ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: ભારતીય તેલ ટેન્કર પર થયો મોટો હુમલો, ચાર લોકો ઈજાગ્રસ્ત

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું ભયાનક યુદ્ધ હવે સમુદ્ર માર્ગ સુધી પહોંચી ગયું છે. રવિવારે ઓમાનના તટ પાસે એક ભારતીય તેલ ટેન્કર પર મોટો હુમલો થયો છે, જેમાં 15 ભારતીય નાગરિક સવાર હતા. આ હુમલામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે, જેના કારણે મિડલ ઈસ્ટમાં વસતા અને કાર્યરત ભારતીયોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
મુસંદમ પ્રાયદ્વીપ પાસે ટેન્કર પર હુમલો
મીડિયા રિપોર્ટ મુજબ, સ્કાઈલાઈટ નામનું આ ટેન્કર પલાઉના ઝંડા સાથે સફર કરી રહ્યું હતું, ત્યારે ઓમાનના મુસંદમ પ્રાયદ્વીપ પાસે ટેન્કર પર હુમલો થયો છે. ઓમાનના દરિયાઈ સુરક્ષા કેન્દ્રે માહિતી આપી હતી કે આ હુમલો ખાસબ બંદરગાહથી માત્ર પાંચ નોટિકલ માઈલ દૂર ઉત્તર દિશામાં થયો હતો. આ હુમલાના સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થયા છે, જોકે હજુ સુધી વીડિયોની પુષ્ટી થઈ શકી નથી.
15 ભારતીય સહિત 20 નાવિકોનું દિલધડક રેસ્ક્યુ
હુમલાની જાણ થતા જ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જહાજ પર કુલ 20 સભ્યો હતા, જેમાં 15 ભારતીય અને પાંચ ઈરાની નાગરિકો સામેલ હતા. આ તમામ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જોકે, હુમલામાં ઈજાગ્રસ્ત ચાર સભ્યો પૈકી અમુકને ગંભીર અને અમુકને સામાન્ય ઈજાઓ પહોંચી છે. હાલમાં એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ હુમલો ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો કે મિસાઈલ દ્વારા કરાયો છે.

