VIDEO: ન્યૂયોર્કમાં ખાલિસ્તાનીઓ દ્વારા તિરંગાનું અપમાન; કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુની કડક ચેતવણી- 'આ ભૂલ ખૂબ ભારે પડશે'
અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે આરએસએસ (RSS) પ્રમુખ મોહન ભાગવતના કાર્યક્રમ બહાર ખાલિસ્તાની સમર્થકો દ્વારા ભારતીય તિરંગાનું અપમાન કરવામાં આવ્યું હતું. આ શરમજનક ઘટના પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સખત વાંધો ઉઠાવતા ઉપદ્રવીઓને કડક ચેતવણી આપી છે કે સરકારની ટીકા સ્વીકાર્ય છે, પરંતુ તિરંગા અને ભારતનું અપમાન કરનારાઓને આ ભૂલ ખૂબ ભારે પડશે.
મેડિસન સ્ક્વેર ગાર્ડન બહાર શરમજનક હરકત
શનિવાર, 29 ઓગસ્ટના રોજ ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનના ઇન્ફોસિસ થિયેટરમાં 'યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું સંબોધન હતું. આ કાર્યક્રમ દરમિયાન ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત આતંકી સંગઠન 'શીખ ફોર જસ્ટિસ' (SFJ) સાથે જોડાયેલા ખાલિસ્તાની સમર્થકોએ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન એક દેખાવકાર તિરંગાને પગ સાથે બાંધીને પોઝ આપતો અને અન્ય પ્રદર્શનકારીઓ રાષ્ટ્રધ્વજને ફાડતા કેમેરામાં કેદ થયા હતા. આ ઉપરાંત તેમણે મોહન ભાગવતના કટ-આઉટને જૂતાની માળા પહેરાવી દેશવિરોધી નારેબાજી કરી હતી.
સરકારની ટીકા મંજૂર, પણ ભારતનું અપમાન નહીં: રિજિજુ
આ વાઈરલ વીડિયો પર કડક વલણ અપનાવતા કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, દેશમાં સરકાર, ભાજપ કે આરએસએસની ટીકા કરવાની દરેકને આઝાદી છે, પરંતુ ભારત અને તિરંગાનું અપમાન કોઈપણ ભોગે સહન કરવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં લખ્યું કે, "કાન ખોલીને સાંભળી લો… અમારા રાષ્ટ્રીય ધ્વજ અને મારા દેશનું અપમાન ના કરો. આ ભૂલ તમને ખૂબ ભારે પડશે."
આરએસએસના કાર્યક્રમ વખતે બની ઘટના
આરએસએસના શતાબ્દી વર્ષ નિમિત્તે મોહન ભાગવત ત્રણ દેશોના પ્રવાસે અમેરિકા પહોંચ્યા હતા. એક તરફ મેડિસન સ્ક્વેરમાં હજારો ભારતીય પ્રવાસીઓ તેમનું વક્તવ્ય સાંભળવા એકઠા થયા હતા, ત્યારે બીજી તરફ વિરોધી સંગઠનો આ કાર્યક્રમથી અકળાઈ ગયા હતા. ભારત સરકાર હવે આ અપમાનજનક ઘટના અને તેમાં સામેલ તત્વો સામે કડક કાનૂની પગલાં ભરવાની તૈયારી કરી રહી છે.

