ચીન-તિબેટમાં ભૂકંપમાં 90થી વધુ લોકોના મોત, ભારતમાં પણ અનુભવાયા હતા આંચકા

તિબેટમાં વહેલી સવાર 6.35 વાગ્યાથી છેલ્લા છ કલાકમાં ભૂકંપના કુલ 14 આચંકાઓના કારણે ભારે તારાજી સર્જાઈ છે. 7.1 તીવ્રતાના ભૂકંપમાં અનેક ઈમારતો ધરાશાયી થઈ છે. આશરે 95થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને 140થી વધુ લોકો ઘવાયા છે. બચાવ કામગીરી ચાલુ છે, મોતનો આંકડો સતત વધી રહ્યો છે.
એક કલાકની અંદર જ ભૂકંપના 6 ઝટકા
તિબેટમાં મંગળવાર સવારે એક કલાકની અંદર જ ભૂકંપના 6 ઝટકા અનુભવાયા હતા જેમાં રિક્ટર સ્કેલ પર 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ પણ સામેલ છે. ન્યૂઝ એજન્સી અનુસાર ભૂકંપમાં તિબેટીયન ક્ષેત્રમાં ઓછામાં ઓછા 95 લોકોના મોત થયા છે જ્યારે 62 લોકો ઘાયલ થયા છે.
કેટલીક બિલ્ડિંગ સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ મોટા પાયે નુકસાન થયું છે. ભારત, નેપાળ, બાંગ્લાદેશ અને ભૂટાનના કેટલાક વિસ્તારમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. સિક્કિમ સહિત પૂર્વોત્તર ભારતના અન્ય રાજ્ય બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત ઉત્તર ભારતના વિવિધ ભાગમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. નેપાળના પાટનગર કાઠમાંડુમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાતા લોકો ઘરની બહાર આવી ગયા હતા.
તિબેટમાં હતું ભૂકંપનું કેન્દ્ર
યૂનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર તિબેટના શિજાંગમાં હતું. તિબેટ સિવાય ભારત, બાંગ્લાદેશ અને નેપાળમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.
કેમ આવે છે ભૂકંપ?
પૃથ્વી પર ચાર મુખ્ય સ્તરો છે, જેને આંતરિક કોર, બાહ્ય કોર, મેન્ટલ અને ક્રસ્ટ કહેવામાં આવે છે. માહિતી અનુસાર, પૃથ્વીની નીચે રહેલી પ્લેટો ફરતી રહે છે, જ્યારે તે એકબીજા સાથે અથડાય છે, ત્યારે પૃથ્વીની સપાટીની નીચે કંપન શરૂ થાય છે. જ્યારે આ પ્લેટો તેમની જગ્યાએથી ખસી જાય છે, ત્યારે ભૂકંપના આંચકા અનુભવાય છે.

