ભારત પર ટેરિફ બોમ્બ,આસીમ મુનીરને આમંત્રણ, વારંવાર અમેરિકા કેમ જઈ રહ્યું છે પાકિસ્તાન આર્મી ચીફ પાસે?

પાકિસ્તાનના આર્મી ચીફ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીર ફરી એકવાર અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે. આ મહિને તેમની અમેરિકાની મુલાકાત થશે. બે મહિનાની અંદર આ તેમની બીજી યુએસ મુલાકાત હશે. આ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે ગાઢ દ્વિપક્ષીય સંબંધો દર્શાવે છે.
અસીમ મુનીર યુએસ આર્મી જનરલ અને યુનાઇટેડ સ્ટેટ્સ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) કમાન્ડર માઈકલ કુરિલાના વિદાય સમારંભમાં હાજરી આપવા વોશિંગ્ટન જઈ રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન કુરિલાએ પાકિસ્તાનને આતંકવાદનો સામનો કરવા માટે એક ઉત્તમ ભાગીદાર ગણાવ્યું હતું.
મધ્ય પૂર્વમાં યુએસ આર્મીનું નેતૃત્વ કરનારા આર્મી જનરલ કુરિલા આ મહિનાના અંતમાં નિવૃત્ત થઈ રહ્યા છે. થોડા મહિના પહેલા, કુરિલાએ અમેરિકન ગુપ્ત માહિતીનો ઉપયોગ કરીને પાંચ ISIS આતંકવાદીઓને પકડવા બદલ પાકિસ્તાનની પ્રશંસા કરી હતી.
કુરિલાએ તે સમયે કહ્યું હતું કે પાકિસ્તાન સમગ્ર વિશ્વમાં આતંકવાદનો સામનો કરવા માટે એક ઉત્તમ ભાગીદાર રહ્યું છે. જેથી આપણે પાકિસ્તાન અને ભારત સાથે સંબંધો મજબૂત કરવાની જરૂર છે.
આ વર્ષે જૂનમાં અસિમ મુનીર પાકિસ્તાનના પાંચ દિવસના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન, તેમણે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લંચ પણ કર્યું હતું. બંનેની મુલાકાત લગભગ બે કલાક ચાલી હતી. બાદમાં, વ્હાઇટ હાઉસના પ્રવક્તા અન્ના કેલીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે જનરલ મુનીરને મળવા માટે બોલાવ્યા હતા કારણ કે મુનીરે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત પરમાણુ યુદ્ધ અટકાવવા માટે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની ભલામણ કરી હતી.
નોંધનીય છે કે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. યુક્રેન યુદ્ધ પછી રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલની સતત ખરીદીને કારણે ટ્રમ્પે ભારત પર આ વધારાનો ટેરિફ લાદ્યો છે. આ સાથે, અમેરિકાએ હવે ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદ્યો છે.
અમેરિકાએ તાજેતરમાં પાકિસ્તાન સાથે તેલ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બંને દેશો વચ્ચેના આ વેપાર અને ઉર્જા કરાર અંતર્ગત પાકિસ્તાનના વિશાળ તેલ ભંડારને વિકસાવવામાં સહયોગ કરશે.

