VIDEO: ANDARNI VAAT/ કુદરતનો પ્રકોપ: લણણી ટાણે જ કેળાનો પાક સાફ!
મધ્ય પ્રદેશનો નિમાડ વિસ્તાર કેળાની ખેતી માટે પ્રખ્યાત છે. રાજ્યમાં સૌથી વધારે કેળનું વાવેતર આ વિસ્તારમાં થાય છે. કેળના ખેતરના કારણે આ વિસ્તાર આખું વર્ષ લીલોછમ અને હરિયાળો રહે છે. કેળાનું પુષ્કળ વાવેતર થતું હોવાથી ખેડૂતોને મબલખ આવક પણ થાય છે. જો કે ત્રણ-ચાર દિવસ પહેલા ભારે પવનને કારણે નિમાડ વિસ્તારમાં કેળના પાકને ભારે નુકશાન થયું છે. મધ્ય પ્રદેશના બુરહાનપુર, નિમ્બોલા, નેપાનગર, અંબારા, શેખપુર વગેરે વિસ્તારમાં મોટા પ્રમાણમાં કેળાનો પાક નાશ પામ્યો હતો. કેળા લણવાના સમયે જ ભારે વંટોળ આવતા સેંકડો હેક્ટર પાક નષ્ટ થઇ ગયો હતો. કેળના ખેતરમાં કેળનો પથારો થઇ ગયો હતો. કેળાના છોડ વાકા વળી ગયા હતા. ખેતરોના ખેતરો સપાટ મેદાનમાં ફરવાય ગયા હતા. એક વર્ષ સુધી માવજત અને જાળવણીથી તૈયાર કરેલો કેળનો પાક સાવ નષ્ટ થઇ ગયો હતો.
સૌથી વધારે નુકશાન બુરહાનપુર વિસ્તારમાં થયું હતું. આ વિસ્તારમાં અંદાજે 2400 હેકટર વિસ્તારમાં અંદાજે ચાર હજારથી વધારે ખેડૂતોની કેળની ખેતી નષ્ટ થઇ ગઇ હતી. બુરહાનપુરમાં 16 હજાર હેક્ટર વિસ્તારમાં કેળની ખેતી થાય છે. તેમાથી લગભગ 25 ટકા કેળ નષ્ટ થઇ ગઇ હતી. બુરહાનપુરના 40 ગામમાં કેળનો પાક સંપુર્ણ નાશ પામ્યો છે. નિમાડ પ્રદેશના ખેડૂતોની માંગ છે કે સરકાર ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવે. દર વર્ષ કેળનો પાક તૈયાર થાય છે તે સમયે ભારે પવન અને વંટોળ આવે છે આ કારણે વારંવાર નુકસાન સહન કરવું પડે છે. સરકાર કેળના પાકને પાક વીમા કવચમાં સમાવેશ કરે. કેળના પાક નુકશાને લઇને રાજનીતિ પણ શરુ થઇ ગઇ છે. કોગ્રેસે ખેડૂતોને તત્કાલ સહાન ચુકવવાની માગ કરી છે. તો ભાજપના નેતાઓ પણ ખેડૂતોની પડખે આવ્યા છે. ભાજપ નેતાઓએ સરકારને રજુઆત કરી છે કે જલદીથી સર્વે કરીને ખેડૂતોને નુકસાની વળતર ચુકવવામાં આવે.

