ઈસ્લામાબાદ વાટાઘાટોમાં મોટો ભંગાણ: ઈરાને મિટિંગમાં જોડાવાનો ઈનકાર કરતા મિડલ ઈસ્ટમાં ખળભળાટ

ઈરાન અને અમેરિકા વચ્ચે ઈસ્લામાબાદમાં યોજાનારી બીજા રાઉન્ડની શાંતિ વાટાઘાટો પર જોખમના વાદળો છવાયા છે. એક તરફ અમેરિકા વાતચીત માટે તૈયાર હોવાનો દાવો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ઈરાની મીડિયાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ વાટાઘાટોમાં સામેલ થવાના નથી. આ અચાનક આવેલા વળાંકથી મિડલ ઈસ્ટમાં તણાવ વધુ ઘેરો બન્યો છે.
ઈરાને શા માટે કર્યો ઈનકાર?
ઈરાની ન્યૂઝ એજન્સી IRNA (Islamic Republic News Agency) એ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે તેઓ ઈસ્લામાબાદ વાટાઘાટોમાં ગેરહાજર રહેશે. ઈરાને આ નિર્ણય પાછળ વોશિંગ્ટનની 'વધારે પડતી માંગણીઓ' અને 'વાસ્તવિકતાથી દૂર અપેક્ષાઓ' ને જવાબદાર ગણાવી છે. વધુમાં ઈરાને આરોપ લગાવ્યો છે કે અમેરિકા દ્વારા દરિયાઈ નાકેબંધી ચાલુ રાખવી એ સીઝફાયરનું ઉલ્લંઘન છે.
ટ્રમ્પની કડક ચેતવણી: "જો સમજૂતી નહીં થાય તો પાવર પ્લાન્ટ્સ નષ્ટ કરીશું"
રવિવારે જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે જો ઈરાન આ વખતે પ્રસ્તાવિત સમજૂતીનો સ્વીકાર નહીં કરે, તો અમેરિકા તેના મહત્વના પુલો અને પાવર પ્લાન્ટ્સને નિશાન બનાવીને તેને નષ્ટ કરી દેશે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેમની ટીમ જેડી વેન્સની આગેવાનીમાં નવી અને પારદર્શક ડીલ સાથે પાકિસ્તાન પહોંચી રહી છે.
હોર્મુઝની સામુદ્રધુનીમાં ઉકળતો ચરુ
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Hormuz Strait) માં સ્થિતિ અત્યંત સ્ફોટક બની છે. અમેરિકાએ ઈરાની કાર્ગો જહાજને કબજે કર્યા બાદ ઈરાને પણ ડ્રોન ફ્લીટ તૈનાત કરી દીધી છે. ટ્રમ્પના દાવા મુજબ, ઈરાને હોર્મુઝમાં ફ્રેન્ચ અને બ્રિટિશ જહાજો પર ગોળીબાર કરીને સીઝફાયર તોડ્યું છે. બુધવારે સીઝફાયરની મુદત પૂરી થઈ રહી છે તે પહેલા જ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે.
ઘટનાક્રમની મુખ્ય વિગતો:
-
અમેરિકા તરફથી જેડી વેન્સ અને ઈરાન તરફથી મોહમ્મદ બાઘેર કાલિબાફ વચ્ચે મિટિંગ યોજાવાની હતી.
-
સ્થળ: ઈસ્લામાબાદ, પાકિસ્તાન.
-
ઈરાનનો વાંધો: અમેરિકાનું બદલાતું વલણ અને સતત નાકેબંધી.
-
જોખમ: જો વાટાઘાટો સફળ નહીં થાય તો મિડલ ઈસ્ટમાં ફરી મોટું યુદ્ધ ફાટી નીકળવાની ભીતિ છે.
નિષ્ણાતો માની રહ્યા છે કે ઈરાનના આ નિર્ણયથી શાંતિની આખરી આશા પર પણ પાણી ફરી વળ્યું છે. હવે આખી દુનિયાની નજર અમેરિકાના આગામી પગલા પર છે.

