શેખ હસીનાને બાંગ્લાદેશની યાદ આવી; કહ્યું, 'મારે મજબૂરીથી અન્ય દેશમાં શરણ લેવું પડયું'

બાંગ્લાદેશમાં પોતાની સરકાર પડી ભાંગ્યા બાદથી શેખ હસીના દિલ્હીમાં કોઈ અજ્ઞાત સ્થળે રહે છે. દરમિયાન બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું હતું કે, 'હું સ્વદેશ જવા ઇચ્છું છું પરંતુ પહેલા ત્યાં સંપૂર્ણ લોકશાહી સ્થપાવી જોઈએ અને લોકોની ચૂંટાયેલી સરકાર હોવી જોઈએ. ગેરકાયદે અને કટ્ટરપંથીઓએ આપેલા ટેકાથી રચાયેલી સરકાર દેશને અંધકાર તરફ લઈ જઈ શકે તેમ છે.'
મારે મજબૂરીથી અન્ય દેશમાં શરણ લેવું પડયું: શેખ હસીના
તેમણે કહ્યું, અમારા પક્ષ 'આવામી લીગ'ને ચૂંટણી પ્રક્રિયામાંથી બહાર રાખવો તે વિધિસરનું નથી તે ચૂંટણીઓ એક ચૂંટાયા સિવાયની સરકાર દ્વારા તૈયાર કરાયેલા અને અસંવૈધાનિક માળખા નીચે કરવામાં આવશે મારે મજબૂરીથી અન્ય દેશમાં શરણ લેવું પડયું છે. આવામી લીગને જનતાએ નવ વખત ચૂંટી કાઢી તેને જ ચૂંટણી લડવાથી રોકવામાં આવી છે તેથી લાખ્ખો મતદારોનો લોકતાંત્રિક અધિકાર છીનવી લેવાયો છે.'
'બાંગ્લાદેશ સ્થિરતા ઇચ્છે છે'
તેઓએ આગળ કહ્યું, 'આવામી લીગ સરકારમાં હોય કે વિપક્ષમાં હોય પરંતુ તેની ઉપેક્ષા થઈ શકે તેમ જ નથી. દેશના હિતમાં તેની ઉપર મુકાયેલા પ્રતિબંધો દૂર કરવા જ જોઈએ. જો તેમ નહીં થાય તો બાંગ્લાદેશ તે તક ગુમાવી દેશે કે જ્યારે એવી સરકાર ત્યાં રચી શકાય કે જે જનતાની સહમતિથી શાસન કરે. બાંગ્લાદેશ સ્થિરતા ઇચ્છે છે અને પ્રતિબંધોનું વિષચક્ર હવે પૂરું જ થવું જોઈએ.'
તેમણે વધુમાં કહ્યું હતું કે, 'લોકોને તેમની સરકાર રચવાનો અધિકાર મળવો જોઈએ અને સામાન્ય નાગરિક તે પછી ગમે તે પક્ષના હોય, કોઈપણ ધર્મનો હોય પરંતુ તેને સંપૂર્ણ રક્ષણ મળવું જોઈએ.'

