VIDEO: ANDAR NI VAAT/ કેદારનાથ યાત્રા પર ચોમાસાની અસર: ભૂસ્ખલનના ખતરા વચ્ચે તંત્ર એલર્ટ
ચોમાસામાં ઉત્તરાખંડમાં કેદારનાથ માર્ગ અને પદયાત્રા રૂટ પર ભૂસ્ખલનનો ખતરો વધી જતો હોય છે. ત્યારે તંત્ર દ્વારા યાત્રાળુઓની સુરક્ષા અને સુવિધા માટે લેવાયેલા ખાસ પગલાં વિશે જાણીએ આ અહેવાલમાં.
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ચોમાસાના આગમન સાથે કેદારનાથ હાઈવે અને પદયાત્રાના રૂટ પર ભૂસ્ખલનનો ભય તોળાઈ રહ્યો છે. જોખમને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે. યાત્રાળુઓની સુવિધા અને સલામતી માટે વિવિધ સ્થળોએ વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે, જે સતત કેમેરા દ્વારા પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. કોઈપણ પ્રકારના ભૂસ્ખલન કે સંભવિત આફતના કિસ્સામાં તાત્કાલિક લોકોને એલર્ટ કરી સુરક્ષિત સ્થળે ખસેડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હવામાન વિભાગના ભારે વરસાદના એલર્ટ અગાઉથી જ પ્રવાસીઓ સુધી પહોંચાડવામાં આવે છે. યાત્રાળુઓને તાત્કાલિક તબીબી સારવાર મળી રહે તે માટે રસ્તામાં મેડિકલ રિલીફ પોઈન્ટ્સ પર નિષ્ણાત તબીબોની ટીમ તૈનાત કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે કે ચારધામ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડવી જોઈએ, જેનું મોનિટરિંગ કંટ્રોલ રૂમ દ્વારા સતત કરવામાં આવે છે. આ ઉપરાંત, ફિલ્ડ ટીમો દ્વારા અવારનવાર નિરીક્ષણ કરવામાં આવે છે અને જોખમી વિસ્તારોને ખાસ સાઈનબોર્ડ તથા બેનરો દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યા છે. અજાણ્યા કે જોખમી રસ્તાઓ પર બેરિકેડ્સ મૂકીને લોકોને અવરજવર કરતા રોકવામાં આવ્યા છે. સતત એલર્ટ અને સુરક્ષા વ્યવસ્થા દ્વારા તંત્ર ખાતરી કરી રહ્યું છે કે યાત્રાળુઓ કોઈપણ મુશ્કેલી વિના પોતાની યાત્રા પૂર્ણ કરી શકે. ભક્તોને પણ વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

