શું ઈરાનમાં કંઈક મોટું થવાના છે આ સંકેત? ભારતીય નાગરિકો માટે સરકારે જાહેર કરી કડક એડવાઈઝરી

ઈરાનમાં સતત વણસી રહેલી પરિસ્થિતિ અને વધતા જતા તણાવને જોતા ભારત સરકારના વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક એડવાઈઝરી જારી કરી છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે, ભારતીય નાગરિકોએ આગામી આદેશ સુધી ઈરાનની બિનજરૂરી મુસાફરી ન કરવી જોઈએ. વિદેશ મંત્રાલયે ત્યાં રહેતા ભારતીય મૂળના લોકો અને પ્રવાસીઓને અત્યંત એલર્ટ રહેવા આદેશ આપ્યો છે.
બિનજરૂરી મુસાફરી પર પ્રતિબંધ
વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, "વર્તમાન સમયમાં ઈરાનમાં સ્થિતિ અસામાન્ય છે. સુરક્ષાના કારણોસર લેવાયેલા આ નિર્ણય હેઠળ નાગરિકોને તેમની મુસાફરીના આયોજન હાલ પૂરતા ટાળી દેવી જોઈએ. સરકાર માટે નાગરિકોની સુરક્ષા સર્વોપરી છે, તેથી જ્યાં સુધી સ્થિતિમાં સુધારો ન થાય અને નવો આદેશ ન આવે ત્યાં સુધી પ્રવાસ ન ખેડવો જોઈએ.’
દેખાવો અને ભીડભાડથી દૂર રહેવાની સલાહ
ઈરાનમાં ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને ત્યાં વસતા ભારતીયોને ચેતવણી આપવામાં આવી છે કે, તેઓ કોઈપણ પ્રકારના ધરણા, વિરોધ પ્રદર્શન કે રાજકીય ભીડથી દૂર રહે. ભીડભાડવાળી જગ્યાઓ પર જોખમ હોવાથી પોતાની સુરક્ષા માટે આવા સ્થળોથી અંતર જાળવવું જરૂરી છે.
દૂતાવાસમાં રજિસ્ટ્રેશન કરાવવા તાકીદ
તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે રેસિડન્ટ વિઝા પર રહેતા તમામ ભારતીયોને તાત્કાલિક નોંધણી કરાવવા માટે સૂચના આપી છે. જેમણે હજુ સુધી રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તેમને દૂતાવાસનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત, સ્થાનિક સમાચારો અને દૂતાવાસની વેબસાઈટ કે સોશિયલ મીડિયા પર સતત નજર રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે જેથી કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં મદદ પહોંચાડી શકાય.

