VIDEO: ધોનીએ IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના લઈ લીધી નિવૃત્તિ? સુરેશ રૈનાના નિવેદનથી સસ્પેન્સ સર્જાયું
શું મહેન્દ્ર સિંહ ધોની IPL 2027માં પણ રમશે જેથી તે ચેપોક સ્ટેડિયમમાં રમતા રમતા સંન્યાસ લઈ શકે? અથવા તો ધોની આ સિઝનમાં એકપણ મેચ રમ્યા વિના જ IPL ક્રિકેટને હંમેશ માટે અલવિદા કહી ચૂક્યો છે? સુરેશ રૈનાએ આપેલા નિવેદનથી તો એવા જ સંકેતો મળી રહ્યા છે કે હવે ક્રિકેટના મેદાન પર 'થાલા' નો હેલિકોપ્ટર શોટ ક્યારેય જોવા નહીં મળે.
ગઈકાલે પણ ધોની મેચ રમી શક્યો નહીં
એમએસ ધોનીએ અગાઉ જાહેરાત કરી હતી કે તે જ્યારે પણ IPLમાંથી નિવૃત્તિ લેશે, ત્યારે ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમ પર પોતાની છેલ્લી મેચ રમીને જ લેશે. સોમવારે ચેપોક સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આ સિઝનની આ મેદાન પર છેલ્લી મેચ રમાઈ હતી. ફેન્સની નજર પ્લેઈંગ ઈલેવનમાં ધોનીને શોધી રહી હતી, પરંતુ ઈજાના કારણે ધોની આખી સિઝનની જેમ આ મેચમાં પણ રમી શક્યો નહીં.
ધોનીએ રૈનાને કહ્યું- મારું શરીર હવે નબળું પડી ગયું છે
હવે CSKની આ સિઝનની છેલ્લી લીગ મેચ 21મે ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ સામે રમાવાની છે. પરંતુ, CSK પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ચૂકી હોવાથી અને ધોની સંપૂર્ણ ફિટ ન હોવાથી તે અમદાવાદમાં પણ રમે તેવી શક્યતા નહિવત્ છે. ધોનીએ ભલે સત્તાવાર જાહેરાત ન કરી હોય, પરંતુ તેના સૌથી નજીકના મિત્ર સુરેશ રૈનાએ એક મોટો ખુલાસો કર્યો છે. રૈનાએ કહ્યું કે કે, "મેં માહી ભાઈને કહ્યું - તમે તો IPL 2026ને માત્ર એક મિસ્ડ કોલ આપી દીધો. આ સિઝનની તો ગણતરી જ નહીં થાય કારણ કે તમે એક પણ મેચ નથી રમ્યા. હવે તમારે ફેન્સ માટે આગામી સિઝનમાં આવવું જ પડશે. જવાબમાં ધોનીએ કહ્યું- મારું શરીર હવે નબળું પડી ગયું છે.''
જોકે, સુરેશ રૈનાએ હજુ પણ આશા છોડી નથી. જ્યારે રેનાએ વાપસી માટે વધુ દબાણ કર્યું, ત્યારે ધોનીએ છેલ્લે એટલું કહ્યું કે, મને જોવા દો (Let me see).

