'ઈરાનના રાષ્ટ્રપતિના ઘર પર હુમલો', અનેક મંત્રીઓના ઘર સહિત 30 જગ્યાઓ પર ઈઝરાયલના હુમલા
લાંબા સમયથી અમેરિકા ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ટેન્શનની સ્થિતિ દેખાતી હતી. યુદ્ધના ભણકારાં વાગી રહ્યા હતા ત્યારે ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ આપેલી માહિતી અનુસાર ઈરાનની રાજધાની તહેરાન સહિત અનેક વિસ્તારોમાં ઈઝરાયલી સેના દ્વારા મોટો હુમલો કરી દેવામાં આવ્યો છે.
આ યુદ્ધ ચાર દિવસ ચાલશે : અમેરિકાના અધિકારીઓ
અમેરિકાના અધિકારીઓનું કહેવું છે કે આ યુદ્ધ ચાર દિવસ ચાલશે. ઈરાનના ઈન્ટેલિજન્સ, ડિફેન્સ, સુપ્રીમ લીડરના કાર્યાલય અને ઈરાનના એટોમિક એનર્જી એજન્સીના કાર્યાલય પર હુમલા કરાયાની પુષ્ટી થઈ ચૂકી છે
ઈરાનના રાષ્ટ્રપતિના ઘરે હુમલો
ઈઝરાયલે ઈરાનના પ્રમુખ પેઝેશ્કિયાનના ઘરે હુમલો કર્યો છે. અનેક મંત્રીઓના ઘર સહિત 30 ઠેકાણાને નિશાન બનાવાયા છે. ઈરાનની ગુપ્તચર એજન્સીના કાર્યાલયને પણ નિશાન બનાવવામાં આવી હોવાની જાણકારી સામે આવી રહી છે.
અમેરિકા પણ એલર્ટ થયું
ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલાને ધ્યાનમાં રાખી અમેરિકા પણ એલર્ટ થઇ ગયું છે. સંભવિત ઈરાની હુમલાથી બચવા માટે અમેરિકાએ કતારમાં તેના એરબેઝને એલર્ટ પણ રાખી દીધું છે.
તહેરાન સહિતના વિવિધ એરપોર્ટને નિશાન બનાવાયા
ઈઝરાયલના આ હુમલામાં તહેરાન, મહેરાબાદ સહિત વિવિધ એરપોર્ટને નિશાન બનાવાયા હતા. હુમલો એટલો ભયાનક હતો કે ધૂમાડાના ગોટેગોટા હવામાં અનેક કિ.મી. દૂરથી જોઇ શકાતા હતા. ઈરાની મીડિયાએ પણ ઈઝરાયલના હુમલાની પુષ્ટી કરી દીધી છે. તહેરાનમાં અનેક વિસ્તારોને નિશાન બનાવાયા હતા. ઈઝરાયલે આ હુમલો કર્યા બાદ ઈરાનના વળતા પ્રહારના ડરથી સમગ્ર દેશમાં ઈમરજન્સી જાહેર કરી દીધી છે.
ઈઝરાયલનું પ્રથમ રિએક્શન
ઈઝરાયલે આ હુમલા અંગે કહ્યું કે અમે ઈરાનના હુમલાથી બચવા માટે આ કાર્યવાહી કરી છે. જો અમે હુમલો ના કર્યો હોત તો ઈરાને અમારા પર હુમલા શરૂ કરી દીધા હોત.
ઈઝરાયલનો ઈરાન પર પ્રહાર
ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે, ઈઝરાયલ પર રહેલા જોખમોને દૂર કરવા માટે સેનાએ ઈરાન વિરુદ્ધ પૂર્વ-નિયોજિત કાર્યવાહી હાથ ધરી છે. આ જાહેરાતની સાથે જ કાત્ઝે સમગ્ર ઈઝરાયલમાં તાત્કાલિક અસરથી 'સ્ટેટ ઓફ ઈમરજન્સી' (કટોકટીની સ્થિતિ) લાગુ કરી દીધી છે.
સમગ્ર દેશમાં સાયરનનો ગુંજારવ
ઈરાન પર થયેલા આ હુમલા બાદ વળતા જવાબની આશંકાએ સમગ્ર ઈઝરાયલમાં સાયરન વાગવા લાગ્યા છે. ઈઝરાયલની ડિફેન્સ ફોર્સ (IDF) ના હોમ ફ્રન્ટ કમાન્ડે નાગરિકોને અત્યંત સાવધ રહેવાની અને બોમ્બ શેલ્ટર્સ (રક્ષણાત્મક આશ્રયસ્થાનો) ની નજીક રહેવાની સૂચના આપી છે.
નાગરિકો માટે એડવાઈઝરી
IDF એ જણાવ્યું છે કે સુરક્ષાની ગંભીર સ્થિતિને જોતા નાગરિકોએ બિનજરૂરી મુસાફરી ટાળવી જોઈએ અને પોતાની આસપાસના સુરક્ષિત સ્થળોની જાણકારી રાખવી જોઈએ. સેનાએ સ્પષ્ટ કર્યું છે કે આ સાવચેતીભર્યા એલર્ટનો હેતુ લોકોને સંભવિત મિસાઈલ હુમલાઓ માટે તૈયાર કરવાનો છે. જોકે, હાલના તબક્કે નાગરિકોને સીધા શેલ્ટરમાં જવાની જરૂર નથી, પરંતુ તૈયાર રહેવા જણાવાયું છે.

