહુઓમાં સમાઈ જવા મારું રોમ-રોમ તડપે છે. તમે મને ક્યારે લેવા આવો છો? તમારી માનસી.’
માનસીનો આ પત્ર વાંચી જતીન ખુશીથી ઝૂમી ઉઠયો. પત્રના જવાબને બદલે તે જ બીજે દિવસે સાસરે આવી પહોંચ્યો જતીનને જોઈ માનસી શરમથી લાલ-લાલ થઈ બીજા ઓરડામાં ભાગી ગઈ.
એક રાત સાસરિયાની મહેમાનગતિ માણી બીજી સવારે માનસીને લઈ જતીન ઘર ભેગો થઈ ગયો. જતીનને પ્રસન્ન જોઈને તેના કુટુંબીજનોના હરખનો પાર ન રહ્યો.

રાત પડતા જ માનસી જતીનના સાન્નિધ્યમાં સમાઈ જવા આતુર બની ગઈ. ઓરડામાં દાખલ થતાં જ તેણે જતીનને પોતાની પ્રતિક્ષા કરતો જોયો. દરવાજો બંધ કરીને તે દોડીને જતીનના આલિંગનમાં સમાઈ ગઈ. જતીને પ્રેમથી માનસીનો ચહેરો પોતાના બંને હાથમાં લઈ તેના તરસતા જોબનવંતા હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા. માનસીની નજરમાં એક છીપાયેલી તરસ જોઈ તેની લાલસા વધુ તીવ્ર બની.
માનસી કંઈક બોલવા જતી હતી પરંતુ તેણે પોતાના હોઠ વડે તેને શાંત કરી દીધી. જતીનના જીવનમાં આ રાત ખૂબ જ મહત્ત્વની હતી. અત્યાર સુધી અહંકાર અને જીદને કારણે વેડફાયેલી રાતોનું સાટું તેણે એક રાતમાં વાળી દીધું. માનસી પણ બધી શરમ નેવે મૂકી જતીનમાં સમાઈ ગઈ. ક્ષિતિજમાં ચમકતો ચાંદ પણ તેમનો પ્રેમાલાપ જોઈ શરમાઈ ગયો અને વાદળની અંદર મોઢું છુપાવી દીધું.
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં