બાંગ્લાદેશમાં રામ મંદિર અને મૂર્તિ વિવાદ: દોષિતોની ધરપકડ ન થતાં હિંદુ સમુદાય લાલઘૂમ

મુસ્લિમ બહુમતી ધરાવતા પડોશી દેશ બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓના અધિકારો અને સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર ચિંતાઓ સામે આવી છે. રાજધાની ઢાકામાં શુક્રવારે હજારો હિંદુઓએ ભગવાન રામની તસવીરના કથિત અપમાન અને એક ભવ્ય મૂર્તિના નિર્માણ કાર્યને કટ્ટરપંથીઓ દ્વારા રોકવામાં આવવાના વિરોધમાં વિશાળ મશાલ સરઘસ કાઢ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન ભારે સંખ્યામાં ઉમટેલી મેદનીએ 'જય શ્રી રામ'ના ગગનભેદી નારા લગાવ્યા હતા.
ઢાકાની સડકો પર ઉતરી જનમેદની: દોષિતોની ધરપકડ માટે 72 કલાકનું અલ્ટીમેટમ
કટ્ટરપંથીઓ દ્વારા રંગપુરમાં ભગવાન રામની સૌથી ઊંચી મૂર્તિના નિર્માણનો વિરોધ કરવા અને તેમની તસવીરનું અપમાન કરવાના કારણે હિંદુ સમુદાયમાં ભારે રોષ છે. 'હિંદુ મહાજોટ'ના આહવાન પર અનેક હિંદુ સંગઠનો અને વિદ્યાર્થીઓ શાહબાગ ચોકડી પર એકઠા થયા હતા અને ત્યાંથી નેશનલ પ્રેસ ક્લબ સુધી કૂચ કરી હતી. પ્રેસ ક્લબ સામે માનવ સાંકળ પણ બનાવવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશની તારિક રહમાન સરકારને દોષિતોની ધરપકડ કરવા માટે 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે અને ચેતવણી આપી છે કે જો માંગણીઓ પૂરી નહીં થાય તો દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે.
શું છે સમગ્ર વિવાદ?
ઉત્તરી ગાઈબાંધા જિલ્લાના પલાશબાડીમાં એક મંદિર પરિસરમાં ભગવાન રામની 81 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિનું નિર્માણ થઈ રહ્યું હતું, જેનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ આશરે 22 કરોડ બાંગ્લાદેશી ટકા નો પ્રોજેક્ટ છે. જો કે, કટ્ટરપંથી જૂથો અને એક મૌલવી દ્વારા બુલડોઝરથી મૂર્તિ તોડી પાડવાની ધમકી મળ્યા બાદ, સામાજિક સૌહાર્દ જાળવવા માટે હાલ પૂરતું કામ રોકી દેવાયું છે. આ ઘટનાથી ડરના ઓથાર હેઠળ જીવી રહેલા આયોજકોએ વડાપ્રધાન તારિક રહમાન પાસે હસ્તક્ષેપની માંગ કરી છે.
બાંગ્લાદેશમાં હિંદુઓ પર સતત વધી રહેલા હુમલા
બાંગ્લાદેશમાં હિંદુઓ સૌથી મોટો ધાર્મિક લઘુમતી સમુદાય છે, જે કુલ વસ્તીના અંદાજે 8 ટકા છે. અગાઉની મોહમ્મદ યુનુસ સરકાર બાદ સત્તામાં આવેલા વડાપ્રધાન તારિક રહમાને દેશ 'સૌનો છે' તેવા દાવા કર્યા હતા, પરંતુ વાસ્તવિકતા અલગ છે. આંકડા અનુસાર, આ વર્ષે માત્ર 1 જાન્યુઆરીથી 31 માર્ચ વચ્ચે જ સાંપ્રદાયિક હિંસાની 133 ઘટનાઓ નોંધાઈ ચૂકી છે, જે લઘુમતીઓની સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કરે છે.

