VIDEO: ANDAR NI VAAT/ ઉત્તરાખંડના ઋષિકેશમાં રોડ પહોડો કરવા વૃક્ષ કાપવામાં આવતા સ્થાનિકો ઉતર્યા રસ્તા પર
ઉત્તરાખંડના પ્રખ્યાત તીર્થસ્થળ ઋષિકેશમાં માર્ગ પહોળો કરવાના પ્રોજેક્ટ અંતર્ગત પર્યાવરણના ભોગે થઈ રહેલા વૃક્ષોના નિકંદન સામે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ભાનિયાવાલા અને રાનીપોખરી વચ્ચેના દહેરાદૂન-ઋષિકેશ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પ્રસ્તાવિત માર્ગ પહોળાઈકરણ પ્રોજેક્ટ માટે સેંકડો વર્ષો જૂના વૃક્ષોને કાપવાની યોજના છે, જેની સામે ઋષિકેશના જાગૃત રહેવાસીઓ જંગલના રક્ષણ માટે ચોકીદારી કરી રહ્યા છે. પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિક લોકો હાથમાં પર્યાવરણ બચાવવાના સંદેશા આપતા પોસ્ટરો અને બેનરો લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે અને વહીવટી તંત્ર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને આ પ્રોજેક્ટને તાત્કાલિક અટકાવવાની કડક ચેતવણી આપી રહ્યા છે. સરકાર દ્વારા આ વિસ્તારમાં વૃક્ષો કાપવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી હતી, પરંતુ જેવી આ વાતની જાણ સ્થાનિક નાગરિકોને થઈ કે તરત જ લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. જનમેદનીએ વિરોધ પ્રદર્શન કરીને વહીવટી તંત્ર દ્વારા ચાલી રહેલું વૃક્ષો કાપવાનું કામ અધવચ્ચે જ બળપૂર્વક બંધ કરાવી દીધું હતું, જેને પગલે હાઈવે પર ભારે અફરાતફરી સર્જાઈ હતી.
આ આંદોલનમાં જોડાયેલા સ્થાનિક લોકો અને પર્યાવરણ કાર્યકર્તાઓએ આક્રોશપૂર્વક દાવો કર્યો છે કે, જો વિકાસના અંધાધૂંધ નામે આપણે આ જ પ્રકારે કુદરતી સંપત્તિ અને વર્ષો જૂના વૃક્ષોનું નિકંદન કાઢતા રહીશું તો અંતે ભયાનક વિનાશ જ સર્જાશે. તેમણે ચેતવણી આપી છે કે હરિયાળો જંગલ વિસ્તાર જોતજોતામાં રણમાં ફેરવાઈ જશે અને પહાડી વિસ્તારોમાં કુદરતી સંતુલન બગડી જશે. આ પર્યાવરણીય કટોકટીને રોકવા માટે સ્થાનિક લોકો હવે જંગલ અને વૃક્ષોના રક્ષણ માટે અભેદ દીવાલ બનીને અડગ ઊભા રહી ગયા છે. આ જનઆક્રોશને કારણે હાઈવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટી તંત્ર પણ ભારે મૂંઝવણમાં મુકાયું છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર જનભાવના અને પ્રકૃતિના હિતને ધ્યાનમાં રાખીને પર્યાવરણ કાર્યકર્તાઓની માગ સ્વીકારે છે અને હાઈવે પ્રોજેક્ટની ડિઝાઈનમાં કોઈ ફેરફાર કરે છે, કે પછી પોતાની માગણીઓ સંતોષવા માટે ઋષિકેશના નાગરિકોને હજુ વધુ લાંબી અને આકરી કાનૂની તેમજ જમીની લડત ચલાવવી પડશે.
બ્યુરો રિપોર્ટ જીએસટીવી

