‘અમને અમેરિકા પર વિશ્વાસ નથી’, ઈસ્લામાબાદમાં મંત્રણા નિષ્ફળ ગયા બાદ ઈરાનના સ્પીકરનું નિવેદન

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી કરવા માટેની બે દિવસથી બેઠક ચાલી રહી છે, જોકે હજુ સુધી બંને દેશો વચ્ચે કોઈપણ સમજૂતી થઈ શકી નથી. બેઠકને લઈને ઈરાન સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબફે કહ્યું કે, ઈરાન સારી નિયતથી વાતચીત કરવા આવ્યું હતું, જોકે અમેરિકા ઈરાનનો વિશ્વાસ હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું છે.
‘ઈરાનની નિયત સારી, અમેરિકા પર વિશ્વાસ નહીં’
ગાલિબફે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અનેક પોસ્ટ કરી છે. તેમણે કહ્યું છે કે, ઈરાને સારી નિયતથી વાતચીત શરૂ કરી હતી, જોકે અગાઉ વિવાદોના કારણે અમેરિકા પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. છેલ્લા બે યુદ્ધના અનુભવના કારણે અમને અમેરિકા પર ભરોસો નથી. ઈરાનના પ્રતિનિધિમંડળે બેઠકમાં રજૂ કરેલા પ્રસ્તાવ પર કોઈ ધ્યાન અપાયું નથી.
ઈસ્લામાબાદમાં 21 કલાક હાઈવોલ્ટેજ ડ્રામા
ઉલ્લેખનીય છે કે, અમેરિકા-ઈઝરાયલ સંયુક્ત રીતે ઈરાન સાથે યુદ્ધ શરૂ કર્યું હતું, ત્યારપછી અમેરિકા-ઈરાન વચ્ચે 14 દિવસના યુદ્ધવિરામની જાહેરાત કરી દેવામાં આવી છે. હવે યુદ્ધવિરામ પછી પણ યુદ્ધ ન થાય તે માટે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં બંને દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે બેઠક યોજાઈ છે. શનિવારે અને રવિવારે યોજાયેલી બેઠકમાં 21 કલાક સુધી વાતચીત ચાલી હતી, જોકે હજુ સુધી કોઈપણ પરિણામ સામે આવ્યું નથી. બંને દેશો મતભેદ દૂર કરવામાં નિષ્ફળ ગયા છે. રિપોર્ટ મુજબ બેઠકમાં ઈરાનના ન્યૂક્લિયર કાર્યક્રમને લઈને વિવાદ ઉભો થયો છે.
‘અમેરિકા અમારો વિશ્વાસ જીતી શકે છે કે નહીં’
ઈરાની સ્પીકરે કહ્યું છે કે, ‘અમેરિકાએ અમારા તર્ક અને સિદ્ધાંતો સમજી લીધા છે, જોકે હવે એ સમય આવ્યો છે કે, અમેરિકા અમારો વિશ્વાસ જીતી શકે છે કે નહીં. અમે અમારા દેશના અધિકારને જાળવી રાખવા માટે સૈન્ય લડતનો ઉપયોગ કરવા માંગતા નથી, પરંતુ અમે ડિપ્લોમેસીને પણ માનીએ છે. ઈરાન પોતાની નેશનલ ડિફેન્સ ક્ષમતા વધારવાનો પ્રયાસો ચાલુ રાખશે.
ઈરાની સ્પીકરે પાકિસ્તાનનો આભાર માન્યો
ઈરાની સ્પીકરે ઈસ્લામાબાદમાં વાતચીત કરવામાં મદદ કરવા બદલ પાકિસ્તાનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાને અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. યુદ્ધવિરામની શરતોમાં હુમલા અટકાવવા અને હોર્મુઝ જળમાર્ગ ફરી ખોલવાનો મુદ્દો સામેલ છે. જોકે યુદ્ધવિરામ છતાં તણાવ ચાલી રહ્યો છે. બંને દેશો એકબીજા સામે સતત આક્ષેપબાજી કરી રહ્યા છે.

