Viral Video: "ધુરંધર 2"માં કામ કર્યું, પણ ફિલ્મની ટિકીટ ખરીદવાના પૈસા નથી, એક્ટરની વાત સાંભળતા ફેન્સ થયા ભાવુક!
આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર 2: ધ રિવેન્જ' જ્યાં બોક્સ ઓફિસ પર રેકોર્ડતોડ કમાણી કરી રહી છે, ત્યાં આ ફિલ્મ સાથે જોડાયેલો એક નાનકડો કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફિલ્મના અંતમાં હમઝા ઉર્ફે જસકીરત સિંહ રાંગીને ઘર છોડનાર ઓટો - રિક્ષા ડ્રાઈવરની વાર્તા અત્યારે ચર્ચામાં છે.
ગરીબીએ રોક્યા ડગલાં
ફિલ્મના છેલ્લા સીનમાં થોડી ક્ષણો માટે દેખાતા ઓટો-રિક્ષા ડ્રાઈવર બદરુલ ઈસ્લામે જણાવ્યું કે તેણે હજુ સુધી રણવીર સિંહની આ ફિલ્મ થિયેટરમાં જોઈ નથી. તેની પાછળનું કારણ જાણીને સૌ કોઈ ભાવુક થઈ રહ્યા છે.
એક વીડિયોમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમણે ફિલ્મ જોઈ છે? તો તેમણે સાદગીથી જવાબ આપ્યો:
"હજુ સુધી નથી જોઈ. ટિકિટ લગભગ 500 રૂપિયાની છે અને ફિલ્મ હમણાં જ રિલીઝ થઈ છે, એટલે જોઈ શક્યો નથી. પછી ક્યારેક જોઈ લઈશ."
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમના બાળકોએ ફિલ્મ જોવાની જીદ કરી? કારણ કે તેમના પિતા તેમાં દેખાયા છે, ત્યારે તેમણે કહ્યું: "હા, બાળકોએ કહ્યું હતું. પણ મેં તેમને સમજાવ્યા કે આપણે પાંચ સભ્યો છીએ, તો 2500 રૂપિયા થશે. અમે માંડ મહિને 2500 રૂપિયા બચાવી શકીએ છીએ, એટલે હું તેમને ન લઈ ગયો. મેં કહ્યું થોડી રાહ જોઈએ, પછી જોઈ લઈશું."
તેમનો આ નિખાલસ જવાબ અને કોઈ પણ ફરિયાદ વગરની વાતો લોકોને સ્પર્શી ગઈ છે. આટલી મોટી ફિલ્મનો ભાગ હોવો એ કોઈ પણ વ્યક્તિ માટે સપના સમાન હોય છે, પરંતુ આર્થિક તંગીને કારણે તેઓ મજબૂર છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ હવે આદિત્ય ધરને વિનંતી કરી રહ્યા છે કે આ ઓટો રિક્ષા ડ્રાઈવરને ફ્રીમાં ફિલ્મ બતાવવામાં આવે.
બ્લોકબસ્ટર કમાણી ચાલુ
આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે અર્જુન રામપાલ, સંજય દત્ત અને આર. માધવન પણ મુખ્ય ભૂમિકામાં છે. 19 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મે ભારતમાં 500 કરોડથી વધુ અને વિશ્વભરમાં લગભગ 830 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

