એલઆરડીની ભરતીમાં અનામત મુદ્દે સરકારે પરિપત્ર રદ કરવાની ખાતરી આપતાં મામલો વધુ ગૂંચવાયો છે. આ નિર્ણય બાદ ખુદ રાજ્ય સરકાર અનામતના પેચમાં બરોબર ફસાઇ છે.ઓબીસી,એસટી,એસસી વર્ગના રાજી રાખવામાં પાટીદાર સહિત અન્ય બિન અનામત વર્ગ સરકારથી નારાજ થયો છે. હવે બિન અનામત વર્ગના ઉમેદવારોએ એવી ચિમકી ઉચ્ચારી છેકે,જો પરિપત્રમાં સુધારો કરાશે તો રાજ્યવ્યાપી આંદોલન કરાશે. સરકાર પરિણામ ભોગવવા તૈયાર રહે. આ કારણોસર અનામત અને બિન અનામત વર્ગ સામસામે આવ્યાં છે. એટલું જ નહીં, ગુજરાતમાં વર્ગવિગ્રહની પરિસ્થિતીના એંધાણ સર્જાયા છે.
એલઆરડીની ભરતીમાં અનામત મુદ્દે છેલ્લા ૬૫ દિવસથી ગાંધીનગરમાં આંદોલન ધમધમી રહ્યુ છે. મહિલા ઉમેદવારો હાલમાં ય આ લડત લડી રહી છે. ભાજપના સાંસદો,મંત્રી અને ધારાસભ્યોની રજૂઆતને પગલે ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૃપાણીએ ખાતરી આપીકે, તા.૧-૮-૧૮ના પરિપત્રમાં સુધારો કરાશે. આ જાહેરાતને પગલે હવે બિન અનામત વર્ગ રોષે ભરાયો છે.
આજે પાટનગર ગાંધીનગરમાં પાટીદારો,બ્રહ્મ સમાજ અને કરણીસેના સહિતના અન્ય સમાજના પ્રતિનિધીઓએ ચિતન શિબીર યોજી એવી ચિમકી ઉચ્ચારવામાં આવી કે, સરકાર કોઇ એક સમાજના રાજકીય દબાણમાં આવીને નિર્ણય ન લે. અમારી સાથે ચર્ચા કર્યા પછી જ પરિપત્રમાં સુધારો કરે. જો પરિપત્રમાં સુધારો કરાશે તો રાજ્ય સરકાર પરિણામો ભોગવવા તૈયાર રહે.અનામતને કારણે એલઆરડીની ભરતીમાં હજુ સુધી જનરલ કેટેગરીના ઉમેદવારોને ઓર્ડર મળ્યાં નથી. બિન અનામત વર્ગ સરકારના આ નિર્ણય કોઇપણ ભોગે સ્વિકારશે નહીં.
બેઠક બાદ એલઆરડીની ભરતીના જનરલ કેટેગરીના ઉમેદવારોએ ગાંધીનગર કચેરી તરફ કૂચ કરી હતી પણ પોલીસે તેમને રોક્યા હતાં. માત્ર એક પ્રતિનીધીમંડળને જ કલેક્ટરને મળવા છૂટ અપાઇ હતી. મળતી માહિતી મુજબ,બિન અનામત વર્ગના ઉમેદવારોએ પણ સત્યાગ્રહ છાવણીએ આંદોલન કરવા તૈયારી કરી છે. આમ, સરકારના નિર્ણયને પગલે ગુજરાતમાં એક નવા વિવાદે જન્મ લીધો છે. અનામતની ગૂંચવણને કારણે રાજ્યમાં વર્ગવિગ્રહની પરિસ્થિતી આકાર પામી રહી છે.
1 ઓગસ્ટ 2018નો ઠરાવ શું છે?
ગાંધીનગરમાં હાલ અનામત અને બિન અનામત વર્ગની મહિલાઓ ૧/૮/૧૮ના મુદ્દે સામસામે આંદોલન ઉપર બેઠી છે ત્યારે ગુજરાત સરકારના આ ઠરાવ અંગે નજર કરીએ તો સામાન્ય વહીવટ વિભાગે તા.૧ ઓગસ્ટ ર૦૧૮ના રોજ એક ઠરાવથી ૧૮ વર્ષ જુની અનામત નીતિમાં બદલાવ કર્યો હતો. એટલે જે તે અનામત કેટેગરીના ઉમેદવારોને તેમની જ અનામત કેટેગરીમાં સમાવવા. જેના કારણે એક વર્ષ પછી વિવિધ સરકારી ભરતીઓમાં અનામત હેઠળના ઉમેદવારો જનરલથી વધુ મેરિટ મેળવે તો પણ અનામત પુરતા મર્યાદિત રહયાની અસરો શરૂ થઈ હતી. ખાસ કરીને લોકરક્ષક દળની ભરતીમાં જાહેર થયેલી પસંદગી યાદીમાં જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારોના કટ-ઓફ મેરિટથી વધુ મેરિટ હોવા છતાં એસસી, એસટી, ઓબીસી અને ઈબીસી વર્ગની મહિલા ઉમેદવારોને જનરલ કેટેગરીના બદલે જે તે અનામત કેટેગરીમાં જ સમાવેશ કરવામાં આવી છે. જેથી આ મહિલા ઉમેદવારો તેવી માંગ કરી રહી છે.
READ ALSO
- ખેડૂત આંદોલન/ મોદીનો છે કાર્યક્રમ એ લાલ કિલ્લા પર પહોંચી ખેડૂતોનો લલકાર, કૃષિ કાયદાઓને પાછા હટાવો
- Health Tips/ મેન્ટલ હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે હ્યૂમન ટચ, જાણો હગ કરવાના શું છે ફાયદા
- ડેપ્યુટી સીએમ નીતિન પટેલે રાત્રી કર્ફ્યુમાં રાહતમાં આપ્યા સંકેત
- ખેડૂત આંદોલન અપડેટ/ દિલ્હી મેટ્રોના આ રૂટને કરી દેવાયા બંધ, ખેડૂતો અને પોલિસ વચ્ચે ઝપાઝપીના બન્યા બનાવો
- ખેડૂત આંદોલન/ લાલ કિલ્લા અને ઈન્ડિયા ગેટ પાસે ખેડૂતો અને પોલિસ વચ્ચે થયું ઘર્ષણ, ખેડૂતો પર લાઠીચાર્જ અને ટિયરેગસના છેલ છોડાયા