પાકિસ્તાનમાં ઈમરાન ખાનને અડધી રાત્રે હોસ્પિટલમાં લઈ જવાતા મચી બબાલ

પાકિસ્તાનમાં સત્તાથી દૂર થયા બાદ રાજકારણીઓની જિંદગી સરળ રહી નથી. પૂર્વ પીએમ ઇમરાન ખાન ત્રણ વર્ષથી વધુ સમયથી જેલમાં છે, તેમના પરિવાર અને સમર્થકોને તેમને મળવાની મંજૂરી નથી. એટલું જ નહીં તેમના અંગત ડૉક્ટર અને વકીલોને પણ મળવા દેવાતા નથી. આ દરમિયાન મંગળવારે ઇમરાન ખાનને રાત્રે 2 વાગ્યે હોસ્પિટલમાં લઈ જવાયા હોવાના સમાચાર મળતા તેમના સમર્થકો ચોંકી ગયા છે. ઈમરાન ખાનને પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં લાવવામાં આવ્યા હતા. આંખોમાં સમસ્યા હોઈ તેની સારવાર માટે ત્યાં લવાયા હતા. હોસ્પિટલ સત્તાવાળાઓ મુજબ તેમને 3 ઈંજેક્શનોની જરૂરિયાત છે. આ બીજું ઈંજેક્શન હતું. એવું કહેવામાં આવે છે કે ઇમરાન ખાનની જમણી આંખમાં ફક્ત 15 ટકા દૃષ્ટિ બાકી છે.
આ હોસ્પિટલ પણ ઈસ્લામાબાદમાં છે. ડોક્ટરોનું કહેવું છે કે ઇમરાન ખાનની હાલત સ્થિર છે. ઇન્જેક્શન લીધા પછી પણ તેમની દેખરેખ રાખવામાં આવી હતી અને બધું સામાન્ય દેખાતા તેમને રજા આપી છે.
સંસદીય બાબતોના મંત્રી તારિક ફઝલ ચૌધરીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "એ સ્પષ્ટ કરવું મહત્વપૂર્ણ છે કે ઇમરાન ખાનને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન તેમને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા હતા. તેમને તમામ કાનૂની અને માનવતાવાદી સહાય પણ પૂરી પાડવામાં આવી હતી." મંત્રીએ એમ પણ કહ્યું કે ડોક્ટરોનું કહેવું છે કે ઇમરાન ખાનની દૃષ્ટિ સુધરી રહી છે અને તેઓ પહેલા કરતાં ઘણી સારી રીતે જોઈ શકે છે.
સરકારી સારવાર કે અહેવાલો પર વિશ્વાસ નથી: ઇમરાનની બહેન
ઇમરાન ખાનની સારવાર બાદ તેમને અદિયાલા જેલમાં પણ ખસેડવામાં આવ્યા છે. ઇમરાન ખાનની બહેન અલીમાએ પણ આ બાબતે વાંધો વ્યક્ત કર્યો છે. તેણીએ કહ્યું, "અમને સરકારની સારવાર કે તેમના ટેસ્ટ રિપોર્ટ પર વિશ્વાસ નથી." અલીમાએ કહ્યું કે કાયદા મુજબ કોઈપણ કેદીને સારવાર મળે અને પરિવારને જાણ કરવામાં આવે. આ અંગે અમને કોઈ માહિતી કેમ આપવામાં આવી ન હતી? તેણીએ કહ્યું, "અમને સરકારની સારવાર પર વિશ્વાસ નથી. અલીમાએ કહ્યું કે જો ડોકટરો કંઈપણ લીક કરશે તો તેમને ગંભીર પરિણામોની ધમકી આપવામાં આવી છે. જો સરકાર રિપોર્ટ જાહેર કરે તો પણ તેઓ તેમના પર વિશ્વાસ કરશે નહીં.

