સીરિયામાં જુમ્માની નમાજ સમયે મસ્જિદમાં ધમાકામાં 8ના મોત, અનેક લોકો થયા ઘાયલ

સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ સીરિયામાં શુક્રવારની નમાજ દરમિયાન એક મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં આઠ લોકોના મોત થયા છે. 21થી વધુ ઘાયલ થયાના સમાચાર છે. આ મસ્જિદ લઘુમતી અલાવાઈટ વિસ્તારમાં આવેલી છે. સ્થાનિક પત્રકારના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ ઇમામ અલી બિન અબી તાલિબ મસ્જિદની અંદર થયો હતો. સુરક્ષાદળોએ ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે.
સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લઈને તપાસ શરૂ કરી છે. વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. સીરિયન ગૃહ મંત્રાલયે આ ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે અને કહ્યું છે કે શુક્રવારની નમાજ દરમિયાન મસ્જિદને નિશાન બનાવવામાં આવી હતી. વિસ્ફોટ બાદ સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યા કે, સુરક્ષા એકમો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે મસ્જિદને ઘેરી લેવામાં આવી હતી. હુમલા પાછળ જવાબદાર વ્યક્તિને પકડવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસ અનુસાર મસ્જિદની અંદર વિસ્ફોટક ઉપકરણો ગોઠવી દીધા હતા. રાજ્ય સમાચાર એજન્સી અનુસાર સીરિયન વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ કાયરતાપૂર્ણ કૃત્ય માનવ અને નૈતિક મૂલ્યો પર સ્પષ્ટ હુમલો છે, જે સીરિયાને અસ્થિર કરવા અને સીરિયન લોકોની સ્થિતિસ્થાપકતાને નબળી પાડવાના ભયાવહ પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.
સીરિયામાં ભલે મોટી લડાઈ ના થઈ હોય પરંતુ સાંપ્રદાયિક, વંશીય અને રાજકીય કારણોસર છેલ્લા કેટલાક અઠવાડિયામાં તણાવ વધ્યો છે.ગત વર્ષે રાષ્ટ્રપતિ પદ પરથી બશર અલ-અસદને હટાવ્યા બાદ દેશના વિવિધ ભાગોમાં સાંપ્રદાયિક અથડામણો ફાટી નીકળી છે, જેમાં ઇસ્લામિક જૂથ હયાત તહરિર અલ-શામના નેતૃત્વમાં બળવાખોરો હુમલાઓ કરી રહ્યા છે.

