શિખર ધવને સિલેક્શનમાં ભેદભાવના સવાલ પર આપ્યો જવાબ, કહ્યું- 'સારું રમશો તો...'

ભારતીય ક્રિકેટ ટીમના સિલેક્શનમાં પ્રદેશ કે ક્ષેત્રના આધારે પક્ષપાત થતો હોવાના સવાલો પર ટીમના પૂર્વ દિગ્ગજ ઓપનર શિખર ધવને સ્પષ્ટ અને ખુલ્લો જવાબ આપ્યો છે. શ્રીનગરમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે ધવનને પૂછવામાં આવ્યું કે શું જમ્મુ-કાશ્મીરના ખેલાડીઓ સાથે ભેદભાવ થાય છે કારણ કે તેમને પૂરતી તકો મળતી નથી, ત્યારે ભારતના આ પૂર્વ ઓપનરે ક્ષેત્રીય ભેદભાવની વાતને સંપૂર્ણપણે નકારી કાઢી હતી. જોકે, તેણે સ્વીકાર્યું હતું કે સિલેક્શન પ્રક્રિયામાં ક્યારેક નસીબ પણ ભાગ ભજવે છે.
‘જો રમત સારી હશે તો વિશ્વમાં કોઈ તમને બહાર નહીં રાખી શકે’: શિખર ધવન
શિખર ધવને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "ના, ચોક્કસપણે કોઈ ભેદભાવ થતો નથી. જો તમે સારું રમશો તો આખી દુનિયામાં કોઈ તમને બહાર નહીં રાખી શકે. તમારો ખેલ જ તમારી ઓળખ બને છે. ક્યારેક કિસ્મત પણ ભૂમિકા ભજવે છે. આ વાત માત્ર જમ્મુ-કાશ્મીર પૂરતી મર્યાદિત નથી. દિલ્હીનો છોકરો હોય કે મુંબઈનો, તમને એવા અસંખ્ય ઉદાહરણો મળશે જ્યાં કોઈ ખેલાડી તકનો હકદાર હતો છતાં તેને તક ન મળી અને તેની જગ્યાએ કોઈ અન્યને પસંદ કરી લેવામાં આવ્યો. આ રમતનો જ એક ભાગ છે."
પ્રો સ્ટાર ક્રિકેટ લીગ: ધવન અને પરવેઝ રસૂલ 'આઇકોનિક ખેલાડી'
આ પ્રેસ કોન્ફરન્સ 'પ્રો સ્ટાર ક્રિકેટ લીગ'ની બીજી સિઝનની સત્તાવાર જાહેરાત માટે બોલાવવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ આગામી વર્ષે માર્ચના પ્રથમ સપ્તાહમાં શ્રીનગરથી શરૂ થશે અને તેની ફાઇનલ મેચ દહેરાદૂનમાં રમાશે. આ લીગમાં શિખર ધવન અને જમ્મુ-કાશ્મીરના ઓલરાઉન્ડર પરવેઝ રસૂલને 'આઇકોનિક ખેલાડી' જાહેર કરવામાં આવ્યા છે.
પરવેઝ રસૂલે વર્ષ 2014માં ભારત માટે ડેબ્યુ કર્યું હતું અને તેણે 1 ODI તેમજ 1 T20I મેચ રમી છે. ભારત અને IPL રમી ચૂકેલા પરવેઝ રસૂલ તેમજ સ્પીડસ્ટાર ઉમરાન મલિક (જેણે 2023માં ડેબ્યૂ કરીને 10 ODIઅને 8 T20I રમી છે) નો ઉલ્લેખ કરતાં ધવને કહ્યું કે આ ખેલાડીઓને ઉત્તમ પ્લેટફોર્મ મળ્યું છે, પરંતુ સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે ખેલાડી તે સ્તરે સતત સારું પ્રદર્શન કરતો રહે. નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરના અત્યાર સુધી માત્ર ત્રણ ક્રિકેટર—પરવેઝ રસૂલ, ઉમરાન મલિક અને આકિબ નબી—રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવી શક્યા છે.
‘તમારા નિયંત્રણમાં ફક્ત સખત મહેનત છે’: આકાશ ચોપડા
પ્રો સ્ટાર ક્રિકેટ લીગના કમિશનર અને ભારતના પૂર્વ ક્રિકેટર તેમજ જાણીતા કોમેન્ટેટર આકાશ ચોપડાએ જણાવ્યું કે ખેલાડીઓની પસંદગીમાં નસીબનો ફાળો હોય છે, પરંતુ ભારતીય ક્રિકેટમાં સ્પર્ધા અત્યંત આકરી છે. આ વિશે આકાશ ચોપડાએ ઉમેર્યું હતું કે, "નસીબનો રોલ હોય છે, પરંતુ તમારા નિયંત્રણમાં માત્ર સખત મહેનત કરવી અને સતત શ્રેષ્ઠ પ્રદર્શન આપવું જ છે. ભારતીય ક્રિકેટ અત્યારે એવા મોડ પર છે જ્યાં જો તમારી પાસે વાસ્તવિક પ્રતિભા હશે તો તે તમને મંચ જરૂર આપશે. જો રાષ્ટ્રીય ટીમમાં નહીં તો IPL તે પ્લેટફોર્મ આપે છે, ત્યારબાદ તમે રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી રમો છો, દેશમાં ઘણું બધું ક્રિકેટ રમાઈ રહ્યું છે.”
તેણે ફાસ્ટ બોલર આકિબ નબીનો ઉલ્લેખ કર્યો જે IPLમાં રમ્યા બાદ ટીમ ઈન્ડિયામાં પણ પસંદગી પામ્યો છે. નબીને શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરાયો હતો પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં તક મળી નહોતી. આકાશ ચોપડાએ આશા વ્યક્ત કરી હતી કે ન્યુઝીલેન્ડ પ્રવાસ નજીક આવી રહ્યો છે અને નબી એક શ્રેષ્ઠ ખેલાડી હોવાથી સારું પ્રદર્શન કરશે.

