'હવે ત્યાં બેસવાની પણ જગ્યા નથી બચી,ભસ્મીભૂત થયું મુરીદકે', Operation Sindoor બાદ લશ્કરના ટોપ કમાન્ડરનો સ્વીકાર

ભારતીય સેનાની રણનીતિ અને સરહદ પાર આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવેલા પ્રહારોએ આતંકી સંગઠનોની ઊંઘ હરામ કરી દીધી છે. મે 2025માં હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) ની વિનાશક અસરો હવે ખુદ આતંકી સંગઠનો સ્વીકારી રહ્યા છે. આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર અબ્દુલ રઉફનો એક તાજેતરનો ઓડિયો/વીડિયો સંદેશ સામે આવ્યો છે, જેમાં તેણે મુરીદકે સ્થિત તેમના મુખ્યાલયની જે હાલત થઈ છે તેનો પર્દાફાશ કર્યો છે.
લશ્કરનું સૌથી મોટું કબૂલાતનામું: "મુરીદકે હવે રહેવા લાયક નથી"
લશ્કર-એ-તૈયબાના પ્રમુખ નેતાઓમાંના એક અબ્દુલ રઉફે એક કાર્યક્રમ દરમિયાન સ્વીકાર્યું કે 6 અને 7 મેના રોજ થયેલા ભારતીય મિસાઇલ હુમલાઓએ સંગઠનની કમર તોડી નાખી છે. પાકિસ્તાનના મુરીદકેમાં નવા આતંકીઓને સંબોધતા રઉફે કહ્યું:
"6-7 મેના રોજ જે થયું, ત્યારબાદ તે જગ્યા હવે મસ્જિદ નથી રહી. આજે આપણે ત્યાં બેસી પણ શકીએ તેમ નથી. તે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે અને જમીનદોસ્ત થઈ ગઈ છે."
આ નિવેદન મહત્ત્વનું છે કારણ કે લશ્કર જેવા સંગઠનો સામાન્ય રીતે પોતાની નબળાઈ કે નુકસાનને ક્યારેય જાહેરમાં સ્વીકારતા નથી. રઉફના આ શબ્દો ભારતીય સ્ટ્રાઇકની સચોટતા (Precision) નો પુરાવો છે.
ઓપરેશન સિંદૂર
ભારતીય સેના દ્વારા મે મહિનાના પ્રથમ સપ્તાહમાં સરહદ પાર આતંકી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવા માટે 'ઓપરેશન સિંદૂર' ચલાવવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ અત્યંત આધુનિક મિસાઇલોનો ઉપયોગ કરીને સર્જિકલ સ્ટ્રાઇક જેવી જ સચોટતાથી હુમલો કર્યો હતો. આ હુમલામાં લશ્કરના તાલીમ કેન્દ્રો, શસ્ત્રાગાર અને મુખ્યાલયને ભારે નુકસાન થયું હતું.
મિસાઇલ પડવાની ગણતરીની સેકન્ડો પહેલા આતંકીઓ ભાગ્યા
અબ્દુલ રઉફે તેના સંબોધનમાં એક ચોંકાવનારી વિગત આપી હતી. તેણે જણાવ્યું કે જ્યારે ભારતીય મિસાઇલો ત્રાટકી, તેના ગણતરીના પળો પહેલા જ ત્યાં હાજર તાલીમાર્થી આતંકીઓને કેમ્પમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ માહિતી સ્પષ્ટ કરે છે કે ભારતીય ગુપ્તચર એજન્સીઓ પાસે કેમ્પની પળેપળની સચોટ માહિતી હતી. અને બીજું કે હુમલો એટલો અચાનક અને તીવ્ર હતો કે આતંકીઓને સંભળવાની તક સુધ્ધાં મળી નહોતી.
અબ્દુલ રઉફ: વિનાશનો સાક્ષી
અબ્દુલ રઉફ એ જ કમાન્ડર છે જેણે હુમલામાં માર્યા ગયેલા આતંકીઓના અંતિમ સંસ્કારની જવાબદારી સંભાળી હતી. તે સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા જનાજા (અંતિમ યાત્રા) ના ફોટાઓએ ભારે નુકસાનના સંકેતો આપ્યા જ હતા, પરંતુ હવે રઉફના સત્તાવાર નિવેદને તેના પર મહોર મારી દીધી છે.
મુરીદકે: લશ્કરના 'હબ'નો અંત?
મુરીદકે દાયકાઓથી લશ્કર-એ-તૈયબાનું વૈચારિક અને સૈન્ય ગઢ રહ્યું છે. અહીં જ આતંકીઓને ભારત વિરુદ્ધ તૈયાર કરવામાં આવતા હતા. અને તાલીમ આપવામાં આવતી હતી. ભારતીય સેનાએ આ 'હબ'ને નિશાન બનાવીને આતંકવાદના પાયા પર ઘા કર્યો છે. રઉફના જણાવ્યા મુજબ, હવે આ જગ્યા કામ કરવા લાયક રહી નથી, જે લશ્કર માટે મોટો વ્યૂહાત્મક ફટકો છે.

