ભારતે ચંદ્રયાન-3 લોન્ચ કર્યું, અમારા બાળકો આજે પણ ગટરમાં મરી રહ્યા છે; પાકિસ્તાનના સાંસદનો બળાપો

પાકિસ્તાનના અન્ય એક સાંસદે ભારતના ચંદ્રયાન મિશનનો ઉલ્લેખ કરતા પોતાના જ દેશને અરીસો બતાવ્યો છે. મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (MQM-P) પાર્ટીના નેતા સૈયદ મુસ્તફા કમલે બુધવારે ભારત સાથે સરખામણી કરતા પોતાના દેશમાં સુવિધાઓના અભાવનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે એક તરફ ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે. સાથે જ અમારા બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે.
અમારા બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે
કમલે સંસદમાં પોતાના સંબોધનમાં કહ્યું, “આજે જ્યારે દુનિયા ચંદ્ર પર જઈ રહી છે, ત્યારે કરાચીમાં અમારા બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે. અમે અમારા ટીવી સ્ક્રીન પર સમાચાર જોઈએ છીએ કે ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે અને માત્ર બે સેકન્ડ પછી સમાચાર આવે છે કે કરાચીમાં એક ખુલ્લી ગટરમાં એક બાળકનું મૃત્યુ થયું છે."
MQM-P સભ્યએ શહેરોમાં તાજા પાણીની અછત વિશે પણ વાત કરી. તેમણે કહ્યું, “કરાચી પાકિસ્તાનનું રેવન્યુ એન્જિન છે. પાકિસ્તાનના પ્રારંભથી દેશમાં જે બે બંદરો અસ્તિત્વમાં છે તે અહીં આવેલા છે. આ સમગ્ર દેશનું પ્રવેશદ્વાર છે. કરાચીને 15 વર્ષથી શુદ્ધ પાણી મળતું ન હતું. જે પણ પાણી આવ્યું તે પણ ટેન્કર માફિયાઓએ વસૂલ્યું.
દેશમાં 2.62 કરોડ બાળકો શાળાએ જતા નથી
એક અહેવાલને ટાંકીને તેમણે વધુમાં કહ્યું કે સિંધ પ્રાંતમાં ઓછામાં ઓછા 70 લાખ બાળકો શાળાએ નથી જઈ રહ્યા અને રાષ્ટ્રીય સ્તરે આ સંખ્યા 2.6 કરોડ છે. "અમારી પાસે કુલ 48,000 શાળાઓ છે, પરંતુ એક નવો અહેવાલ કહે છે કે તેમાંથી 11,000 'ભૂતિયા શાળાઓ' છે," તેમણે કહ્યું. સિંધમાં 70 લાખ અને દેશમાં 2.62 કરોડ બાળકો શાળાએ જતા નથી. આ અહેવાલ જોઈને નેતાઓની ઊંઘ ઉદવી જોઈએ.
પાકિસ્તાનના વરિષ્ઠ રાજનેતા મૌલાના ફઝલુર રહેમાને ભારત અને પાકિસ્તાન વચ્ચે આર્થિક અસમાનતા દર્શાવ્યાના દિવસો બાદ સૈયદ મુસ્તફા કમાલની ટિપ્પણી આવી છે. તેમણે કહ્યું હતું કે ભારત મહાસત્તા બનવાનું સપનું જોઈ રહ્યું છે અને અમે નાદારીથી બચવા માટે ભીખ માંગીએ છીએ.

