સીરિયામાં સત્તા પલ્ટા પછી શાંતિપૂર્ણ હસ્તાંતરણ સુધી જાણો કોને સુકાન સોંપાયું

સીરિયામાં બળવાખોરોએ રવિવારે સવારે રાજધાની દમાસ્કસમાં પહોંચીને મહત્વપૂર્ણ સરકારી ઈમારતો પર કબજો કરી લેતાં અસદ પરિવારના ૫૦ વર્ષના લોખંડી શાનનો અંત આવ્યો છે, પરંતુ સીરિયાના ભવિષ્ય અંગેના સવાલોનો કોઈ જવાબ મળી શક્યો નથી. બળવાખોરો રાજધાનીમાં પહોંચતા નાગરિકો 'આઝાદી, આઝાદી'ના સૂત્રોચ્ચાર સાથે સેન્ટ્રલ સ્ક્વેર ખાતે એકત્ર થવા લાગ્યા હતા. તેમણે સીરિયાના ક્રાંતિકારીઓનો ધ્વજ લહેરાવ્યો હતો, જેણે આરબ બળવાના દિવસોની યાદ અપાવી દીધી હતી. હવે સીરિયામાં બશર અલ-અસદના ૨૪ વર્ષના ક્રૂર શાસન અને ૧૪ વર્ષ લાંબા ગૃહ યુદ્ધનો અંત આવ્યો છે.
સીરિયાની રાજધાની દમાસ્કસમાં હવે હયાત તહરીર અલ-શામ (એચટીએસ)નો કબજો થઈ ગયો છે. આ સાથે એચટીએસના બળવાખોરોએ માત્ર ૧૦ જ દિવસમાં અલેપ્પો, હામા, હોમ્સ અને રાજધાની દમાસ્કસ પર કબજો જમાવી લીધો છે. બળવાખોરોએ સંરક્ષણ મંત્રાલય, પબ્લિક રેડિયો અને ટીવી ઈમારતને પોતાના નિયંત્રણમાં લઈ લીધા છે. દમાસ્કસમાં પૂર્વ પ્રમુખ બશર અલ-અસદની પીછેહઠ પછી એચટીએસના વડા અબુ મોહમ્મદ અલ-જુલાનીએ જાહેરાત કરી કે તેઓ શાંતિપૂર્ણ રીતે સત્તાનું હસ્તાંતરણ ઈચ્છે છે અને ત્યાં સુધી ભૂતપૂર્વ વડાપ્રધાન મોહમ્મદ ગાઝી અલ-જલાલિને સત્તાના સૂત્રો સંભાળી રાખશે.
પૂર્વ વડાપ્રધાન જલાલિને શાંતિપૂર્ણ રીતે સત્તાના હસ્તાંતરણની વાત કરી
અસદના સમર્થક રશિયાએ કહ્યું કે, અસદે બળવાખોરોના જૂથ સાથે વાટાઘાટો કર્યા પછી જ દેશ છોડયો છે. તેમણે જ પૂર્વ વડાપ્રધાન જલાલિને શાંતિપૂર્ણ રીતે સત્તાના હસ્તાંતરણની વાત કરી હતી.
સીરિયામાં બશર અલ-અસદના શાસનનો અંત
ભૂતકાળમાં અલ-કાયદાના કમાન્ડર રહી ચૂકેલા અબુ મોહમ્મદ અલ-ગોલાનીએ કહ્યું કે, સીરિયામાં હવે બહુમતીવાદ અને ધાર્મિક સહિષ્ણુતાની શરૂઆત થશે. તેઓ દેશનું ભાવિ ઘડવા માટે તૈયાર છે. સીરિયામાં બશર અલ-અસદના શાસનનો અંત રશિયા અને ઈરાન તેમજ તેમના સાથી દેશોને મોટો ફટકો છે. ઈઝરાયેલ અને યુક્રેન સાથેના યુદ્ધોના કારણે ઈરાન અને રશિયા નબળા પડી ગયા છે.
આ પણ વાંચો: રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા, પુતિને રાજકીય આશ્રય આપ્યો
જોકે, બળવાખોરો માટે હવે યુદ્ધગ્રસ્ત સીરિયાને બેઠો કરવાનું તેમજ હથિયારધારી વિવિધ જૂથોને શાંત કરવાનું મહાકાય પડકારજનક કામ આવી પડયું છે. સીરિયાની ઉત્તરે અમેરિકાના સાથી કુર્દીશ દળો તુર્કીયેનું પીઠબળ ધરાવતા બળવાખોરો સામે લડી રહ્યા છે જ્યારે સીરિયાના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના આતંકીઓ સક્રિય છે.
સીરિયાના સરકારી ટેલિવિઝન પર રવિવારે સવારે એક વીડિયો નિવેદનમાં બળવાખોરોના જૂથે કહ્યું હતું કે, અસદને સત્તા પરથી ઉથલાવી દેવાયા છે અને બધા જ કેદીઓને છોડવામાં આવી રહ્યા છે. તેમણે લોકોને 'મુક્ત સીરિયા સરકાર'ની સંસ્થાઓને જાળવી રાખવા અપીલ કરી હતી. જોકે, પાછળથી બળવાખોરોએ દમાસ્કસમાં સાંજે ૪.૦૦થી ૫.૦૦ કરફ્યૂ લાદી દીધો હતો.

