અમદાવાદમાં રિવરફ્રન્ટની સંપાદીત કરાયેલી ૬,૩૧૫ ચો.મીટર જમીન પર ખોટા દસ્તાવેજો બનાવીને રૂ. ૪૫ કરોડની લોન લેવામાં આવી હતી. લોન ન ભરતા બેન્ક દ્વારા જમીન સીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ બનાવ અંગે રિવરફ્રન્ટ પોલીસે મુંબઇની બેન્કના અધિકારીઓ તેમજ ચમનલાલ અવતાની અને વનીતા.સી. અવતાની તથા રમેશચન્દ્ર ગોવિંદરામ ગુલવાણી તેમજ જયેશભાઇ. એસ.બેન્કર સહિત પાંચ સામે છેતરપીડીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે વેજલપુરમાં રહેતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં એક્ઝિબિશન બ્રાંચમાં ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા મીલેશભાઇ. એમ. ગોરેચાએ વેસ્ટ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે સરદાર બ્રિજથી વાસણા બેરેજ પર સાબરમતી નદીના પશ્વિમ કિનારે રિવર રોડ બનાવવા માટે કોચરબ, પાલડીની જમીન સંપાદન કરવામાં આવી હતી. ૨૦૦૭માં રિવરફ્રન્ટ અમલી બનતાં રિવરફ્રન્ટ ડેલપમેન્ટ કોર્પોરેશને ફાઇનલ પ્લોટ ૧૨૧ની જમીનની વિગત મંગાવી હતી. જે તે સમયે ૭-૧૨ના ઉતારામાં જમીન માલિક રાજેન્દ્રભાઇ માણેકલાલ પટેલનું નામ ચાલતું હતું. રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ જમીન પર ખોટી બક્ષીસ ડીડ અને મોર્ગેજ ડીડ આધારે નવીતાબહેન અવતાનીએ મુંબઇની અલ્હાબાદ બેન્ક ખાર બ્રાંચ ખાતે રૂ. ૪૫ કરોડની લોન લઇ લીધી હતી. આ લોન ભરપાઇ ના થતાં બેન્ક દ્વારા આ જમીન સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેને લઇને રિવરફ્રન્ટ પોલીસે આ કેસમાં ચમનલાલ અવતાની, વનીતા.સી.અવતાની અને રમેશચન્દ્ર ગોવિંદરામ ગુલવાણી (રહે. પ્રેમશિખર બોડકદેવ) તેમજ જયેશ એચ. બેંકર ( રહે. સોમનાથ સોસાયટી, નોબલનગર) ઉપરાંત મુંબઇ અલ્હાબાદ બેન્કના બે અધિકારીઓ સહિત કુલ પાંચ સામે છેતરપીંડીનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું પશ્વિમ વેસ્ટ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.એસ. સિંઘે જણાવ્યું છે.