બાંગ્લાદેશ:ચીફ જસ્ટિસ અને ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનના ઘરમાં તોડફોડ અને લૂંટફાટ, રસ્તા પર પ્રદર્શનકારીઓ

બાંગ્લાદેશમાં તખ્તાપલટ અને શેખ હસીનાના રાજીનામા બાદ દેશના વિવિધ વિસ્તારોમાં હિંસાનું વાતાવરણ છે. કેટલીક જગ્યાએ તોડફોડ અને કેટલીક જગ્યાએ આગચંપીના અહેવાલો છે. બાંગ્લાદેશી ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મશરફે મોર્તઝાના ઘરને પ્રદર્શનકારીઓએ આગ લગાવી દીધી હતી. દેખાવકારોએ નારેલમાં મશરફે મુર્તઝાના મુખ્ય ઘરને આગ ચાંપી દીધી હતી.
વિરોધીઓએ બાંગ્લાદેશમાં કથિત 'નરસંહાર અને વિદ્યાર્થીઓની સામૂહિક ધરપકડ' અંગે શાસક અવામી લીગ પાર્ટીના સાંસદ મુર્તઝા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. આ ઘટના પછી જે દ્રશ્યો સામે આવ્યા તેમાં, દેખાવકારો દ્વારા તેમના ઘરની તોડફોડ અને આગ લગાડવામાં આવી હતી.
બાંગ્લાદેશી ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મશરફે મોર્તઝાના ઘરને સળગાવ્યું

મોર્તઝાએ અલગ-અલગ ફોર્મેટમાં 117 મેચોમાં બાંગ્લાદેશની કેપ્ટનશિપ કરી હતી, જે તેના દેશ માટે સૌથી વધુ છે. તેમની લાંબી ક્રિકેટ કારકિર્દી દરમિયાન, તેણે 36 ટેસ્ટ, 220 ODI અને 54 T20 મેચોમાં પ્રભાવશાળી 390 દેખાવ કર્યા અને 2,955 રન બનાવ્યા. નિવૃત્તિ પછી, તેમણે 2018 માં તેમની રાજકીય ઇનિંગ્સ શરૂ કરી અને શેખ હસીનાના નેતૃત્વવાળી અવામી લીગમાં જોડાયા. તેઓ નરેલ-2 બેઠક પરથી સાંસદ તરીકે જીત્યા હતા.
ચીફ જસ્ટિસના ઘરમાં લૂંટફાટ
ઢાકામાં પ્રદર્શનકારીઓ દ્વારા બાંગ્લાદેશના મુખ્ય ન્યાયાધીશના ઘરની લૂંટ કરવામાં આવી હતી. બાંગ્લાદેશનું પોલીસ તંત્ર સાવ પડી ભાંગ્યું છે, રસ્તાઓ પર પોલીસ નથી. બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડના સૈનિકોને પણ પાછા ખેંચી લેવામાં આવ્યા છે અને તેઓ ફરજ પર નથી. બાંગ્લાદેશના રસ્તાઓ પર માત્ર સેનાના જવાનો જ તૈનાત છે, પરંતુ તેમની સંખ્યા ઓછી છે.
બંગબંધુ ભવનમાં તોડફોડ અને આગચંપી
બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાનના સત્તાવાર નિવાસસ્થાન 'બંગબંધુ ભવન'માં તોડફોડ કરવામાં આવી હતી અને આગ લગાવવામાં આવી હતી. તે ઢાકાના ધાનમોન્ડીમાં સ્થિત એક ઐતિહાસિક ઇમારત છે, જેનો ઉપયોગ શેખ મુજીબુર રહેમાને તેમના ખાનગી નિવાસસ્થાન તરીકે કર્યો હતો.

