હું ૨૬ વર્ષની પરિણીત સ્ત્રી છું. એક ખાનગી સંસ્થામાં કામ કરું છું. મારી સાથે કામ કરતા એક કર્મચારી સાથે મારે વધુ પડતી આત્મીયતા બંધાઈ ગઈ. તેની સાથે હું મારા સુખદુ:ખને શેર કરવા લાગી. એક દિવસ મારા પતિ સાથે મારે ઝઘડો થયો. છૂટાછેડા આપવા સુધીની વાત આવી. પછી અમારી વચ્ચે સમાધાન થઈ ગયું. મેં આ વાત મારા સહકર્મચારીને કહી. બે-ચાર દિવસ પછી દારૂ ઢીંચી તે અમારે ઘરે આવ્યો અને મારા પતિ સાથે ઘણું ખરાબ વર્તન કરી ભાંડવા લાગ્યો. વાત મારામારી સુધી પહોંચી. સોસાયટીના લોકોએ પણ સાંભળ્યું. સૌની સામે મારી આબરૂના ધજાગરા ઊડયા. બીજા દિવસે વારંવાર ફોન કરી પતિ પાસેથી માફી માંગવા લાગ્યો. હવે ઘરના લોકો ઈચ્છતા નથી કે હું ફરી એજ ઓફિસમાં કામ કરું. તો મારે શું કરવું જોઈએ? – એક યુવતી-(ભાવનગર)
* ઓફિસમાં સાથે કામ કરતા કર્મચારી અને તેમાં પણ પુરુષ સહકર્મચારી સાથે ઘરની વાતો કરવી જોઈએ નહીં, નહીં તો આ પ્રકારની વાત બને છે. હવે એ ઓફિસમાં જઈને તમે રાજીનામું આપી દો અને ભવિષ્યમાં બીજી જગ્યાએ કામ કરો ત્યારે તમારા વ્યવહારને સંયમિત રાખવાનું નક્કી કરી લો.
મારાં લગ્નને હજુ બે મહિના જ થયા છે. અમે બંને એકલાં જ રહીએ છીએ અને મોજમસ્તીથી જીવનનો આનંદ માણીએ છીએ. મારા પતિ રોજ (ક્યારેક દિવસમાં બે થી ત્રણવાર પણ) શારીરીક સંબંધ બાંધે છે. ખૂબ મજા આવે છે, પરંતુ મારી એક પરિણીત સાહેલીએ મને ડરાવી છે. તે કહે છે કે તેના પતિ તો અઠવાડિયામાં માત્ર એક જ વાર સંબંધ બાંધે છે. વધુ સંબંધ બાંધવાથી જાતીય રોગ તથા ઘણીવાર એઈડ્સ પણ થાય છે. એ પછી હું ડર અનુભવું છું. પતિને કહ્યું તો તે કહે છે કે તારી સાહેલી કશું જાણતી નથી. બકવાસ કરે છે. શું કરું? તમે માર્ગ બતાવો કે આ યોગ્ય છે? સાથે એ પણ કહો કે કેટલા દિવસ પછી શરીર સંબંધ બાંધવો જોઈએ?
– એક યુવતી-(વાંસદા)
* તમે સાંભળેલી કે સંભળાયેલી વાત પર ધ્યાન ન આપો. લોકોને સેક્સ વિશેનું જ્ઞાાન અધકચરું હોય છે. આવું જ્ઞાાન તેઓ બધાંને વહેંચે છે. શરીર સંબંધ બાંધવાથી કશો રોગ થતો નથી. એઈડ્સની વાત છે તો બીજા સાથે કે વધુ વ્યક્તિઓ સાથે અસલામત સંબંધ બાંધવાથી થાય છે. એટલે તમે જીવનનો આનંદ લૂટો. જ્યાં સુધી સંબંધ જે કેટલીવાર કરવાની વાત છે તો તેનો કોઈ નિયમ નથી.
