ચીફ સિલેક્ટરથી લઇને DSP સુધી, જાણો આજે ક્યા છે T20 Worldcup 2007 વિજેતા ટીમના ખેલાડી

વર્ષ 2007માં 24 સપ્ટેમ્બરે ભારતીય ક્રિકેટ ટીમે ટી-20 વર્લ્ડકપની ફાઇનલ મેચમાં પાકિસ્તાનને 5 રને હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં દુનિયાને પ્રથમ ટી-20 ચેમ્પિયન મળ્યો હતો. મહેન્દ્રસિંહ ધોનીની અંડરડૉગ ટીમે રોમાંચક મેચમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી. 2007 ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બનનારી ટીમમાંથી મોટાભાગના ખેલાડી રિટાયર્ડ થઇ ગયા છે જ્યારે બે ખેલાડી આજે ટીમ ઇન્ડિયાનો ભાગ છે. ભારતે બે વખત ટી-20 વર્લ્ડકપ જીત્યો છે. ગત વર્ષે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે દક્ષિણ આફ્રિકાને ફાઇનલમાં હરાવીને ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો.
રોહિત શર્મા ટી-20 વર્લ્ડકપ ટીમનો હતો ભાગ
ભારતે જ્યારે 2007માં પ્રથમ ટી-20 વર્લ્ડકપ જીત્યો ત્યારે રોહિત શર્મા પણ આ ટીમનો ભાગ હતો. રોહિત શર્માએ ફાઇનલ મેચમાં પાકિસ્તાન સામે આક્રમક 30 રન ફટકાર્યા હતા અને ટીમનો સ્કોર 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીન 157 રન સુધી પહોંચાડ્યો હતો.
રોહિત શર્મા ટી-20 અને ટેસ્ટમાંથી રિટાયર્ડ થઇ ગયો છે જ્યારે વન ડેમાં તે રમી રહ્યો છે.
ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર પણ ટી-20 વર્લ્ડકપ ટીમનો હતા ભાગ
અત્યારે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રહેલા ગૌતમ ગંભીર પણ 2007 ટી-20 ટીમનો ભાગ હતા.ગૌતમ ગંભીરે ભારતને ટી-20 વર્લ્ડકપ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ગૌતમ ગંભીરે દબાણની પરિસ્થિતિમાં પાકિસ્તાની બોલરોની ધોલાઇ કરી હતી. શરૂઆતમાં વિકેટ પડ્યા બાદ ફાઇનલમાં ગૌતમ ગંભીરે ટીમની જવાબદારી સંભાળી હતી. ગૌતમ ગંભીરે 54 બોલમાં આક્રમક 75 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં ગંભીરે 8 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.
ટી-20 વર્લ્ડકપ 2007ની ભારતીય ટીમ
મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), ગૌતમ ગંભીર, વિરેન્દ્ર સેહવાગ, રોબિન ઉથપ્પા, યુવરાજ સિંહ (વાઇસ કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટ કીપર), રોહિત શર્મા, પિયુષ ચાવલા, યૂસુફ પઠાણ, જોગિન્દર શર્મા, ઇરફાન પઠાણ, અજિત અગરકર, આરપી સિંહ, હરભજન સિંહ, શ્રીસંથ
ટી-20 વર્લ્ડકપ 2007ની ભારતીય ટીમનો ભાગ રહેલા મોટાભાગના ખેલાડીઓ અત્યારે કોમેન્ટરી કરી રહ્યા છે. અજિત અગરકર ભારતીય ક્રિકેટ સિલેક્શન કમિટીના ચેરમેન છે જ્યારે ગૌતમ ગંભીર ટીમ ઇન્ડિયાના હેડ કોચ છે. આ ખેલાડીઓમાંથી એકમાત્ર રોહિત શર્મા જ અત્યારે ક્રિકેટમાં રમી રહ્યો છે. બીજા મોટાભાગના ખેલાડી (વિરેન્દ્ર સેહવાગ, રોબિન ઉથપ્પા, દિનેશ કાર્તિક, પિયુષ ચાવલા, ઇરફાન પઠાણ, આરપી સિંહ, હરભજન સિંહ) કોમેન્ટરી કરતા જોવા મળે છે. યૂસુફ પઠાણ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના લોકસભાના સાંસદ છે જ્યારે જોગિન્દર શર્મા હરિયાણામાં DSP છે.

