ભારતીય રાજકારણમાં 'કોકરોચ જનતા પાર્ટી'નો ધમાકો! મીમમાંથી બની ગયું મોટું ડિજિટલ આંદોલન

ભારતની રાજનીતિમાં એક એવું નામ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. જેને સાંભળીને પહેલા તો લોકો હસી રહ્યા છે. પછી વિચારવા માટે મજબૂર થઈ રહ્યા છે. એનું નામ છે 'કોકરોચ જનતા પાર્ટી' અર્થાત CJP. સોશિયલ મીડિયા પર મજાકથી શરૂ થયેલી આ પહેલ હવે દેશના યુવાનોના ગુસ્સા, બેરોજગારી અને સિસ્ટમ સામેની નારાજગી અને મીમ કલ્ચરનું મોટું પ્રતીક બની ગઈ છે. ખાસ વાત તો એ છે કે પાર્ટી પોતાને યુવાઓની પાર્ટી, યુવાઓ દ્વાાર અને યુવાનો માટેની પાર્ટી બતાવે છે. અને તેનો નારો છે Secular, Socialist, Democratic, Lazy. ઇન્ટરનેટ પર હજારો લોકો એનાથી જોડાઈ ચૂક્યા છે. અને ઘણાં લોકો એને માત્ર મજાક નહીં પરંતુ એક નવા જ પ્રકારની ડિજિટલ રાજનીતિ માની રહી છે.
‘કોકરોચ’ નામ પાછળનો આખો વિવાદ શું છે?
આ અનોખી પાર્ટીનું નામ સોશિયલ મીડિયા પર ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંતના એક કથિત નિવેદનની ચર્ચા વાયરલ થઈ. હકીકતમાં, આ પાર્ટીનું નામ એક વિવાદાસ્પદ નિવેદન પછી ચર્ચામાં આવ્યું - જે વાયરલ થયું - જેમાં પત્રકારત્વ, RTI એક્ટિવિઝમ અને કાયદા જેવા વ્યવસાયોમાં પ્રવેશતા વ્યક્તિઓ તેમજ બેરોજગાર યુવાનોને "વંદો" અને "પરોપજીવી" સાથે સરખાવવામાં આવ્યા હતા. જો કે બાદમાં તેની સ્પષ્ટતા પણ આવી કે નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું, પરંતુ ત્યાં સુધીમાં તો સોશિયલ મીડિયા પર બબાલ મચાવી ચૂકી હતી. આ શબ્દને યુવાઓએ વ્યંગના હથિયાર તરીકે આ પ્રકારે ઉપયોગ કર્યો અને “Cockroach Janta Party” નામ સામે આવ્યું. અને જોતજોતામાં આ ઈન્ટરનેટ પર ટ્રેન્ડ કરવા લાગ્યું.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર CJP ની પોસ્ટ્સ, મીમ્સ અને વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. પાર્ટી પોતાને સંપૂર્ણપણે ડિજિટલ ચળવળ તરીકે બતાવતા દાવો કરે છે કે હજારો યુવાનો પહેલાથી જ તેમની સાથે જોડાઈ ચૂક્યા છે. પાર્ટીની પોસ્ટ્સ મજેદાર અંદાજમાં લખ્યું છે કે, સભ્ય બનવા માટે, વ્યક્તિએ બેરોજગાર, ક્રોનિકલી ઓનલાઈન, ,વ્યાવસાયિક બકવાસ કરનાર અને આળસુ હોવું જરૂરી છે. તેમ છતાં આ મજાક વચ્ચે યુવા રોજગાર, પરીક્ષા વિવાદો, પ્રણાલીગત પારદર્શિતા અને રાજકીય પ્રતિનિધિત્વ જેવા ગંભીર મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવી રહ્યા છે. પાર્ટીએ Gen Z કન્વેશન કરાવવાનું આયોજન કરવાની પણ યોજના જાહેર કરી છે, જેમાં યુવા પોલિસી અને શાસન અંગે ચર્ચામાં ભાગ લેશે. વધુમાં CJPના મેનિફેસ્ટોમાં મુખ્ય ન્યાયાધીશો માટે નિવૃત્તિ પછીની રાજકીય નિમણૂકો પર પ્રતિબંધ, મહિલાઓ માટે 50 ટકા અનામત, મીડિયા સ્વતંત્રતા અને પક્ષ બદલનારા રાજકારણીઓ પર 20 વર્ષનો પ્રતિબંધ જેવી જોગવાઈઓ શામેલ છે.
CJI એ પોતાના નિવેદન મુદ્દે કરી હતી સ્પષ્ટતા
જોકે, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI), ન્યાયાધીશ સૂર્યકાન્તે પોતાના વિવાદિત "વંદો" અને "પરોપજીવી" નિવેદનનો અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેમના નિવેદનને મીડિયાના એક ચોક્કસ વર્ગ દ્વારા ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. તેમનું લક્ષ્ય દેશના યુવાનો કે બેરોજગારો નહોતા, પરંતુ નકલી ડિગ્રી ધરાવતા લોકો હતા. CJI એ સ્પષ્ટતા કરી કે તેમણે કોઈપણ રીતે દેશના યુવાનોની ટીકા કરી નથી અને તેમને ભારતની યુવા શક્તિ પર ખૂબ ગર્વ છે.
સોશિયલ મીડિયામાં લોકોના રિએક્શન
"કોકરોચ જનતા પાર્ટી" અંગે સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાયેલું દેખાય છે. કેટલાક તેને ફક્ત "મીમ પોલિટિક્સ" બતાવી રહ્યા છે તો કેટલાક યુઝર્સનું કહેવું છે કે, પહેલીવાર કોઈ પ્લેટફોર્મ યુવાનોને તેમની ભાષામાં તેમની વાત કરી રહ્યું છે. એક યુઝર્સે લખ્યું કે, દેશની પહેલી એવી પાર્ટી છે જે ઓછામાં ઓછું યુવાનોના દુ:ખને તો સમજે છે. એક યુઝરે મજાકમાં લખ્યું કે, હવે, રાજકારણ પણ રેડિટ અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ વાળું થઈ ગયું છે. કેટલાક લોકોએ તેને ભારતની “Gen Z રાજનીતિ" ના નવા ચહેરા તરીકે બતાવ્યું છે.
હાલમાં તે સ્પષ્ટ નથી કે CJP આખરે એક સત્તાવાર રાજકીય પક્ષમાં વિકસિત થશે કે ફક્ત ઇન્ટરનેટ-આધારિત ચળવળ રહેશે. જો કે, એક વાત ચોક્કસ છે: તેણે નિઃશંકપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે ચર્ચા જગાવી છે.

