ઇટાલીમાં દર્દનાક દુર્ઘટના, લૈમ્પેદુસા ટાપુ પર બોટ પલટતાં 27 લોકોના મોત

ઇટાલીના લૈમ્પેદુસા ટાપુ પાસે એક મોટી દુર્ઘટના થઈ છે. લગભગ 100 જેટલા પ્રવાસીઓને લઈ જઈ રહેલુ એક જહાજ પલટી ગયુ હતું. આ દુર્ઘટનામાં આશરે 27 લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ગુમ થયા હોવાના પણ અહેવાલ છે.
જહાજ પલટતા 27 લોકોના મોત
આ ઘટના અંગે યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ (UNHCR)ના ફિલિપો ગ્રાન્ડીએ એક નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 'ઇટાલીના લૈમ્પેદુસા ટાપુના કિનારે થયેલી દુ:ખદ દુર્ઘટનામાં આશરે 27 પ્રવાસીઓ અને શરણાર્થીઓ ડૂબી ગયા છે.'
આ કારણોસર થયો અકસ્માત
આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સંગઠનના પ્રવક્તા ફ્લેવિઓ ડી જિયાકોમોએ બચી ગયેલા લોકોના નિવેદનોના આધારે જણાવ્યું કે લગભગ 95 પ્રવાસીઓ બે બોટમાં લિબિયાથી રવાના થયા હતા. જ્યારે તેમાંથી એક બોટમાં પાણી ભરાવા લાગ્યું, ત્યારે તમામ મુસાફરોને બીજી બોટમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા, જે ફાઈબર ગ્લાસની બનેલી હતી અને વધુ પડતા વજનને કારણે તે પલટી ગઈ.
રાહત અને બચાવ કાર્ય ચાલુ
UNHCR ઇટાલીના સંચાર અધિકારી દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, એજન્સી હાલમાં કાટમાળમાંથી બચી ગયેલા લોકોને મદદ કરી રહી છે. અધિકારીએ એક X પોસ્ટમાં કહ્યું કે લૈમ્પેદુસાના કિનારે વધુ એક જહાજ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે, જ્યાં UNHCR હવે બચી ગયેલા લોકોને મદદ કરી રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધી ભૂમધ્ય સાગરમાં 675 મૃત્યુ નોંધાયા છે.
60 લોકોને બચાવવાની માહિતી
સ્થાનિક અધિકારી અનુસાર, આ ઘટનામાં અત્યાર સુધી 60 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બચાવવામાં આવેલા લોકો જીવંત છે, આ ઉપરાંત 35 લોકોના ગુમ થવાના સમાચાર છે. તેમજ અત્યાર સુધી 27 લોકોના મોત થયા છે.
યુનાઈટેડ નેશન્સ રેફ્યુજી એજન્સી અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં મધ્ય ભૂમધ્ય માર્ગે ઈટાલી પહોંચવાના પ્રયાસમાં 675 પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે, જેમાં તાજેતરના અકસ્માતનો સમાવેશ થતો નથી. UNHCRના આંકડા અનુસાર, 2025ના પ્રથમ છ મહિનામાં 30,060 શરણાર્થીઓ અને પ્રવાસીઓ દરિયાઈ માર્ગે ઈટાલી પહોંચ્યા, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 16 ટકા વધુ છે.

