ભારતના 'ઓપરેશન સિંદૂર' થી પાકિસ્તાનમાં ખળભળાટ, મરિયમ નવાઝે પંજાબમાં ઈમરજન્સી કરી જાહેર

બુધવારે વહેલી સવારે 'ઓપરેશન સિંદૂર' હેઠળ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. એવામાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મુખ્યમંત્રી મરિયમ નવાઝે કટોકટી જાહેર કરી છે.
પાકિસ્તાનના પંજાબમાં હાઈ એલર્ટ
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝે એક મોટો નિર્ણય લીધો છે. ભારતીય મિસાઇલ હુમલા બાદ પંજાબમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા સંબંધિત તમામ વિભાગો અને વહીવટી એકમોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
ડોકટરો અને તબીબી કર્મચારીઓની રજાઓ રદ
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'પંજાબ પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. તમામ જિલ્લાઓના વહીવટી એકમોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત, બધા ડોકટરો અને તબીબી કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે અને તેમને તાત્કાલિક ફરજ પર પાછા ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે.'
રાહત અને બચાવ કાર્યમાં કોઈ કમી ન રહે તે માટે નાગરિક સંરક્ષણ સહિત તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને પણ બોલાવવામાં આવ્યા છે. હુમલા પછી તરત જ, પાકિસ્તાને તેનું હવાઈ ક્ષેત્ર સંપૂર્ણપણે બંધ કરી દીધા બાદ હવે આંશિક રીતે ખોલવામાં આવી રહ્યું છે.
કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ
જાહેર સલામતીને પ્રાથમિકતા આપતા, પંજાબ સરકારે તાત્કાલિક અસરથી તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત, આજે યોજાનારી બધી પરીક્ષાઓ આગામી આદેશો સુધી મુલતવી રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને કોઈપણ અફવાઓને અવગણવા અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
90થી વધુ આતંકીઓનો સફાયો કરાયાની પ્રાથમિક જાણકારી
પ્રાથમિક જાણકારી અનુસાર ઓપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા પાકિસ્તાનમાં કરાયેલી એરસ્ટ્રાઇકમાં કુલ 90થી વધુ આતંકીઓનો સફાયો થઈ ગયાની માહિતી મળી રહી છે. પાકિસ્તાનના મુરિદકેમાં 30 આતંકીઓ માર્યા ગયા છે. જ્યારે અન્ય બીજા આતંકી કેમ્પમાં પણ ડઝનેક આતંકીઓનો સફાયો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે લગભગ 9 જેટલા આતંકી ઠેકાણે હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.

