ઈઝરાયલ-હમાસ બાદ હવે થાઈલેન્ડ-કંબોડિયા વચ્ચે પણ ટ્રમ્પે કરાવ્યો યુદ્ધવિરામ, શાંતિ કરાર પર કર્યા હસ્તાક્ષર

ઈઝરાયલ અને હમાસ બાદ હવે ટ્રમ્પે વધુ બે દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવામાં મદદ કરી છે. થાઈલેન્ડ અને કંબોડિયાએ વર્ષોથી ચાલી રહેલો સૈન્ય સંઘર્ષ ખતમ કરવા માટે આજે 26 ઓક્ટોબર, 2025ના રવિવારે શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમાં મધ્યસ્થી કરી હતી. ટ્રમ્પે કહ્યું કે, જે લોકો આ મુદ્દો અસંભવિત માનતાં હતા, તેને અમે સંભવ કરી બતાવ્યું. થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે એક મંદિર વિવાદ મુદ્દે પાંચ દિવસ સુધી જંગ ચાલી હતી. જેમાં 48 લોકોના મોત થયા હતા. તેને ખતમ કરવામાં અમારી ભૂમિકા મહત્ત્વની રહી છે.
કંબોડિયા-થાઈલેન્ડ સાથે મહત્ત્વનો કરાર
ટ્રમ્પે જણાવ્યા પ્રમાણે, અમેરિકા કંબોડિયા અને થાઈલેન્ડ સાથે મોટો આર્થિક કરાર કરવા જઈ રહ્યું છે. તે કંબોડિયા સાથે એક મહત્ત્વનો વેપાર કરાર તેમજ થાઈલેન્ડ સાથે મહત્ત્વનો ખનિજ કરાર કરે છે. અમેરિકા આ બંને દેશો સાથે મજબૂત વેપાર અને સહયોગ કરશે. આ મુલાકાતમાં અન્ય દેશોની મુલાકાત પર પણ વેપાર મુખ્ય મુદ્દો રહેશે. અમે માત્ર વેપાર પર ચર્ચા કરીશું, હવે કોઈ યુદ્ધ નહીં કરે. બંને દેશો એક-બીજાને પસંદ કરે છે. બંને દેશોના વડા એકબીજાનું સન્માન પણ કરે છે. જેથી શાંતિ કરાર કરવામાં મદદ મળી છે.
આસિયાન સમિટમાં ભાગ લેવા પહોંચ્યા
ટ્રમ્પ રવિવારે સવારે કુઆલાલંપુર એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે રેડ કાર્પેટ પર તેમનું સ્વાગ કર્યું હતું. આ દરમિયાન તેમણે સ્થાનિક કલાકારો સાથે ડાન્સ પણ કર્યો હતો. ટ્રમ્પ 2017 બાદ પ્રથમ વખત આસિયાન સમિટમાં સામેલ થશે. આજે તેઓ મલેશિયાના વડાપ્રધાન સાથએ દ્વિપક્ષીય બેઠક કરશે.
આજથી 47મી આસિયાન સમિટ શરૂ
મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં આજથી આસિયાન સમિટ શરૂ થશે. આ સમિટ દક્ષિણ-પૂર્વ એશિયાના 10 દેશોનું મોટું મંચ છે. જ્યાં વેપાર, સુરક્ષા, શિક્ષણ, સંસ્કૃતિ જેવા મુદ્દાઓ પર વાત થશે. આ વર્ષે આસિયાન સમિટની થીમ ઈનક્લુઝિવિટી એન્ડ સસ્ટેનેબિલિટી છે. ભારત તરફથી વિદેશ મંત્રી એસ. જયશંકર આ સમિટમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદી પણ આ સમિટમાં હાજરી આપવાના હતા. પરંતુ અમુક કારણોસર હવે તેઓ વર્ચ્યુઅલી ભાગ લેશે.

