અમેરિકી ડીલને ઈરાનના રાષ્ટ્રપ્રમુખનું સમર્થન, કહ્યું- યુદ્ધમાંથી બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો

ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરારના મેમોરેન્ડમનું સમર્થન કર્યું છે. તેમણે આ ડીલને દેશને 'ન યુદ્ધ, ન શાંતિ' જેવી હાલાકીમાંથી બહાર કાઢવાનો સૌથી ઉત્તમ રસ્તો ગણાવ્યો છે. રાષ્ટ્રપ્રમુખે સ્પષ્ટતા કરી છે કે, આ કરારમાં આત્મસમર્પણની કોઈ જોગવાઈ નથી અને ઈરાન આ મામલે પોતાના સુપ્રીમ લીડરની નીતિઓ મુજબ જ આગળ વધશે.
આર્થિક સંકટ અને વધતો તણાવ
રાષ્ટ્રપ્રમુખ પેઝેશ્કિયાને આ કરારને દેશની આર્થિક સ્થિતિ સાથે જોડતા જણાવ્યું હતું કે, યુદ્ધ અને સંઘર્ષના કારણે ઈરાનમાં વિદેશી રોકાણ આવી શકતું નથી. અમેરિકા અને ઈઝરાયલ સાથેના સંઘર્ષ, કડક આર્થિક પ્રતિબંધો અને નૌકાદળની નાકાબંધીના કારણે ઈરાની અર્થતંત્રને ભારે નુકસાન પહોંચ્યું છે. બીજી તરફ, ઈરાનની સુપ્રીમ સિક્યુરિટી એજન્સીના નવા વડાએ કડક વલણ અપનાવીને ચેતવણી આપી છે કે, જો પાડોશી દેશો અમેરિકી પ્રતિબંધોનું સમર્થન કરશે તો ઈરાન વળતો પ્રહાર કરશે.
અમેરિકા સાથે કરારની સમયસીમા પૂરી
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જૂન મહિનામાં હસ્તાક્ષર કરાયેલા આ કરાર (MoU) માં યુદ્ધ વિરામ અને પરમાણુ કાર્યક્રમ પર કરાર કરવા માટે 60 દિવસની સમયસીમા નક્કી કરવામાં આવી હતી. આ મુદત ગયા સપ્તાહમાં પૂરી થઈ ગઈ છે, પરંતુ હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz)ને વૈશ્વિક શિપિંગ માટે ફરીથી ખોલવા જેવા મુદ્દાઓ પર હજુ સુધી કોઈ મજબૂત સંમતિ બની શકી નથી. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધને 6 મહિના વીતી ચૂક્યા છે, જેના કારણે ઈરાનને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.

