ઈઝરાયલે ફરી યુદ્ધવિરામનો કર્યો ભંગ, ગાઝા પર ભયાનક એરસ્ટ્રાઈકમાં 30 લોકોના મોત

ઇઝરાયલે યુદ્ધવિરામ છતાં ગાઝા અને નિર્દોષ નાગરિકોનો સોથ વાળવાનું જારી રાખ્યું છે. ગાઝાની હોસ્પિટલોએ જણાવ્યું હતું કે ઈઝરાયલના હુમલામાં ગાઝામાં ઓછામાં ઓછા 30 પેલેસ્ટાઇનીઓના મોત થયા છે. ઓક્ટોબરના યુદ્ધવિરામ પછી આ એક જ દિવસનો અત્યાર સુધીનો સૌથી ઊંચો મૃત્યુઆંક છે. ઈઝરાયલે હમાસ પર યુદ્ધવિરામનો ભંગ કર્યાના આક્ષેપોના દિવસ પછી આ હુમલા કર્યા હતા.
ગાઝાના એપાર્ટમેન્ટ બિલ્ડીંગમાં કર્યા હુમલા
ઇઝરાયલે ગાઝા શહેરના એપાર્ટમેન્ટ બિલ્ડિંગ અને ખાન યુનિસના ટેન્ટ કેમ્પ પર હુમલો કર્યો હતો. મૃત્યુ પામેલા 30 જણમાં બે જુદાં-જુદાં કુટુંબોની બે મહિલા અને છ બાળકોનો સમાવેશ થાય છે.
ગાઝા શહેરમાં પોલીસ સ્ટેશન પર કરવામાં આવેલી એરસ્ટ્રાઇકમાં ૧૪ના મોત થયા હતા અને બીજાને ઇજા પહોંચી હતી, એમ શિફા હોસ્પિટલના ડિરેક્ટરે જણાવ્યું હતું. પોલીસ સ્ટેશન પર થયેલા હુમલામાં ચાર પોલીસવુમન, નાગરિકો અને પોલીસ સ્ટેશનમાં કેદ ગુનેગારોના મોત નીપજ્યા હતા.
રફા ક્રોસિંગ ખોલવાની તૈયારીમાં
શનિવારનો હુમલો બતાવે છે કે ગાઝામાં યુદ્ધવિરામ લાગુ થયો હોવા છતાં પણ હુમલા સતત ચાલુ છે અને મૃત્યુઆંક સતત વધતો જાય છે. સ્થાનિક હોસ્પિટલે જણાવ્યું હતું કે ટેન્ટ પર થયેલા હુમલામાં સાતના મોત થયા હતા. તેમા એક પિતા હતો, તેના ત્રણ સંતાન અને ત્રણ પૌત્રો માર્યા ગયા હતા. આ ઉપરાંત ગાઝા એપાર્ટમેન્ટમાં થયેલા હુમલામાં ત્રણ બાળકો, તેમની કાકી અને દાદીનું મોત થયું હતું.
ઈઝરાયલે ઓક્ટોબરમાં યુદ્ધવિરામ અમલી બન્યા પછી કરેલા કુલ 1300 થી વધુ હમલામાં 520 પેલેસ્ટાઇનીઓના મોત થયા છે અને 1405 લોકો ઘાયલ થયા છે. નાગરિકો પર 430 વખત ગોળીબાર કરવામાં આવ્યો હતો અને યલો લાઇન્સનો ૬૬ વખત ભંગ કરવામાં આવ્યો હતો. ગાઝામાં 200થી વધુ સ્થળોએ પેલેસ્ટાઇનીઓની મિલકતો ખતમ કરી દેવાઈ હતી. આ ઉપરાંત છેલ્લા એક મહિનામાં કમસેકમ 50 પેલેસ્ટાઇની અટકાયતમાં લેવાયા છે.

