BLAએ પોતાનું 'નૌકાદળ' બનાવીને પાકિસ્તાની જહાજ પર કર્યો આડેધડ ગોળીબાર, 3 સૈનિકોના મોત

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સક્રિય બળવાખોર સંગઠન ‘બલૂચ લિબરેશન આર્મી (BLA)’એ ફરી પાકિસ્તાન સરકારની ચિંતા વધારી દીધી છે. બીએલએ બલૂચિસ્તાનને સ્વતંત્ર દેશ બનાવવા માંગે છે, જેના કારણે તેના લડવૈયાઓ અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે અવારનવાર અથડામણો થતી રહે છે. અત્યાર સુધી BLAએ મોટાભાગે જમીની કાર્યવાહી કરી છે, જોકે હવે બીએલએ પોતાનું નૌકાદળ બનાવી દરિયામાં ખળભળાટ મચાવ્યો છે. તેણે ગ્વાદર વિસ્તારમાં પાકિસ્તાની જહાજ પર હુમલો કરી, ત્રણ સૈનિકોને મોતને ઘાટ ઉતારી પોતાનું પ્રથમ દરિયાઈ ઓપરેશન પાર પાડ્યું છે.
બલૂચ નૌકાદળનો ગ્વાદરમાં પાક. જહાજ પર હુમલો
બલૂચ લિબરેશન આર્મીએ ‘હમ્માલ મેરિટાઇમ ડિફેન્સ ફોર્સ’ નામથી નૌકાદળ બનાવ્યું હોવાનો અને ગ્વાદર વિસ્તારમાં પ્રથમ દરિયાઈ ઓપરેશન પાર પાડ્યું હોવાનો દાવો કર્યો છે. તેણે કેટલાક વીડિયો પણ શેર કર્યા છે બીએલએએ કહ્યું છે કે, ‘અમે નેશનલ લેવલનું નૌકાદળ બનાવ્યું છે. અમે બલૂચોના હિતોની રક્ષા કરવા માટે તેમજ દરિયામાં દુશ્મનોની ગતિવિધિ અટકાવવા માટે આ નૌકાદળ બનાવ્યું છે.
BLAના નૌકાદળનો પાકિસ્તાન જહાજ પર હુમલો
બીએલએના પ્રવક્તા જીયાંદ બલોચે કહ્યું કે, ‘અમારા નૌકાદળે બલૂચિસ્તાન પ્રાંતના ગ્વાદર જિલ્લામાં જિવાની વિસ્તારમાં પ્રથમ ઓપરેશન પાડ પાડ્યું છે. અમે સોમવારે સવારે 10.00 કલાકે દરિયામાં પેટ્રોલિંગ કરી રહેલા પાકિસ્તાન જહાજ પર હુમલો કર્યો છે, જેમાં ત્રણ પાક. સૈનિકોના મોત થયા છે.’ ઉલ્લેખનીય છે કે, જિયાન બંદર ઓમાનના અખાત પર એક શહેર તરીકે તેમજ વેપારી બંદર તરીકે પણ જાણીતું છે.
BLAએ પાકિસ્તાન સરકારને આપી ચેતવણી
બળવાખોર સંગઠને પાકિસ્તાન સરકારને ચેતવણી આપી છે કે, તેઓ આગામી સમયમાં પણ આવા ઓપરેશનો ચલાવતા રહેશે. બલૂચિસ્તાનને આઝાદી અપાવવા માટે, તેને સ્વતંત્ર દેશ જાહેર કરાવ માટે બીએલએ ઘણા વર્ષોથી પાકિસ્તાન સરકાર સામે લડી રહ્યું છે. પાકિસ્તાની સરકાર અને સેનાએ બલૂચિસ્તાન પર ગેરકાદેસર કબજો કર્યો હોવાનો પણ બીએલએ અવાર-નવાર દાવો કરતું રહ્યું છે. બલૂચ બળવાખોરોનું માનવું છે કે, પાકિસ્તાન સરકારે તેમના પ્રાંત પર ખોટી રીતે કબજો કર્યો છે, જ્યારે અમરો પ્રાંત સ્વતંત્ર દેશ હોવો જોઈએ.
ત્રણ પાકિસ્તાની સૈનિકોના મોત
બલૂચિસ્તાન આર્મીએ દાવો કર્યો છે કે, અમારા નૌકાદળે હુમલો કરતાં પાકિસ્તાની સેનાના જહાજમાં સવાર ત્રણ સૈનિકોના મોત થયા છે. એટલું જ નહીં બીએલએએ તેઓના નામ પણ જાહેર કર્યા છે. બીએલએના જણાવ્યા મુજબ હુમલામાં નાયક અફઝલ, સિપાહી જમીલ અને સિપાહી ઉમરનું મોત થયું છે.

