VIDEO : 'ઈરાનની અસાધારણ એકતાએ શત્રુઓને નબળા પાડ્યા', ખામેનેઈનો દેશના નામે નવો સંદેશ
ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની તબિયત અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે તેમણે રાષ્ટ્રના નામે એક નવો સંદેશ જાહેર કરીને ઈઝરાયેલ અને અમેરિકાને કડક ચેતવણી આપી છે. અમેરિકન-ઈઝરાયેલી હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અને બોલવામાં અસમર્થ હોવાના અહેવાલોને નકારતા તેમણે જણાવ્યું કે, ઈરાનની અસાધારણ એકતાએ દુશ્મનોને નબળા પાડી દીધા છે. તેમણે આરોપ લગાવ્યો કે દુશ્મન દેશો મીડિયા દ્વારા લોકોના મગજ સાથે રમીને રાષ્ટ્રીય એકતા તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આવી સાજિશ સફળ નહીં થાય. જોકે, ફેબ્રુઆરીથી તેઓ જાહેરમાં દેખાયા ન હોવાથી અને માત્ર લેખિત સંદેશા જ જાહેર કરતા હોવાથી તેમની સ્વાસ્થ્ય સ્થિતિ અંગે હજુ પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે અને ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલોએ આ વિવાદને વધુ વેગ આપ્યો છે.
અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં ગંભીર રીતે ઘાયલ હોવાના અહેવાલો વચ્ચે ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ નવો સંદેશ જારી કરીને જવાબ આપ્યો છે. શુક્રવારે રાષ્ટ્રજોગ સંદેશમાં ખામેનેઈએ કહ્યું કે, ઈરાનની અસાધારણ એકતાએ શત્રઓને નબળા પાડ્યા છે.
તેમણે મીડિયા દ્વારા લોકોના મગજ સાથે ખેલ ખેલવાનો આરોપ લગાવતા અમેરિકા અને ઈઝરાયલને ચેતવણી પણ આપી છે. અગાઉ એક રિપોર્ટમાં મોજતબા ખામેનેઈ અંગે એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ ગંભીર રીતે ઘાયલ છે અને તેઓ બોલવા માટે પણ અસમર્થ છે.
દેશવાસીઓની એકતાના કારણે શત્રુઓ ભાંગી પડ્યા છે
મોજતબા ખામેનેઈ તરફથી ગુરુવારે જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આપણા દેશવાસીઓ વચ્ચેની આ એકતાને કારણે શત્રઓ ભાંગી પડ્યા છે. જો આ એકતાને વધુ મજબૂત કરવામાં આવશે, તો શત્રઓ વધુ નબળા અને લાચાર બની જશે.
ઈરાની સુપ્રીમ લીડરે અમેરિકા અને ઈરાન પર આરોપ લગાવતા કહ્યું કે, 'શત્રુઓ મીડિયાના માધ્યમથી લોકોના મગજ અને વિચારસરણીને પ્રભાવિત કરીને રાષ્ટ્રીય એકતાને નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.' ખામેનેઈએ ચેતવણી આપી છે કે, 'આવા ષડયંત્રને ક્યારેય સફળ નહીં થવા દઈશું.'
ખામેનેઈની હાલત ગંભીર?
આ પહેલા મોજતબા ખામેનેઈના સ્વાસ્થ્યને લઈને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી. અહેવાલો પ્રમાણે ગત ફેબ્રુઆરી મહિનામાં અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બીજી તરફ યુદ્ધ શરૂ થયા બાદથી ખામેનેઈ અત્યાર સુધી જાહેરમાં દેખાયા નથી અને માત્ર લેખિત સંદેશા જ જારી કરી રહ્યા છે, જેને કારણે આ અટકળો વધુ તેજ બની છે. હવે તેમના સ્વાસ્થ્યને લઈને ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટમાં મોટા દાવા કરવામાં આવી રહ્યા છે.
પ્લાસ્ટિક સર્જરીની જરૂર પડશે
એક અહેવાલમાં ઈરાની અધિકારીઓના હવાલે એવો દાવો કરવામાં આવ્યો છે કે, હુમલામાં મોજતબા ખામેનેઈનો ચહેરો અને હોઠ ગંભીર રીતે દાઝી ગયા છે. આ જ કારણ છે કે તેમને બોલવામાં મુશ્કેલી પડી રહી છે અને આગામી સમયમાં તેમને પ્લાસ્ટિક સર્જરીની જરૂર પડશે. બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, તેમના એક પગની ત્રણ વખત સર્જરી થઈ ચૂકી છે અને તેમને કૃત્રિમ પગ એટલે કે પ્રોસ્થેટિક લેગની જરૂર પડી શકે છે. આ સાથે જ તેમના એક હાથનું પણ ઓપરેશન કરવામાં આવ્યું છે, જે બાદ તેમની હાલતમાં ધીમે-ધીમે સુધારો થઈ રહ્યો છે. જોકે, ઈરાન દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તમામ મહત્વના નિર્ણયો અત્યારે પણ મોજતબા ખામેનેઈ પોતે જ લઈ રહ્યા છે.

