Video: ઈથોપિયામાં જ્વાળામુખી ફાટતાં કન્નૂર-અબુ ધાબીની ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ, ભારતમાં પણ અસર થવાની શક્યતા

ઈથોપિયામાં 10 હજાર વર્ષ બાદ જ્વાળામુખી ફાટી નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે. જ્વાળામુખી ફાટી નીકળતા કન્નૂરથી અબુ ધાબી જતી ફ્લાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોએ આ ઘટનાને તે વિસ્તારની ઈતિહાસની સૌથી અધાસારણ ઘટનામાની એક ગણાવી છે. જ્વાળામુખી ફાટવાથી નીકળેલી રાખ ઉત્તર ભારત તરફ આગળ વધવાનું અનુમાન છે.
કન્નૂર-આબુ ધાબીની ફ્લાઈટ અમદાવાદમાં ડાયવર્ટ
એરલાઈન્સે કહ્યું કે, 'કન્નૂરથી આબુ ધાબી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 1433ને અમદાવાદ ડાયવર્ટ કરીને તમામ મુસાફરોને સુરક્ષિત અમદાવાદ પહોંચાડ્યા હતા. જ્યારે મુસાફરોને કન્નુર મોકલવા માટે વિશેષ રિટર્ન ફ્લાઈટ સંચાલિત કરાશે.'
જ્વાળામુખી ફાટી નીકળવાની ઘટનાને પગલે કેટલીક ફ્લાઈટ્સના પહેલાથી રૂટ ડાયવર્ટ કરી દેવાયા છે. જ્વાળામુખીની રાખના કારણે વિમાનના એન્જિનને નુકસાન થવાની શક્યતા છે, તેથી આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન પ્રોટોકોલ હેઠળ સાવધાની રાખવામાં આવી રહી છે. અકાસા એરએ એક એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે, તે આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન પ્રોટોકોલ અનુસાર જ્વાળામુખીની ગતિવિધિઓનું નજીકથી નિરીક્ષણ કરી રહી છે. તેણે ઉમેર્યું હતું કે, મુસાફરોની સલામતી તેમની મુખ્ય પ્રાથમિકતા છે.
10 હજાર વર્ષ પછી જ્વાળામુખી ફાટ્યો
રવિવારે(23 નવેમ્બર) સવારે 8:30 વાગ્યે, ઈથોપિયાના અફાર પ્રદેશમાં હાયલી ગૂબી જ્વાળામુખીમાં લગભગ 10 હજાર વર્ષોમાં પહેલી વાર વિસ્ફોટક પ્રવૃત્તિ નોંધાઈ. આ વિસ્ફોટથી નીકળેલા રાખના વાદળો ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યા છે, જેના કારણે ભારતીય ઉડ્ડયન સત્તામંડળ (DJCA) અને એરલાઇન્સે સોમવાર સાંજથી દિલ્હી અને જયપુર વચ્ચે ફ્લાઇટ કામગીરી પર નજર રાખવાનું શરૂ કર્યું છે.
રાખનો પ્લુમ 10 થી 15 કિલોમીટરની ઊંચાઈ સુધી વધ્યો
ટુલૂઝ વોલ્કેનિક એશ એડવાઇઝરી સેન્ટર દ્વારા સેટેલાઇટ મૂલ્યાંકન સૂચવે છે કે, રાખનો પ્લુમ 10 થી 15 કિલોમીટરની ઊંચાઈ સુધી વધ્યો અને લાલ સમુદ્રમાં પૂર્વ તરફ વધ્યો. ટુલૂઝ વોલ્કેનિક એશ એડવાઇઝરી સેન્ટર (VAAC) દ્વારા સેટેલાઇટ મૂલ્યાંકન સૂચવે છે કે, રાખના વાદળ લાલ સમુદ્રમાં પૂર્વ તરફ આગળ વધીને યમન અને ઓમાન સુધી પહોંચ્યા છે. જેના કારણે ઓમાન અને યમનમાં પર્યાવરણીય અને ઉડ્ડયન ચેતવણીઓ આપવામાં આવી છે.
મીડિયા અહેવાલ મુજબ, ઓમાનની પર્યાવરણ સત્તાવાળાઓએ જ્વાળામુખી ગેસ અને રાખની સંભવિત અસર અંગે ચેતવણી આપી છે. જોકે, 68 મોનિટરિંગ સ્ટેશનો પર અત્યાર સુધી પ્રદૂષણના સ્તરમાં કોઈ વધારો જોવા મળ્યો નથી. જોકે, નાગરિકો નાકી પ્લેટફોર્મ પર વાસ્તવિક સમયની હવાની ગુણવત્તાને ટ્રેક કરી શકે છે.

