યુક્રેન નજીક ભારતીય ખલાસીઓ ધરાવતા જહાજને ફરી નિશાન બનાવાયું, બે ક્રૂ મેમ્બર લાપતા

યુક્રેનના ઓડેસા બંદર પર રવિવારે (26 જુલાઈ) 4 ભારતીય નાગરિકો ધરાવતા એક વેપારી જહાજ પર હુમલો થયો હતો. કીવ સ્થિત ભારતીય દૂતાવાસના સત્તાવાર નિવેદન અનુસાર, ક્રૂ મેમ્બરના 2 સભ્યો સુરક્ષિત હોવાનું કહેવાય છે, જ્યારે બાકીના 2 સભ્યો વિશેની માહિતીની હજુ પણ રાહ જોવાઈ રહી છે. દૂતાવાસના નિવેદન મુજબ, આ ઘટના શનિવારે બની હતી, જ્યારે ઓડેસા બંદર પર 'MV AGN Ragnar' નામના જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઓડેસા એ યુક્રેનના મહત્વપૂર્ણ બ્લેક સી (કાળા સમુદ્ર) બંદરોમાંથી એક છે, જેના પર 2022માં રશિયા-યુક્રેન સંઘર્ષ શરૂ થયા પછી, અનેક વખત હુમલા થયા છે. ભારતીય મિશને પોતાના નિવેદનમાં કહ્યું છે કે, તે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના ઓડેસા બંદર પર રશિયન હુમલામાં 4 ભારતીય નાવિકોના મોત થયાના થોડા જ દિવસો બાદ બની છે.
દૂતાવાસ એજન્સીઓના સંપર્કમાં
યુક્રેનની રાજધાની કીવ સ્થિત ભારતીય દૂતાવાસે રવિવારે માહિતી આપી હતી કે, જહાજ પર રહેલા બે ભારતીય ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે, જ્યારે અન્ય બે ભારતીયો વિશેની માહિતીની રાહ જોવાઈ રહી છે. દૂતાવાસે જણાવ્યું કે, તે સ્થાનિક સત્તાવાળાઓ અને સંબંધિત એજન્સીઓના સંપર્કમાં છે, અને ભારતીય નાગરિકોની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. આ ઘટના અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
તાજેતરમાં જ 4 ભારતીય નાવિકોના મોત થયા હતા
તાજેતરમાં જ યુક્રેનના કિનારા પાસે એક કાર્ગો જહાજ પર થયેલા હુમલામાં 4 ભારતીય નાવિકોના મોત થયા હતા, જ્યારે અન્ય 1 ભારતીય ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બાદ ભારતે રશિયાના ચાર્જ ડી અફેર્સ (ચાર્જ ડી એમ્બેસેડર)ને સમન્સ પાઠવીને, આ હુમલા સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. વિદેશ મંત્રાલયે રશિયન રાજદ્વારીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જે રીતે વેપારી જહાજ પર હુમલો કરવામાં આવ્યો, અને તેમાં ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યો, તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.

