ન્યૂયોર્કમાં મેયરની ચૂંટણી જીત્યા બાદ મમદાનીએ નેહરૂને કેમ યાદ કર્યા? ટ્રમ્પને આપ્યો પડકાર

ન્યૂયોર્કના મેયરની ચૂંટણી જીત્યા બાદ જોહરાન મમદાનીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. મમદાનીએ વિક્ટરી સ્પીચ આપતા ભારતના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂને યાદ કર્યા છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પડકાર આપ્યો છે. ભારતના જાણીતા ફિલ્મમેકર મીરા નાયરના પુત્ર જોહરાન મમદાનીએ સાડા 6 લાખ કરતા વધુ એટલે કે આશરે 51.2 ટકા મત મેળવીને બહુમતી સાથે ચૂંટણી જીતી છે અને ન્યૂયોર્કના પ્રથમ મુસ્લિમ મેયર બન્યા છે.
મમદાનીએ નેહરૂને યાદ કરતા શું કહ્યું?
ન્યૂયોર્કમાં મેયરની ચૂંટણી જીત્યા બાદ મમદાનીએ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના ઐતિહાસિક 'ટ્રાયસ્ટ વિથ ડેસ્ટિની' ભાષણનો ઉલ્લેખ કરતા કહ્યું,"ક્યારેક, ઇતિહાસમાં એક એવી ક્ષણ આવે છે જ્યારે આપણે જૂનાથી નવા તરફ આગળ વધીએ છીએ, જ્યારે એક યુગનો અંત આવે છે, અને જ્યારે લાંબા સમયથી દબાયેલા રાષ્ટ્રનો આત્મા અભિવ્યક્તિ શોધે છે." નિષ્ણાતો મમદાનીના ભાષણને ભારત સાથેના તેમના જોડાણ અને તેમની ભાવિ નીતિઓ સાથે જોડી રહ્યા છે.
2020માં મમદાનીએ લડી પહેલી ચૂંટણી
રાજકારણમાં આવતા પહેલાં જોહરાન સામાજિક કાર્યકર તરીકે કામ કરતા હતા. તેઓ ન્યૂયોર્કમાં ફોરક્લોઝર કાઉન્સિલર તરીકે કામ કરતા હતા અને આ દરમિયાન ઓછી આવક ધરાવતા પરિવારોને મદદ કરતા હતા. તેમણે જોયું કે અહીં માત્ર આર્થિક જ નહીં, પણ નીતિઓમાં પણ સમસ્યાઓ છે. આ પછી તેમણે રાજકારણમાં આવવાનું મન બનાવ્યું.
વર્ષ 2020માં તેમણે પોતાની પહેલી ચૂંટણી લડી અને ન્યૂયોર્ક એસેમ્બલીના 36મા ડિસ્ટ્રિક્ટમાંથી ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ પાર્ટીની ટિકિટ પર જીત મેળવી. હવે, ન્યૂયોર્ક મેયરની પ્રાઇમરી ચૂંટણીમાં તેમણે પૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમોને પાછળ છોડીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે.
યુગાન્ડામાં મમદાનીનો જન્મ થયો
ભારતીય મૂળના મમદાની જાણીતા ફિલ્મમેકર મીરા નાયર અને કોલંબિયા યૂનિવર્સિટીના પ્રોફેસર મહમૂદ મમદાનીના પુત્ર છે. મમદાનીનો જન્મ યુગાન્ડાના પાટનગર કંપાલામાં થયો હતો અને સાત વર્ષની વયે તે પોતાના પરિવાર સાથે ન્યૂયોર્ક આવી ગયા હતા. મમદાનીએ વર્ષ 2018માં અમેરિકાનું નાગરિકત્વ મેળવ્યું હતું. મમદાનીએ 'બ્રૉન્કસ હાઇસ્કૂલ ઓફ સાયન્સ'માં અભ્યાસ કર્યો છે અને બૉડવિન કોલેજમાંથી આફ્રિકન સ્ટડીઝમાં ગ્રેજ્યુએશન થયા છે.

