ચેમ્પિયન્સ ટ્રોફી પૂરી થયા પહેલા કપ્તાનોનું મપાઈ ગયું પાણી, એક તો ટીમમાંથી થયો બહાર

Champions Trophy: ICC ટુર્નામેન્ટ પછી કેટલાક ખેલાડીઓ ટીમમાંથી બહાર થવાની પરંપરા રહી છે. આ વખતે પણ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ એવું જ બન્યું છે. ટુર્નામેન્ટ હજુ પૂરી પણ થઈ નથી અને ત્રણ ટીમોના કેપ્ટનોએ પોતાની કેપ્ટનશીપ ગુમાવી દીધી છે. આમાં એક કેપ્ટન એવો છે જેને તેના જ દેશે ટીમમાંથી બહાર કાઢી મૂક્યો હતો. બે અન્ય ખેલાડીઓ પણ તેમના દેશના દિગ્ગજ ખેલાડીઓ છે, જેમાંથી એકે વનડે છોડી દેવાનો નિર્ણય લેવો પડ્યો.
રિઝવાન મુશ્કેલીમાં મુકાયો
ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થાય તે પહેલાં બધી ટીમોના કેપ્ટન ઉત્સાહથી ભરેલા હતા. બધા ઈચ્છતા હતા કે, તેમની કેપ્ટનશીપમાં ICC ટ્રોફી જીતશે. પરંતુ ટુર્નામેન્ટ તેના અંતિમ તબક્કામાં પહોંચી ત્યારે ઘણી ટીમના કેપ્ટનો પોતાની કેપ્ટનશીપ બચાવી શકશે નહીં. પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ રિઝવાનને સૌથી મોટો ફટકો પડ્યો છે. પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાન છે પરંતુ આ ટુર્નામેન્ટ પાકિસ્તાન માટે ઘણી નિરાશાજનક રહી. ન તો તેની ટીમ કામ કરી શકી કે ન તો રિઝવાનની કેપ્ટનશીપ. આખરે પાકિસ્તાન બોર્ડે રિઝવાન પર કડક નિર્ણય લીધો છે. હાલ પૂરતા તો તેની વન ડે કેપ્ટનશીપ બચી ગઈ પરંતુ ટી20માં તેણે માત્ર કેપ્ટનશીપ જ નહીં પરંતુ ટીમમાંથી પણ પોતાનું સ્થાન ગુમાવ્યું છે.
જોસ બટલરનું નિરાશાજનક પ્રદર્શન
ઇંગ્લેન્ડની ટીમ પણ ઘણી અપેક્ષાઓ સાથે ચેમ્પિયન્સ ટ્રોફી રમવા આવી હતી. જોસ બટલરની કેપ્ટનશીપ પહેલાથી જ પ્રશ્નાર્થમાં હતી. પરંતુ એવી આશા હતી કે ચેમ્પિયન્સ ટ્રોફી તેમનું નસીબ બદલી નાખશે. પરંતુ એવું કંઈ થયું નહીં. ઈંગ્લેન્ડની ટીમ અફઘાનિસ્તાન સામે મેચ હારી ગઈ, ત્યારે બટલરે કેપ્ટનશીપ છોડી દેવાની જાહેરાત કરી. કેપ્ટન તરીકેની તેની છેલ્લી મેચ પણ યાદગાર ન રહી. અને નિરાશાજનક રીતે ટીમનો સાથ છોડી દીધો.
સ્મિથનો ચોંકાવનારો નિર્ણય
સ્ટીવ સ્મિથ વિશે વાત કરીએ તો, તે પૂર્ણ-સમયનો કેપ્ટન નહોતો. પેટ કમિન્સની ગેરહાજરીમાં તેણે ટીમની કમાન સંભાળી. પોતાના અનુભવથી સ્મિથે ટીમનું ખૂબ સારી રીતે નેતૃત્વ કર્યું. તેની કેપ્ટનશીપ હેઠળ ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે ક્લીન સ્વીપ હાંસલ કર્યું. સ્મિથે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમે સેમિફાઇનલમાં પણ પહોંચાડી. પરંતુ ભારત સામે હારનો સામનો કરવો પડ્યો. આ હાર બાદ સ્ટીવ સ્મિથે એક ચોંકાવનારો નિર્ણય લીધો અને વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તે પહેલાથી જ T20 ટીમમાંથી બહાર છે અને હવે તે ફક્ત ટેસ્ટમાં જ રમે તેવી શક્યતા છે.
મુશફિકુર રહીમે લીધો સંન્યાસ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પોતાના અને પોતાની ટીમના ખરાબ પ્રદર્શન બાદ બાંગ્લાદેશના વિકેટકીપર-બેટ્સમેન મુશફિકુર રહીમે સંન્યાસનું એલાન કર્યું છે. મુશફિકુર રહીમ પણ હવે બાંગ્લાદેશ માટે વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટ નહીં રમશે. બુધવારે 5 માર્ચના રોજ મુશફિકુરે નિવૃત્તિની જાહેરાત કરી. તેણે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી. બુધવારે જ બાંગ્લાદેશ ટીમના વાર્ષિક કરારની જાહેરાત કરવામાં આવી હતી અને પછી તેના થોડા જ સમય બાદ મુશફિકુરે નિવૃત્તિની જાહેરાત કરી. તે લગભગ 19 વર્ષ સુધી બાંગ્લાદેશ માટે વનડે ક્રિકેટ રમ્યો.
મુશફિકુર રહીમે પોતાના ફેસબુક પેજ પર લખ્યું કે, 'હું આજથી વનડે ફોર્મેટમાંથી સંન્યાસ લઈ રહ્યો છું. તમામ બાબતો માટે અલ્લાહુ અકબર. ભલે વૈશ્વિક સ્તરે અમારી સિદ્ધિઓ મર્યાદિત રહી હોય, પરંતુ એક વાત ચોક્કસ છે કે, જ્યારે પણ હું મારા દેશ માટે મેદાનમાં ઉતર્યો, ત્યારે મેં સમર્પણ અને પ્રામાણિકતા સાથે પોતાનું 100% થી વધુ આપ્યું.' તમને જણાવી દઈએ કે, આ ટુર્નામેન્ટમાં ટીમની સફર સમાપ્ત થતાં જ સ્ટીવ સ્મિથે પણ વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેની ટીમને સેમિફાઈનલમાં ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

