અમેરિકામાં વધુ એક હિન્દુ મંદિરને ટાર્ગેટ કરતા ખાલીસ્તાની, સાઇનબોર્ડ પર લખ્યું 'હિન્દુસ્તાન મુર્દાબાદ'

અમેરિકામાં ફરી હિન્દુ મંદિરને ટાર્ગેટ કરવામાં આવ્યું છે. આ વખતે અમેરિકાના ઇન્ડિયાના રાજ્યના ગ્રીનવુડ સ્થિત બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા(BAPS)ના સ્વામીનારાયણ મંદિરમાં મેઇન સાઇનબોર્ડ પર ભારત વિરુદ્ધ અપમાજનક ટિપ્પણી લખવામાં આવી છે. તેના પર સ્પ્રે પેઇન્ટથી હિન્દુસ્તાન-મોદી મુર્દાબાદ લખી ભારતનું અપમાન કરવામાં આવ્યું છે.
કોન્સ્યુલેટ જનરલે ઘટનાની નિંદા કરી
આ ઘટના સામે આવ્યા બાદ અમેરિકાના શિકાગોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે પ્રતિક્રિયા આપી ઘટનાને નિંદનીય ગણાવી લખ્યું છે કે, ઇન્ડિયાનાના ગ્રીનવુડમાં બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના મુખ્ય સાઇનબોર્ડ પર લખેલી અપમાનજનક ટિપ્પણી નિંદનીય છે.
ઘટનામાં સામેલ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ
કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, કોન્સ્યુલેટ જનરલ સમુદાયના સંપર્કમાં છે. અમે અધિકારીઓ સમક્ષ ઘટનામાં કાયદેસરની કાર્યવાહી કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે. કોન્સ્યુલેટ જનરલે આજે ગ્રીનવુડના મેયર સહિત ભક્તો અને સ્થાનિક નેતૃત્વ હેઠળ એક બેઠક યોજી હતી, જેમાં એકતા રાખવાની સાથે ઘટનામાં સામેલ લોકો વિરુદ્ધ સતર્ક રહેવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.
BAPS પબ્લિક અફેર્સ એક્સ પર લખ્યું છે કે, તાજેતરની ઘટનાએ ધાર્મિક-વિરોધી વ્યવહાર કરનારાઓ વિરુદ્ધ અમારા સમાજને એક થવા માટેનો સંકલ્પ મજબૂત કર્યો છે. પોસ્ટમાં કહેવાયું છે કે, આપણા મંદિરને ઘૃણાસ્પદ કૃત્ય કરીને એક વર્ષમાં ચોથી વખત અપવિત્ર કરવામાં આવ્યું છે. ઇન્ડિયાનાના ગ્રીનવુડમાં બીએપીએસ મંદિરની ઘટનાના વિરોધમાં અમારા સમુદાયને એક થવાનો સંકલ્પ મજબૂત કર્યો છે અને અમે ધાર્મિક વિરોધી ઘટનાઓ વિરુદ્ધ એક છીએ.
અમેરિકામાં હિન્દુ મંદિરોને ટાર્ગેટની ઘટના વધી
અમેરિકન કોંગ્રેસ સાંસદ ટૉમ સુઓજીએ પણ ઘટનાની નિંદા કરી છે. સુઓજીએ લોકોને નફરત અને કટ્ટરવાદ દૂર કરવાની માંગ કરી છે. અમેરિકામાં હિન્દુ મંદિરોને સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. 9 માર્ચ-2025ના રોજ કેલિફોર્નિયાના એક હિન્દુ મંદિરને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું, જેની કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી. આવી જ રીતે તેના થોડાં દિવસ પહેલા કથિત ખાલિસ્તાની બળવાખોરોએ લૉસ એન્જલસમાં બીએપીએસ મંદિરને નુકસાન પહોંચાડ્યું હતું.

