VIDEO: ભારત પાકિસ્તાન બોર્ડર પર બનેલો કરતારપુર કોરિડોર ડૂબ્યો, રાવી નદીમાં પૂરથી ગુરદાસપુર બેહાલ
સાગર ડેમમાંથી રાવી નદીમાં વધુ પડતું પાણી છોડવામાં આવતા પૂર આવ્યું છે. જેને પગલે કરતારપુર સાહિબ ગુરુદ્વારા સંકુલ ડૂબી ગયું છે. આ ગુરુદ્વારા પ્રથમ શીખ ગુરુ, ગુરુ નાનક દેવનું અંતિમ વિશ્રામ સ્થાન છે. ગુરુદ્વારામાં 5થી 7 ફૂટ પાણી ભરાયા છે. પરંતુ ગુરુ ગ્રંથ સાહિબ સુરક્ષિત છે. ભારત-પાકિસ્તાન સરહદની નજીક સ્થિત આ ગુરુદ્વારા કરતારપુર કોરિડોર ખુલ્યા પછી પહેલીવાર પૂરથી પ્રભાવિત થયું છે. હાલમાં આ કોરિડોર ભારત તરફથી બંધ છે.
રાવી નદીના વધતા જળસ્તરને કારણે ગુરદાસપુર જિલ્લામાં પૂરનું જોખમ વધ્યું છે. ભારત-પાક સરહદ પર સ્થિત કરતારપુર કોરિડોર પણ રાવી નદીના પૂરની ઝપેટમાં આવી ગયું છે. પૂરના પાણી સરહદ પર લગાવેલા કાંટાળા તારોને ડૂબાડી રહ્યા છે. જો વરસાદ બંધ નહીં થાય અને પાણીનું જળસ્તર જો હજુ પણ વધ્યું તો આખેઆખો કોરિડોર પાણીમાં ડૂબી જવાની શક્યતા છે. સરહદનું રક્ષણ કરવા માટે BSF જવાનો મજબૂત રીતે ઉભા છે.
ગુરદાસપુરમાં પૂરને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ
ગુરદાસપુર જિલ્લામાં સતત વરસાદ અને રાવી નદીના વધતા જળસ્તરને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે. નદીના વધતા જળસ્તરને કારણે ડેરા બાબા નાનક નજીક ધુસી ડેમ તૂટી જતા નજીકના ઘણા ગામોમાં પૂરનું પાણી ઘૂસી જતા લોકો ઘરોમાં ભરાઈ ગયા છે. ખેતીની જમીન સંપૂર્ણપણે ડૂબી ગઈ છે. ડેરા બાબા નાનક શહેરમાં પણ પાણી ઘૂસવાથી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. લોકો વહીવટીતંત્ર પાસે મદદ માટે વિનંતી કરી રહ્યા છે.
પંજાબના ઘણા ભાગોમાં સતત વરસાદ
પંજાબના વિવિધ ભાગોમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદને કારણે કપૂરથલા જિલ્લામાં પૂરની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. જ્યારે ફિરોઝપુરમાં લોકોએ ખાસ કરીને નદી કિનારે આવેલા ગામડાઓ ખાલી કરાવવાનું શરૂ કરી દીધું છે. પોંગ અને ભાખરા ડેમમાંથી વધારાનું પાણી છોડવા અને ભારે વરસાદને કારણે, સતલજ, બિયાસ અને રાવી નદીઓ સહિત મોસમી નદીઓ અને નાળાઓનું પાણીનું સ્તર ઝડપથી વધ્યું છે. સતત વરસાદ અને ઉભરાતી બિયાસ નદીને કારણે ખેતીની જમીન મોટા પાયે ડૂબી જવાને કારણે મંગળવારે કપૂરથલા જિલ્લાના ઘણા ગામોમાં પૂરની સ્થિતિ વધુ વણસી ગઈ હતી.
ફિરોઝપુર જિલ્લામાં, વરસાદને કારણે હરીકથી હુસૈનીવાલા સુધી પાણીનું સ્તર વધતા પૂરની શક્યતા વધી ગઈ હતી. કાલુવાલા, ટેન્ડીવાલા, ચાંદીવાલા, ગટ્ટી રાજો કે, નવી ગટ્ટી રાજો કે, બસ્તી રહીમ કે અને અન્ય ગામોના ઘણા લોકોએ પોતાનો સામાન સુરક્ષિત સ્થળોએ ખસેડવાનું શરૂ કરી દીધું છે. જ્યારે ઘણા લોકો ઘરની છત પર રહેવા મજબૂર બન્યા છે.

