'ઓસ્ટ્રેલિયામાં મને....', વન ડેમાં કેપ્ટનશીપ છિનવી લેવાયા બાદ રોહિતનું પહેલું નિવેદન

ભારતીય ક્રિકેટ ટીમના હિટમેન રોહિત શર્મા હાલમાં કેપ્ટનશીપ ગુમાવવાને કારણે સમાચારમાં છે. BCCIએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે જાહેર કરેલી ટીમ ઈન્ડિયાની કમાન શુભમન ગિલને સોંપી છે. ટીમ ઈન્ડિયા હવે નવા કેપ્ટનની રાહબરી નીચે ઓસ્ટ્રેલિયા પ્રવાસે જશે. વનડે કેપ્ટનશીપ ગુમાવ્યા પછી રોહિત શર્માનું પહેલું નિવેદન સામે આવ્યું છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
મંગળવારે મુંબઈમાં આયોજિત CAT ક્રિકેટ રેટિંગ એવોર્ડ્સ 2025 કાર્યક્રમ દરમિયાન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ વિશે મીડિયા સાથે વાત કરી હતી. રોહિતે કહ્યું, "મને ઓસ્ટ્રેલિયા સામે રમવાનું ગમશે. ત્યાંના લોકો ક્રિકેટને સમજે છે અને સન્માન કરે છે. ત્યાં રમવાનો અનુભવ હંમેશા અલગ હોય છે. જોકે તેણે કેપ્ટનશીપ ગુમાવવા અંગે સીધી વાત કરી ન હતી. તેના નિવેદનથી સ્પષ્ટપણે સંકેત મળ્યો કે તે આ ફેરફારથી વધુ નારાજ નથી અને આગામી શ્રેણી માટે ઉત્સાહિત છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ખેલાડી તરીકે રમશે
રોહિત શર્મા હવે ઓસ્ટ્રેલિયામાં એક ખેલાડી તરીકે વન ડે શ્રેણીમાં ભાગ લેશે. ટીમ ઈન્ડિયા આ પ્રવાસ પર ત્રણ વન ડે મેચ રમશે. પહેલી મેચ 19 ઓક્ટોબરે રમાશે. ઘણા ક્રિકેટ નિષ્ણાતો માને છે કે આ વન ડે શ્રેણી રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી વન ડે શ્રેણી સાબિત થઈ શકે છે.
પસંદગી સમિતિનું નિવેદન પણ ચર્ચામાં
BCCIના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે પુષ્ટિ આપી હતી કે, રોહિત શર્માને કેપ્ટનશીપમાં ફેરફારની અગાઉથી જાણ કરવામાં આવી હતી. જોકે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું રોહિત અને કોહલી 2027ના વર્લ્ડ કપ સુધી ટીમનો ભાગ રહેશે, ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું, "હાલ તેઓ રમી રહ્યા છે અને અમે તેમના પર તે મુજબ વિચાર કરી રહ્યા છીએ. 2027 વિશે વાત કરવી અત્યારે વધારેપડતું ગણાશે.
અગરકરના નિવેદનથી એવી અટકળો શરૂ થઈ ગઈ કે પસંદગી સમિતિ હવે ધીમે ધીમે યુવા ખેલાડીઓને ટીમમાં દાખલ કરવાની તૈયારી કરી રહી છે.
રોહિતનો રેકોર્ડ અકબંધ
રોહિત શર્માએ વન ડે ક્રિકેટમાં અત્યાર સુધીમાં 46 મેચોમાં 2407 રન બનાવી ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયા સામેના તેના રેકોર્ડમાં આઠ સદી અને નવ અડધી સદીનો સમાવેશ થાય છે. તેના નામે 264 રનની ઐતિહાસિક ઇનિંગનો રેકોર્ડ પણ છે, જેને હજુ સુધી કોઈ તોડી શક્યું નથી.