હું ૪૫ વર્ષની વિધવા છું.મારી મૂંઝવણ મારી દીકરીના કારણે છે. મારી ૨૪ વર્ષની પુત્રી એક પરણેલા અને બાળબચ્ચાંવાળી વ્યક્તિને પ્રેમ કરે છે. હું અને મારો પુત્ર આ વાતથી દુ:ખી છીએ. ઘણીવાર ઝઘડા થાય છે. હું રોજ તેને સમજાવું છું. એકથી એક દેખાવડા અને યોેગ્ય છોકરા તરફથી માંગા આવે છે, પરંતુ તે મક્કમ છે કે તે એ જ યુવાન સાથે લગ્ન કરશે. તે બાળબચ્ચાંવાળો છે. હજુ સુધી તેણે તેની પત્નીને છૂટાછેડા પણ આપ્યા નથી. મારી પુત્રી કહે છે તે છૂટાછેડા લઈ લેશે. તે વ્યક્તિ સરકારી નોકરીમાં છે. શું હું તેના વિરુધ્ધ કશું પગલું ભરી શકું?
– એક સ્ત્રી-(અનાવલ)
* સૌ પહેલાં તો તમે તમારી પુત્રીને સમજાવો કે તે શા માટે બીજી સ્ત્રીનું ઘર ભાંગી રહી છે. જે વ્યક્તિ પોતાની પત્નીને દગો આપી શકે છે તે કાલે તેના તરફ વફાદાર રહેશે ખરો? તેના પ્રેમીને બોલાવીને ધમકાવી શકો છો કે તેણે તમારી પુત્રી સાથે લગ્ન કર્યા તો તમે તેની વિરુધ્ધ પગલાં ભરશો.
જો તમારી પુત્રી તમારી વાત નથી સમજતી અને લગ્ન માટે મક્કમ છે તો તેને કહો કે પહેલાં તો તેના પ્રેમીના છૂટાછેડા થઈ જવા દે. ત્યાર પછી લગ્ન કરે, નહીં તો તેનાં લગ્ન કાયદેસરનાં નહીં રહે. સારી વાત તો એ છે કે તે વ્યક્તિ તેની પત્નીને છૂટાછેડા નહીં જ આપે. જો છૂટાછેડા માટે તૈયાર પણ થશે તો છૂટાછેડા લેવાની વિધિ એટલી લાંબી હોય છે કે તે પૂરી થતાં સુધીમાં તમારી પુત્રી પરનું પ્રેમનું ભૂત કદાચ ઊતરી જશે.
હું ૩૦ વર્ષની છું. શાળામાં શિક્ષિકા છું. મારા પતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. છ મહિના પહેલાં તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. ત્યારથી બેકાર છે. મારા મા-બાપ અને ભાઈ ઈચ્છે છે કે મારા પતિ અને હું તેમની પાસે જયપુર ચાલ્યાં જઈએ. ત્યાં તેમની સારી ઓળખાણ છે. તેઓ મારા પતિને સારી નોકરી અપાવશે અને મને શાળામાં નોકરી મળી જશે, કારણ કે લગ્ન પહેલાં પણ હું ત્યાં શાળામાં શિક્ષિકા હતી. – એક સ્ત્રી(સૂરત)
* તમારા પતિ ઘણા સમયથી બેકાર છે. જો તમારા ઘરનાંઓ તેને કામ અપાવી દેવા માટે આશ્વાસન આપે છે તો તમારે વધુ વિચારવું જોઈએ. જ્યાં સુધી તમારી સાસરીવાળાને ડર છે કે નજીક રહેવાથી પ્રેમ અને સન્માન ઓછું થઈ જશે તો તમે જુદું ઘર લઈને પણ રહી શકો છો. સંબંધોની મર્યાદા રાખવાનું કામ તમારા હાથમાં છે.
Read Also
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં