VIDEO: 'Operation Sindoor'માં મસૂદનો આખો પરિવાર માર્યો ગયો, જૈશ કમાન્ડરે કરી કબૂલાત

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર'માં કુખ્યાત આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના ચીંથરા ઉડી ગયા. આ વાતની પુષ્ટિ કેમેરાની સામે જૈશના કમાન્ડર મસૂદ ઇલ્યાસે કરી છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે કરેલી કાર્યવાહીમાં મસૂદના પરિવારના ઘણા સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો હતા. પરંતુ હવે મસૂદના ખાસ આતંકવાદીની કબૂલાતથી ભારતના દાવાની પુષ્ટિ થઈ છે.
જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર આતંકવાદી મસૂદ ઇલ્યાસે પહેલી વાર કબૂલાત કરી છે. તેણે કહ્યું છે કે ઓપરેશન સિંદૂરમાં બહાવલપુરમાં મસૂદ અઝહરનો આખો પરિવાર માર્યો ગયો હતો. ભારતીય સેનાએ બહાવલપુરમાં જૈશના ઠેકાણા પર મિસાઈલ હુમલો કર્યો હતો, જેમાં મસૂદ અઝહરનો પરિવાર નાશ પામ્યો હતો. તેના પરિવારના સભ્યોના મૃતદેહ ટુકડાઓમાં મળી આવ્યા હતા. કારણ કે હુમલા સમયે મસૂદ આ સ્થળે ન હોવાથી તેનો જીવ બચી ગયો હતો.
મસૂદ અઝહરના પરિવારનો ઓપરેશન સિંદૂરમાં ખાત્મો
ભારતીય સેનાએ 7 મે, 2025ના રોજ ક્રોસ-બોર્ડર સ્ટ્રાઇક કરી હતી જે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકવાદી કેમ્પને લક્ષ્ય બનાવીને કરવામાં આવી હતી. આ ઓપરેશન પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવ્યું હતું જેમાં 26 લોકોના મોત થયા હતા. આ સ્ટ્રાઇકમાં લશ્કર-એ-તૈયબા (LeT), જૈશ-એ-મોહમ્મદ (JeM) અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી જૂથોના 9 કેમ્પને નિશાન બનાવવામાં આવ્યા હતા જેમાં બહાવલપુર (પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં) JeMનું મુખ્ય તાલીમ કેન્દ્ર મરકઝ સુભાન અલ્લાહ પણ સામેલ હતું. જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરે સ્વીકાર્યું હતું કે આ ઓપરેશનમાં તેના પરિવારના 10 સભ્યો અને 4 નજીકના સાથીઓના પણ મોત થયા હતા. મસૂદ અઝહરે કહ્યું હતું કે, આ મોત પર કોઇ પસ્તાવો કે દુ:ખ નથી.

