વૈશ્વિક અર્થવ્યવસ્થા પર મોટા સંકટનો અણસાર! સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને ઈરાને આપી ધમકી

અમેરિકા અને ઈઝરાયેલ સાથે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ અને મિડલ ઈસ્ટમાં વધતા ટકરાવ વચ્ચે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC)એ સોમવારે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (હોર્મુઝની સામુદ્રધુની)ને સંપૂર્ણપણે બંધ કરવાની જાહેરાત કરી છે. સેનાએ ચેતવણી આપી છે કે આ રસ્તેથી પસાર થવાનો પ્રયાસ કરનાર કોઈપણ જહાજને આગને હવાલે કરી દેવામાં આવશે. IRGC ના આ નિર્ણય બાદ મિડલ ઈસ્ટમાં તણાવ વધુ વધી ગયો છે અને વૈશ્વિક સ્તરે યુદ્ધનો ખતરો ઘેરો બન્યો છે.
ઈરાનના સરકારી મીડિયા અનુસાર, IRGC ના કમાન્ડર-ઈન-ચીફના વરિષ્ઠ સલાહકાર બ્રિગેડિયર જનરલ સરદાર ઈબ્રાહિમ જબારીએ સોમવારે જલડમરુમધ્ય બંધ કરવાની જાહેરાત કરી છે. ઈરાની સેનાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ જળમાર્ગથી પસાર થનારા કોઈપણ જહાજને સળગાવી દેવામાં આવશે.
જબારીએ કહ્યું, "સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે... જો કોઈ તેને પાર કરવાનો પ્રયાસ કરશે તો અમારા ગાર્ડ્સ અને નૌસેનાના જવાનો તે જહાજોને આગ લગાડી દેશે."
વિશ્વની લાઇફલાઇન પર સંકટ
હોર્મુઝની સામુદ્રધુની વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઉર્જા કેન્દ્રોમાંનું એક છે. વૈશ્વિક તેલ વપરાશનો લગભગ પાંચમો ભાગ આ રસ્તેથી પસાર થાય છે, જે ફારસની ખાડીને ઓમાનની ખાડી સાથે જોડે છે. આ સાંકડા રસ્તા પરથી જ સાઉદી અરેબિયા, કુવૈત, ઈરાક, કતાર, બહેરીન અને યુએઈનું તેલ અને ગેસ આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચે છે. આ પુરવઠાનો મોટો હિસ્સો ચીન સહિતના એશિયાઈ દેશોમાં જાય છે.
જોકે સાઉદી અરેબિયા અને યુએઈ પાસે કેટલાક વૈકલ્પિક પાઈપલાઈન માર્ગો છે, પરંતુ અમેરિકી ઉર્જા સૂચના વહીવટ (EIA) અનુસાર, હોર્મુઝથી પસાર થતા મોટાભાગના ઉર્જા ભંડાર પાસે આ ક્ષેત્રની બહાર નીકળવાનો અન્ય કોઈ વ્યવહારુ વિકલ્પ નથી.
વૈશ્વિક અર્થવ્યવસ્થા ડગમગી શકે છે
ફારસની ખાડીને વૈશ્વિક બજારો સાથે જોડતો આ રસ્તો બંધ થવાથી કાચા તેલના ભાવમાં ભારે ઉછાળો આવવાની આશંકા છે. અગાઉ પણ ઈરાને તણાવ દરમિયાન આ રસ્તો બંધ કરવાની ધમકીઓ આપી છે. જોકે, આ એક આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે, જ્યાં વાણિજ્યિક જહાજોને પસાર થવાનો અધિકાર છે, પરંતુ ઈરાન અને ઓમાન તેના પ્રાદેશિક જળ સીમા પર નિયંત્રણ ધરાવે છે. આ અગાઉ ફેબ્રુઆરીમાં સૈન્ય અભ્યાસ દરમિયાન ઈરાને વાહનવ્યવહાર પર આંશિક પ્રતિબંધ મૂક્યો હતો, જેનાથી તેલના ભાવમાં 6%નો ઉછાળો આવ્યો હતો. સંપૂર્ણ બંધની આ જાહેરાત 1980ના દાયકાના 'ટેન્કર યુદ્ધ' પછી પ્રથમ વખત થઈ છે.
ખામેનેઈના મૃત્યુ બાદ ભભકેલી આ આગે નાણાકીય બજારોને પહેલેથી જ સંકટમાં મૂકી દીધા છે. જો આ રસ્તો લાંબા સમય સુધી બંધ રહેશે તો વિશ્વભરમાં ઈંધણની ભારે અછત સર્જાઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ માર્ગમાં કોઈપણ પ્રકારનો અવરોધ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે આત્મઘાતી સાબિત થઈ શકે છે. હાલમાં, આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર આ વ્યૂહાત્મક જળમાર્ગ પર ટકેલી છે, કારણ કે અહીં થતી કોઈપણ નાની સૈન્ય હિલચાલ મહાયુદ્ધની શરૂઆત કરી શકે છે.

